Exhibition of Gandhi picture: ગૃહ રાજ્ય મંત્રીએ દાંડી કૂચના મિજાજની અનુભૂતિ કરાવતા ગાંધી ચિત્રોના પ્રદર્શન નો સયાજીબાગ મ્યુઝિયમ ખાતે કરાવ્યો પ્રારંભ
Exhibition of Gandhi picture: બાપુના અંતેવાસી અને યરવડા માં તેમની સાથે જેલવાસ ભોગવનારા છગનલાલ જાદવના આ રેખાચિત્રો દર્શનીય છે
- Exhibition of Gandhi picture: આ ચિત્રો સ્વતંત્રતા આંદોલન સમયના મિજાજને અને આઝાદી માટેના ધબકારને મૂર્તિમંત કરે છે: ગૃહ રાજ્ય મંત્રી
અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૫ ઓગસ્ટ: Exhibition of Gandhi picture: ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સયાજીબાગમાં આવેલા વડોદરા સંગ્રહાલય ખાતે, ગોરા હાકેમો ની હકુમતના પાયા હચમચાવનાર દાંડી કૂચના ચપટી નમકના પ્રતીક રૂપ મીઠાના ગાંગડા અને બાપુના પ્રિય રેંટિયા સમક્ષ દીપ પ્રગટાવીને બાપુના અંતેવાસી સદગત છગનલાલ જાદવે દોરેલા બાપુ, દાંડીકૂચ અને સ્વતંત્રતા આંદોલન વિષયક રેખા ચિત્રોના જાહેર પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.
તેમણે અમદાવાદની ગુજરીમાં થી સ્વતંત્રતાના અમુલ્ય દસ્તાવેજ જેવી છગનદાદાની ચિત્ર પોથી શોધીને ઇતિહાસનો વૈભવ વારસો વધાર નારા ઇતિહાસવિદ રિઝવાન કાદરી અને તેને સર્વ સુલભ બનાવવા માટે તેની છપાઈમાં સહયોગ આપનારી મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાને હાર્દિક અભિનંદન આપ્યા હતા. સંસ્થાના સંતો દ્વારા શાંતિ મંત્રોના પઠન વચ્ચે ગૃહ રાજ્ય મંત્રીએ દીપ પ્રગટાવ્યો હતો.
પ્રધાન મંત્રી આ અમુલ્ય ચિત્રપોથી જોઈને ખૂબ પ્રસન્ન થયાં તેનો ઉલ્લેખ કરતાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે,તેના ચિત્રો દાંડી કૂચ વખતે પૂજ્ય બાપુના ભાવ જગતને,સ્વતંત્રતા આંદોલન સમયે દેશના મિજાજને અને આંદોલનના ધબકારને મૂર્તિમંત કરે છે. આ ચિત્રપોથી દાંડી કૂચનો અર્વાચીન અને જીવંત દસ્તાવેજ છે.
પ્રધાનમંત્રીએ વર્તમાનમાં આઝાદી વખતની સ્થિતિનું મૂલ્યાંકન કાયમી કરવાની કરેલી હિમાયતને યાદ કરતા ગૃહ મંત્રીએ જણાવ્યું કે,ભાવિ પેઢીને સ્વતંત્રતા કેટલા વિકટ સંઘર્ષો પછી મળી છે તેની અનુભૂતિ કરાવવા આ પ્રકારનું દસ્તાવેજીકરણ અનિવાર્ય છે. રિઝવાન કાદરીએ પ્રત્યેક રેખાચિત્ર પાછળની કલ્પનાની વિગતવાર જાણકારી મંત્રીને આપવાની સાથે આશ્રમની રાત્રી શાળામાં જાદવજીને શિક્ષણ આપવા ની બાપુએ કરેલી વ્યવસ્થા,રવિશંકર રાવળ પાસે તેમને મળેલી ચિત્રકલાની તાલીમ, તેમણે બાપુ સાથે યરવડામાં ભોગવેલો જેલ વાસ, બાપુ ઉપરાંત સરદાર સાહેબ,જવાહરલાલ, મૃદુલા સારાભાઈ, જુગતરામ દવેના ચિત્રો ઈત્યાદી પર પ્રકાશ પાડ્યો હતો.
પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ,જિલ્લા કલેકટર આર.બી.બારડ,જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે ગૃહ મંત્રીની સાથે પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાના મહંતભગવતપ્રિય દાસજી અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.વડોદરા સંગ્રહાલયના ક્યુરેટર વિજય પટેલે સહુને આવકાર્યા હતા.