કોરોના આફતમાં…..આશીર્વાદ સમો બનતો કોવિડ-૧૯ સબંધી કન્ટ્રોલ રૂમ
તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા લોકોને મળી રહી છે સચોટ જાણકારી સાથે માર્ગદર્શન
સાત દિવસમાં ૯૫૦ કોલ આવ્યા -નોડલ ઓફિસર શ્રી એન.એફ.ચૌધરી
રાજકોટ, ૧૧ સપ્ટેમ્બર કોઇપણ આફત કે અકસ્માતના બનાવમાં ઘટના અંગે ખોટી અફવા કે જાણકારીના અભાવે અનેક મૂશ્કેલીઓ સર્જાતી હોય છે. આથી જ કોરોના વાયરસની આફતમાં લોકોને સાચી-સચોટ જાણકારી અને માર્ગદર્શન માટે વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલ કોવિડ-૧૯ હેલ્પલાઇન સેન્ટર આશિર્વાદસમું સાબિત થઇ રહ્યું છે. આ સેવા તાલીમબદ્ધ ૧૬ જેટલા શિક્ષકો અને મહાનગરપાલિકાના ચાર કર્મીઓ દ્વારા શિફ્ટવાઈઝ ૨૪×૭ ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
રાજકોટ કલેકટર કચેરીના ત્રીજા માળે કાર્યરત કોવિડ-૧૯ હેલ્પલાઇન સેન્ટરના નોડલ ઓફિસર અને અધિક કલેક્ટર શ્રી એન.એફ.ચૌધરી કહે છે કે, કોરોનો વાયરસની આપત્તિમાં લોકો ખોટી જાણકારીના અભાવે કોઇ ડર કે ભય ન ફેલાય, લોકોને મોરલ સપોર્ટ મળી રહે, ઉપરાંત વ્યાપક જનજાગૃતિ ફેલાય તેવા આશય સાથે આ હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આનંદની વાત એ છે કે, આ સેવાનો લાભ મેળવ્યા બાદ લોકોને સાચી જાણકારી અને માર્ગદર્શનના આધારે ઉચિત સેવા સરળતાથી ઉપલબ્ધ થતાં લોકો સામેથી ટેલીફોન દ્વારા હોશે હોશે આભાર પ્રગટ કરતો પ્રતિભાવ આપે છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે આ હેલ્પલાઇન માટે તાલીમબદ્ધ ૧૬ જેટલા શિક્ષકો અને અને ચાર નગર પાલિકાના કર્મીઓ સિફટવાઈઝ ફરજ બજાવી રહ્યા છે. ૭ દિવસથી શરૂ કરાયેલા આ સેવામાં ૯૫૦ જેટલાં કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી- સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અંગેની પૃચ્છા, કોરોના વાયરસના ટેસ્ટ માટે સરકારી-ખાનગી લેબોરેટરીની માહિતી અંગે તેમજ કોવિડ -૧૯ સબંધી અન્ય સચોટ જાણકારી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે
ઉપરાંત શ્રી ચૌધરીએ હેલ્પલાઈન સેન્ટરના નંબર ૯૪૯૯૮૦૪૦૩૮, ૯૪૯૯૮૦૬૪૮૬, ૯૪૯૯૮૦૧૩૩૮, ૯૪૯૯૮૦૬૮૨૮, ૯૪૯૯૮૦૧૩૮૩ પરની આ વિશેષ સેવાનો વ્યાપક લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.