કેન્દ્રની મોદી સરકાર ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે : શ્રી પરેશ ધાનાણી
ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા.
- ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાન સભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોની પોલીસે અટકાયત કરી.
- મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અને ગુજરાતના લાખો અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે.: શ્રી અમિત ચાવડા
- કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે. : શ્રી પરેશ ધાનાણી
- કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરો : કોંગ્રેસ
ગાંધીનગર,૨૮ સપ્ટેમ્બર: ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા. મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અને ગુજરાતના લાખો અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે. ગાંધીનગર ખાતે ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળાકાયદાના વિરોધમાં યોજાયેલ ન્યાય કૂચમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એરપોર્ટ અને પોર્ટની જેમ ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં સોપવામાં તરફ મોદી સરકાર આગળ વધી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષી બીલ દેશનો કાળો કાયદો છે. ખેડુતો અને ખેતી બરબાદ થશે એટલા માટે અમારો વિરોધ છે. ગુજરાત તથા દેશના ખેડુતોના ન્યાય માટે અમે લડીશુ અને કોંગ્રેસપક્ષ ખેડૂતોના હિતમાં આંદોલનોના વધુ કાર્યક્રમો આપશે. દેશના ખેડુતો અને મજદુરો રસ્તા પર છે. જેઓ આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. પણ સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપનાર મોદી સરકારના શાસનના છ વર્ષમાં ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના નામે વીમા કંપનીઓને લુંટવાના પરવાના આપ્યા છે. કેન્દ્રમાં મોદી સરકાર સત્તા આવતા જ ભુમી અધીગ્રહણ સુધારા બીલ લાવવામાં આવ્યું, જી.એસ.ટી. બીલના કારણે વેપાર-ધંધા તથા વેપારીની હાલત બગડી ગઈ છે. કેન્દ્રની મોદી સરકાર સંસદમાં રજુ કરેલ ખરડાને બદલે બહાર જુદી વાત કરે છે.
નવા કૃષી બીલમાં એમ.એસ.પી.નો ઉલ્લેખ જ નથી. સરકાર ખેડુતોને ભ્રમીત કરવાનો પ્રયાસ કરે છે. આ ગુજરાતની ભૂમિના મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીએ ખુબ લાંબી લડાઈ લડી આ દેશમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને દેશ નિકાલ આપ્યો હતો. ફરી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દેશમાં કંપની રાજ લાવવા આગળ વધી રહ્યાં છે. દેશના ખેડૂતો, સામાન્ય ગ્રાહકોના તેના અસ્તિત્વ સામે ખૂબ મોટુ જોખમ ઉભુ થવાનું છે, કંપનીઓ આવવાથી ખાસ કરીને ગુજરાત ભૂમિ જે સહકારી ક્ષેત્રમાં અને આખા વિશ્વમાં જાણીતી છે. એ સહકારી સંસ્થાઓ ખતમ થઈ જવાની છે. સાથેસાથે કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ખેતી કરવાને કારણે ખેડૂતો આવનારા સમયમાં ફરી પાછા ખેતમજુર બની જાય તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટેકાના ભાવે ખરીદ કરવાના અને ખાસ કરીને ટેકાનો ભાવ નક્કી કરવાની પધ્ધતિ છે, એ આ બીલના આવવાથી આવનારા સમયમાં બંધ થવા જઈ રહી છે.
ખાસ કરીને કિંમતો નક્કી કરી અને ખેડુતોને ટેકાના પુરતા બજાર ભાવ મળે એ માટેની હાલની જે વ્યવસ્થા છે જે વર્ષોથી કોંગ્રેસ પક્ષે અમલ કર્યો. કૃષિબીલથી આ વ્યવસ્થા ખતમ થશે. ખાસ કરીને સરકાર આવનારા સમયમાં જે કિંમતો આપવાની વાત છે. જે એમ.એસ.પી. આપવાની વાત છે. એમાંથી પોતાના હાથ પાછા ખેંચવા તરફ જઈ રહી છે. આ બાબતોને લઈ સંસદમાં કોંગ્રેસપક્ષ અને વિરોધપક્ષોએ તો ખુબ મજબુતાઈથી વિરોધ કર્યો છે. આ વિરોધ જે સંસદમાં કર્યો સરકારે માન્ય ના રાખ્યો. ત્યારે એ ખેડૂતોના હક્ક અને અધિકારની લડાઈ કોંગ્રેસપક્ષ રસ્તાઓ ઉપર ઉતરી ગાંધીનગર ખાતે ન્યાય કૂંચ દ્વારા ભાજપાની ખેડૂત વિરોધી નીતિ અને કાળા કાયદાનો ઉગ્રવિરોધ કરવામાં આવ્યો.
કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે. ગાંધીનગર ખાતે ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદા સામે યોજાયેલ ન્યાય કૂચમાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેડે તેની જમીન ના કાયદાથી કોંગ્રેસપક્ષે ખેડૂતોને જમીનના માલીક બનાવ્યા. આઠ કિ.મી.નો કાયદો લાવીને ખેડૂત અને ખેતીની જમીન બચાવી ત્યારે મોદી સરકાર દેશમાં ખેડૂતો જે જમીનના માલીક હતા તેમને ફરી ગુલામ બનાવવા આ કાયદા લાવીને ઉદ્યોગપતિઓને ખેતીની જમીન લુંટવા દેવાના પરવાના આપી રહી છે. મહામારીની આડમાં ખેડૂતોની આપત્તિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ‘અવસર’માં પલટી નાખવાની મોદી સરકારની આ ધૃણાસ્પદ સાજિશને અન્નદાતા ખેડૂતો અને ખેતમજદુરો ક્યારેય ભૂલશે નહીં.
સમગ્ર દેશમાં ખેડૂતો કે વેપારીઓની માંગણી કરી ન હોવા છતા મોદી સરકાર આવો કાયદો શા માટે લાવી ? ખેડૂતોના હક્ક છીનવવા માટેનો કાયદો છે. ઉદ્યોગગૃહોને ખેતીની જમીન આપી દેવાનો કાયદા છે. મોટી કંપનીઓ સિન્ડીકેટ બનાવીને ખેડૂતોને લૂંટે તેવી વ્યવસ્થા સરકારે કરી આપી છે. સરકાર બહુમતિના જોરે કાયદાઓ પાસ કરાવી રહી છે. એ.પી.એમ.સી.નું માળખુ ખતમ થઈ જશે બે મોઢાની વાત કરીને સરકાર ખેડૂતો સામે રમત રમી રહી છે.
મોદી સરકારે કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા અને ભાગ્યવિધાતા કિસાન અને ખેતમજદુરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે રાખીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું એક ધૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે. ત્યારે ખેડૂત, ખેતી અને હિંદુસ્તાનને બચાવવા સંસદથી લઈ સડક સુધી કોંગ્રેસપક્ષ આક્રમકતાથી લડાઈ લડશે.