Swami Viditatmananda Saraswatiji 1

Swami ji ni vani Part-42: અન્યાય આપણને યાદ આવેે અને આપણમાં બદલો લેવાની ભાવના જન્મે..

કામ, ક્રોધ જેવી નિષેધાત્મક વૃત્તિઓને દૂર કરવા માટેની એક સુંદર પદ્ધતિ યોગશાસ્ત્રમાં બતાવવામાં આવી છે. એ છે પ્રતિપક્ષભાવના. પ્રતિપક્ષ એટલે વિરુદ્ધ પક્ષ. મારામાં ક્રોધ, ઈષ્ર્યા, કામના, રાગ, દ્વેષ આવી કોઈ લાગણી જન્મે છે તેની પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે. જે કારણથી એ લાગણી કે ભાવ જન્મ્યો હોય તેની વિરુદ્ધનો ભાવ આપણે મનમાં સ્થાપિત કરી દઈએ તો તે અણગમતો ભાવ દૂર થઈ જાય.

દાખલા તરીકે, કોઈ માણસ પ્રત્યે આપણને ઘૃણા કે ક્રોધ જન્મે, જ્યારે તેના કોઈ દોષ પ્રત્યે આપણી નજર જાય અથવા તો તેના તરફથી આપણને કોઈ અન્યાય થયો હોય અથવા તો તેણે કોઈ દુઃખ આપણને પહોંચાડ્યું હોય ત્યારે. પછી, જ્યારે જ્યારે એ માણસ યાદ આવે ત્યારે ત્યારે પેલો દોષ કે અન્યાય કે પેલું દુઃખ આપણને યાદ આવેે અને આપણમાં ક્રોધ જન્મે કે બદલો લેવાની ભાવના જન્મે.

આ ભાવનાને કેવી રીતે દૂર કરવી? પ્રતિપક્ષભાવના દ્વારા

કોઈ પણ વ્યક્તિ સાથેના આપણા સંબંધ દરમ્યાન તે વ્યક્તિએ આપણને દુઃખ પહોંચાડ્યું હશે, તો ક્યારેક સુખ પણ પહોંચાડ્યું હશે. ભલે દુઃખ કદાચ દશ વાર આપ્યું હોય પરંતુ બે વારેય સુખ પણ તેણે આપ્યું હશે. તેવા સુખના પ્રસંગોની યાદમાં મનને જોડવું. કોઈના દોષને કારણે તેના પ્રત્યે તિરસ્કાર જન્મે ત્યારે તેના ગુણોને યાદ કરવા. માણસમાં દોષ છે ત્યારે કોઈ ને કોઈ ગુણ તો હોવાના જ. તે ગુણોનું ચિંતન કરવાથી ઘૃણાની, ક્રોધની લાગણી નિવૃત્ત થઈ જાય. તમે કહેશો, ‘પણ સ્વામીજી !

આ માણસ ક્યારેય પણ મારી સાથે સારી રીતે નથી વત્ર્યો, તો પછી હું કેવી રીતે તેની સારી બાજુનું ચિંતન કરી શકું ?’ ચાલો, તમારી સાથે સારી રીતે ન વત્ર્યો હોય પરંતુ અન્ય કોઈકની સાથે તો સારી રીતે વર્તતો, હશે કે નહીં ? તમારી સાથે તે સતત દ્વેષ કરતો હશે પરંતુ પોતાની પત્ની સાથે તો સારી રીતે વર્તે છે ને ? કે ત્યાં પણ નથી વર્તતો ? તો પછી પોતાનાં બાળકો સાથે તો સારી રીતે વર્તે છે ને ? રાવણ પણ કોઈક ઠેકાણે તો સારી રીતે વર્તતો હતો. મંદોદરી માટે અને કાંઈ નહીં તો તેના પુત્ર ઇન્દ્રજિત માટે તો તેને પ્રેમ હતો ને?

આ પણ વાંચો:- Swami ji ni vani Part-41: વિષધરો: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

ભલે કોઈ માણસ આપણા પ્રત્યે દ્વેષ દાખવે પરંતુ ક્યાંક તો તે પ્રેમ કરતો જ હોય છે. ચંદનનું લાકડું બહુ લાંબા સમય સુધી જળના સંપર્કમાં આવવાને કારણે દુર્ગંધવાળું થઈ જાય છે, પણ તેનો મૂળ સ્વભાવ છે સુગંધ. તેવી રીતે પ્રત્યેક મનુષ્યનો સ્વભાવ છે સુગંધ. તેમ છતાં દ્વેષ કે ઈષ્ર્યાની દુર્ગંધ તેનામાંથી આવતી હોય તો તે સ્વાભાવિક નથી; તેના મૂળમાં તો સુગંધ રહેલી જ છે અને તે ક્યારેક તો કોઈકના પ્રત્યે અભિવ્યક્ત થશે જ. તો પછી તે વ્યક્તિના બહારના વર્તન પ્રત્યે ધ્યાન ન આપતાં એના હૃદયમાં જે સુવાસ રહેલી છે તેનું આપણે ચિંતન કરીએ. એનામાં દયા, કરુણા, વિવેક છે જ તો પછી તે આમ કેમ વર્તે છે ?

કદાચ તે વ્યક્તિનો ઉછેર એવો થયો હોય, કદાચ તે કેળવણી કે સંસ્કાર પ્રાપ્ત કરવાથી વંચિત રહી ગયો હોય, કદાચ આપણને પ્રાપ્ત થયા તેવા અનુકૂળ સંજોગો તેને જીવનમાં પ્રાપ્ત ન થયા હોય, કદાચ સોબતને કારણે એવું થયું હોય – આવું બધું વિચારીને આપણે સમજવું જોઈએ કે તે વ્યક્તિ દ્વેષ-પાત્ર નથી. જોકે આમ કરવાનું બહુ સરળ નથી. આવી મહાનતા કે ઉદારતા તો મહાત્મામાં જ હોય. પરંતુ આપણે પણ એવા સદ્‌ગુણોનો આશ્રય લઈએ તો આપણે પણ સામા માણસ પ્રત્યેના દ્વેષ કે ક્રોધમાંથી મુક્ત થઈ શકીએ.

BJ ADVT

સ્વામી દયાનંદજી બીજો એક ઉપાય બતાવે છે. કોઈના પ્રત્યે દ્વેષ હોય, ક્રોધ હોય તો જાણી જોઈને તેના પ્રત્યે સ્નેહની ભાવના જાળવવી. મનથી નિશ્ચય કરવો કે મારે રાગ-દ્વેષમાંથી મુક્ત થવું છે. એક વાર આવી ભાવના જન્મી, ભાવનાનો એક તણખો પણ જન્મ્યો હોય તો એને આપણે સાચવવો જોઈએ જેથી તેમાંથી ધીમે ધીમે જ્યોત પ્રગટે અને પછી પ્રજ્વલિત રહે. આ ભાવના મનમાં જાગે કે તરત જ એનો અમલ કરો.

મહાત્માઓ કહે છે કે, એક સારો વિચાર આવ્યો કે તરત જ તેનો અમલ કરવો. જેના પ્રત્યે દ્વેષ કે ક્રોધ હોય તે વ્યક્તિને એકાદ સારો પત્ર લખો, એના જન્મદિવસે શુભેચ્છા પાઠવો, તેને ગુલાબનું ફૂલ આપો. ક્રોધની પ્રતિપક્ષભાવના છે સ્નેહ. સ્નેહથી ક્રોધને દૂર કરવા માટે ખૂબ પ્રયત્નપૂર્વકની જાગરૂકતા દાખવવી પડશે. પરંતુ તે કર્યા સિવાય ક્રોધમાંથી મુક્ત નહીં થઈ શકાય.
આમ, આપણે સહૃદયતા, સાવધાની, માનસિક પરિપક્વતા કેળવવી પડશે, જેથી આપણાથી નકારાત્મક વૃત્તિઓથી મુક્ત થઈ શકાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *