જામનગર ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા અધિકારીશ્રી
ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા જિલ્લા સમાહર્તાશ્રી, કમિશનરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી
જામનગર તા.૨૪ ઓગષ્ટ, જામનગર શહેરમાં સતત કોરોના સંક્રમણના વધતા કેસ સામે શહેરમાં ધનવંતરી રથ દ્વારા કરવામાં આવતી સેવાઓની સમીક્ષા હેતુ જિલ્લા સમાહર્તાશ્રી રવિશંકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી સતિષ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગએ શહેરના સનશાઇન સ્કૂલ પાસે, વાલ્કેશ્વરી નગરી, સત્યમ કોલોની રેલવે અન્ડર બ્રિજ પાસે અને પોલીસ હેડક્વાર્ટર ખાતે કાર્યરત ધન્વંતરી રથોની મુલાકાત લીધી હતી.
આ રથ દ્વારા દર્દીઓને મળતી સેવાઓ જેવી કે, દર્દીઓને કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે, દર્દીઓના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ શુગર, એન્ટીજન ટેસ્ટ, ઓક્સિજન લેવલની તપાસ વગેરે વિશે સ્થળ પર જઇ ચકાસણી કરી હતી. સાથે જ લોકો સાથે મુલાકાત કરી ધન્વંતરી રથ વિષેની તેમને મળતી સેવાઓ વિશે પૃચ્છા કરી હતી અને સાધનોની ચકાસણી પણ કરી હતી.
ધનવંતરી રથ દ્વારા લોકોને તેમના વિસ્તારમાં જ રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાઓ, આયુર્વેદિક ઉકાળાઓ, શરદી, તાવ, ઉધરસ વગેરેની દવાઓ, આવશ્યક વિટામિનની દવા, હોમિયોપેથી દવાઓ અને સંશમની વટી, વિવિધ ટેસ્ટની સુવિધાઓ આપવામાં આવે છે.