PM Bhavnagar programme: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 20 સપ્ટેમ્બરે ભાવનગરમાં ‘સમુદ્ર સે સમૃદ્ધિ’
PM Bhavnagar programme: વડાપ્રધાન ગુજરાતને ભારત સરકાર અને ગુજરાત સરકાર હેઠળના વિવિધ વિભાગોના ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે
- PM Bhavnagar programme: ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66 હજાર કરોડથી વધુના મેરિટાઇમ-શિપ બિલ્ડીંગ MoUsનું વડાપ્રધાન લોકાર્પણ કરશે
- UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું થયું 100% સોલરાઇઝેશન
- વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે ₹5894 કરોડના ખર્ચે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું અને ₹4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું લોકાર્પણ

ગાંધીનગર, 19 સપ્ટેમ્બર: PM Bhavnagar programme: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વધુમાં, વડાપ્રધાન ગુજરાતની જનતાને પણ અનેક કાર્યોની ભેટ આપશે. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આમ, કુલ મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતેથી ₹1 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસકાર્યોની ભારતની જનતાને ભેટ આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઇ રહ્યા છે. આ વિભાગોમાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તેમજ મત્સ્યોદ્યોગ (કૃષિ વિભાગ) વિભાગનો સમાવેશ થાય છે.
ગુજરાતને મળશે ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે ભાવનગર (PM Bhavnagar programme) ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતની જનતાને ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે, જેમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના ₹23,830 કરોડના તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ ₹4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું અને ₹5894 કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ ₹1500 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિર્મિત 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને ₹1660 કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ 17 જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 475 મેગાવોટના લગભગ 172 ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્તાઓના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.
આ પણ વાંચો:- Solar Village Dhorado: કચ્છનું ધોરડો ગામ હવે સોલાર વિલેજ તરીકે ઓળખાશે, વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
કચ્છના ધોરડો ગામનું થયું 100% સોલરાઇઝેશન
યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડાપ્રધાનશ્રી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગરના કાર્યક્રમમાં સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે.
ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો નીચે મુજબ છે:
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત:
- ₹270 કરોડના ખર્ચે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બડેલી ગામમાં સરકારી પડતર જમીન પર 45 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ
- ₹303 કરોડના ખર્ચે રાજ્યના ચાર જિલ્લાઓ ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં હયાત વીજ લાઈનના વીજ વાયરને બદલીને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ (MVCC) લગાવવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત
- ₹583.90 કરોડના ખર્ચે ભાવનગરની સર તખતસિંહજી હોસ્પિટલ માટે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોકના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
- ₹525.10 કરોડના ખર્ચે જામનગરની ગુરૂ ગોબિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ માટે ઓપીડી, એમસીએચ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડિંગના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ₹440.7 કરોડના ખર્ચના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર
- વિસ્તાર માટે વિવિધ રોડ-રસ્તાઓની પહોળાઈ વધારવી, રસ્તાઓનું મજબૂતીકરણ કરવું, જેતપુર બાયપાસ મિસિંગ લિંક રોડ પર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વગેરેનો સમાવેશ
શહેરી વિકાસ વિભાગના ₹267.16 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં
- ભાવનગર ખાતે કુંભારવાડામાં 45 MLD ક્ષમતાવાળા નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ અને કુંભારવાડાથી દસનાલા સુધીનો ચાર-લેન પેવર રોડ અને વરતેજ ગામ ખાતે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ જેવા કાર્યોનું ખાતમુહૂર્ત
- જામનગર ખાતે એલસી નંબર 188 (હાપા) ખાતે રેલ્વે ઓવર બ્રિજ, ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ફેઝ-1) તેમજ પુનઃસ્થાપન કરવામાં આવેલ ભુજિયા કોઠાનું લોકાર્પણ
- જળ સંપત્તિ વિભાગ હેઠળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ગામ ખાતે ₹56 કરોડના ખર્ચે ‘ચાંચ એન્ટી-સી ઇરોઝન’ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
- પાણી પુરવઠા વિભાગ અંતર્ગત ₹38.27 કરોડના ખર્ચે જૂનાગઢ-વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
- કૃષિ વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ વિભાગ અંતર્ગત ₹39.46 કરોડના ખર્ચે ગીર-સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે તૈયાર થનારા ફિશ લેન્ડિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત