Ajit Sharad Pawar

NCP Political Crisis: બળવાખોરો સામે વરિષ્ઠ પવારની મોટી કાર્યવાહી, વાંચો વિગતે…

NCP Political Crisis: અજિત પવાર સહિત 9 લોકો સામે ગેરલાયકાતની અરજી

મુંબઈ, 03 જુલાઈઃ NCP Political Crisis: એનસીપી નેતા અજિત પવાર દ્વારા રવિવાર, 2 જુલાઈએ મહારાષ્ટ્રમાં લેવાયેલા રાજકીય પગલાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે તેમની આગામી રાજકીય ઇનિંગ શરૂ કરી છે, ત્યારબાદ કાકા શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે આ બળવો છે અને કહ્યું છે કે તેઓ બતાવશે કે એનસીપી કોની છે.

આ દરમિયાન મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે અજિત પવાર અને તેમની સાથે શપથ લેનારા એનસીપી નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાટીલે કહ્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નવ સભ્યોએ રાજભવન જઈને પાર્ટીની નીતિ વિરુદ્ધ શપથ લીધા છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને અંધારામાં રાખીને આ બધી હિમાકત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વતી મંત્રી તરીકે શપથ લેનારા NCP નેતાઓને લઈને વિધાનસભાના અધ્યક્ષને અયોગ્યતાની અરજી મોકલવામાં આવી છે.

પિટિશનમાં માત્ર 9 લોકો સામે જ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે

પાટીલે કહ્યું કે, અમે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને તેમને મેઈલ પણ કર્યો છે. માત્ર 9 લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. બાકીના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ તેમના મતવિસ્તારમાં જશે ત્યારે અમારી સાથે પાછા આવશે.

એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ પાટીલે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે અયોગ્યતાની અરજી પર જલ્દી સુનાવણી કરીને અમારું વલણ સમજવું જોઈએ.” વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ અંગે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ. અમે તમામ કાયદાકીય પગલાં લીધા છે. તેમણે શપથ લીધા ત્યારે જ તેઓ ગેરલાયક ઠર્યા.

અજિત પવારે ચોંકાવનારું પગલું ભર્યું

મહારાષ્ટ્રના રાજકારણ માટે 2 જુલાઈનો દિવસ સુપર સન્ડે સાબિત થયો. એનસીપી નેતા અજિત પવારે તેમના નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અગાઉ સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્રમાં NCP ના પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા.

પરંતુ આખી ઘટના થોડી જ વારમાં બદલાઈ ગઈ જ્યારે અજિત પવાર મીટિંગ છોડીને સીધા રાજભવન ગયા અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા બાદ શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થઈ ગયા. અજિત પવાર ઉપરાંત NCP ના 8 વધુ ધારાસભ્યોએ પણ શપથ લીધા.

સુૂત્રો મુજબ, અજિત પવારે રાજ્યપાલને લખેલા પત્રમાં એનસીપીના 40થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. તે જ સમયે, ડેપ્યુટી સીએમના શપથ લીધા પછી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે.

આ પણ વાંચો… Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું; છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો