Vadodara startup: બે યુવાનોએ પોકેટમાંથી બચત કરી કંપની બનાવી, હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરી
Vadodara startup: વડોદરાના બે યુવાનોએ પોકેટમાંથી બચત કરી કંપની બનાવી, ૧૯ આયુર્વેદિક, હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરી
Vadodara startup: એમ. એસ. યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરનો લાભ લઇ ચિન્મય અને જીનેન્દ્રદત્ત શર્માએ કંપની બનાવી બજારમાં ના મળતા હોય તેવી વસ્તુઓનું ઉત્પાદન શરૂ કર્યું
આલેખન: દર્શન ત્રિવેદી
વડોદરા, 15 માર્ચ: Vadodara startup: હજુ તો ભણવાની ઉંમર હોય ! કોલેજની મજા માણવાના વર્ષો હોય ! તેવા સમય પોતાની કંપની સ્થાપવી એ તો માત્ર સ્વપ્ન દિવાસ્વપ્ન જેવી વાત હોય છે. સાવ એવું પણ નથી. વડોદરાના બે વિદ્યાર્થીઓએ આ બાબત સાકાર કરી બતાવી છે.
મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરની મદદથી માત્ર ૨૦ વર્ષના બે છાત્રોઓ પોતાની કંપની સ્થાપી છે. આ કંપનીના માધ્યમથી યુનિક કહી શકાય એવી ૧૯ આયુર્વેદિક, હર્બલ પ્રોડક્ટ બજારમાં મૂકી છે. આ બન્ને યુવાનોના આ ઉત્પાદનો વાપરીને તમે આફરીન બોલી ઉઠશો.
અહીંની (Vadodara startup) સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયના છાત્ર જીનેન્દ્રદત્ત શર્મા અને વેલ્લોર યુનિવર્સિટીમાં મિકેનિકલ કોરનો અભ્યાસ કરતા ચિન્મય કપ્રુઆને ભેગા મળી સ્વસ્થવ્રિતા હેલ્થ સોલ્યુશન નામની કંપની બનાવી છે. હાલ આ કંપની એમએસયુના ઇન્ક્યુબેશન સેન્ટરમાં છે. કંપનીના સંચાલન ઉપરાંત પ્રોડક્શન મેનેજમેન્ટ, માર્કેટિંગ સાથે અભ્યાસ તો ચાલું જ છે.
સ્વસ્થવ્રિતા હેલ્થ સોલ્યુશનમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ સંભાળતા જીનેન્દ્રદત્ત શર્મા કહે છે, આજે બજારમાં અનેક પ્રકારના આયુર્વેદિક પ્રોડક્ટ મળે છે. ખાસ કરીને વિવિધ દર્દોની દવાઓ, તંદુરસ્તી માટેના ટોનિક, હેરઓઇલ, સાબુઓ મળે છે. તેની સામે અમે લોકોને સરળતાથી ઉપયોગમાં આવી શકે એવા ઉત્પાદનો બજારમાં મૂક્યા છે. તેનું ઉત્પાદન આયુર્વેદના ગ્રંથોમાં નિર્દેશિત વિધિ અને ટેક્નોલોજીના સમન્વયથી કરવામાં આવે છે. હાલમાં ૧૯ પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે છે.
ક્લાઉડ-૯ બાથ સોલ્ટ બનાવીએ છીએ. તમને બજારમાં અનેક પ્રકારના આયુર્વેદિક, કોસ્મેટિક સાબુ મળી જશે. પણ, બાથ સોલ્ટ ક્યાંય ઉપલબ્ધ નથી. હિમાલિયન રોક સોલ્ટનો ઉપયોગ કરી આ બાથ સોલ્ટ બનાવીએ છીએ. પિપરમિન્ટ, નીલગીરી, લવેન્ડર, લેમનગ્રાસ ફ્લેવરમાં ઉપલબ્ધ છે. હિમાલય રોક સોલ્ટ શરીરની ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે.
તેનાથી ત્વચામાં ઋક્ષતા આવતી નથી અને ચમક આવે છે. ગરમ પાણીમાં બે ચમચી નાખી, તેમાં પણ બોળી રાખવાથી પાનીમાં ફાડીયા પડવાની સમસ્યા દૂર થાય છે. ન્હાવા માટે પણ ગરમ પાણીમાં બે ચમચી નાખીને ઉપયોગ કરવાથી શરીરે સાબુ લગાવવાની પણ જરૂર રહેતી નથી. હિમાલિયન રોક સોલ્ટથી સ્નાનથી અદ્દભૂત તાજગીનો અનુભવ થાય છે.
એવી જ રીતે ક્લાઉડ-૯ એરોમાથેરાપી કેન્ડલનું કામ પણ ગજબનું છે. શોક, એન્ઝાઇટી, ડિપ્રેશન, ઇન્સોમેનિયા જેવી વ્યાધિમાં એરોમાથેરપીની કેન્ડલ બહુ જ ફાયદાકારક છે. ઉક્તમાંથી કોઇ પણ વ્યાધિમાં આ કેન્ડલ પ્રગટાવી વાતાવરણ એકદમ પ્રફુલ્લિત થઇ જાય છે. કેન્ડલ પાંચેક કલાક સુધી પ્રજ્જવલિત રહે છે. આ ઉપરાંત, છાશ અને દૂધમાં નાખી પીવા માટે એપેટિટો અને રેસ્પિરો પણ અનોખી પ્રોડક્ટ છે. તેની સાથે સ્યુગર ફ્રિ અને ઇમ્યુનિટી બૂસ્ટિંગ માટે આમલા લાડુ પણ બનાવવામાં આવે છે.
આ બન્ને યુવાનોએ પોતાને મળતી પોકેટમનીમાંથી રૂ. ૪૫ હજારની બચાવી આ કંપની બનાવી છે. આ કંપની જે નફો કરે છે, તે ફરી મૂડી તરીકે કંપનીમાં જ રોકવામાં આવે છે. હાલની પ્રોડક્ટ રેન્જને ભવિષ્યમાં વધારવાની પણ યોજના છે. હાલમાં ફોર્મ્યુલા આપી અન્ય યુનિટ પાસે જોબવર્ક કરાવવામાં આવે છે. કેટલાક ઉત્પાદનોના વેચાણ માટે અન્ય કંપનીઓ સાથે કોલોબ્રેશન કરવામાં આવ્યું છે. વળી, પ્રોડક્ટને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ મળ્યું છે.
આ ઉપરાંત, ચિન્મય કપ્રુઆને એક મસાજ જેકેટ બનાવ્યું છે. જે જેકેટ પહેરવાથી શરીરને ગરમ શેક મળવા સાથે વિવિધ ભાગોમાં મસાજ પણ થાય છે.
આ પણ વાંચો..Ranpur rape case: ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરાને 2 દિવસ વાડીએ ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યું
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.