Padmashree: સન્માનનું સન્માન, વાંચો આ હસ્તીઓ વિશે
Padmashree: ‘નંદા માસ્તર’ ના હુલામણા નામથી જાણીતા બનેલ નંદા પૃસ્ટી
ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સાતમા ધોરણ બાદ આગળ ન ભણી શકનાર નંદા માસ્તરે ગામમાં આસપાસનાં બાળકોને મફતમાં ભણાવવાનું મિશન શરૂ કર્યું. 100 વર્ષના આ વૃદ્ધે અત્યાર સુધીમાં ગામમાં મોટાભાગનાં ઘરની ત્રણ-ત્રણ પેઢીને ભણાવી છે.
હરેકાલા હજાબ્બા
“એક વખત એક વિદેશીએ મને એક ફળનું નામ અંગ્રેજીમાં પૂછ્યું, ત્યારે મને અહેસાસ થયો કે હું નિરક્ષર છું. મને ખબર ન હતી કે તેનો શું મતલબ થાય? ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગામમાં એક પ્રાથમિક સ્કૂલ હોવી જોઈએ, જેથી કરીને મારા ગામનાં બાળકોએ એવું બધું ન વેઠવું પડે, જે મેં ભોગવ્યું.”
ખુદ નિરક્ષર અને ગરીબ હોવા છતાં શિક્ષણનું મહત્ત્વ સમજતા હરેકાલાએ પોતાની બચતમાંથી બેંગલુરુ પાસેના પોતાના ગામ ખાતે વર્ષ 2000માં સ્કૂલ ખોલી હતી.
રાહીબાઈ
એક અભણ ખેડૂત મહિલા રાહીબાઈ સોમા પોપેરે, જે ‘સીડ મધર’ ના નામથી જાણીતાં છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના નાનકડા ગામનાં રાહીબાઈ સોમા પોપેરે ‘બીજમાતા’ એટલે કે ‘સીડમાતા’ તરીકે પ્રચલિત બન્યાં છે.
ક્યારેય શાળાનું પગથિયું પણ ન ચડનાર રાહીબાઈ દેશી બીજોના સંવર્ધનનું કામ કરે છે. પોતાની જીદ્દ અને લગનના કારણે તેમણે એક બીજ બેન્ક પણ બનાવી છે, જે ખેડૂતો માટે ખૂબજ ફાયદાકારક સાબિત થઈ રહી છે.
લગભગ 20 વર્ષ પહેલાં કોઈ ઝેરી શાક ખાધા બાદ બીમાર પડ્યા બાદ તેમણે જૈવિક ખેતીની સાથે-સાથે દેશી બીજોના સંરક્ષણનું કામ આરંભ્યું. 56 વર્ષનાં રાહીબાઈ જૈવિક ખેતીને નવા આયામ પર પહોંચાડી રહ્યાં છે. આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પરંપરાગત બીજોની માંગ સૌથી વધારે છે.
તુલસી ગૌડા
કર્ણાટકનાં આદિવાસી મહિલા તુલસી ગૌડા ક્યારેય સ્કૂલમાં નથી ગયા પરંતુ 70થી વધુ ઉંમરે આખું જંગલ ઊભું કર્યું, છ દાયકાથી પર્યાવરણ સેવા કરતાં 30 હજાર રોપા વાવ્યાં.
આ એવા નામ છે જેમને ૨૦૨૦ માટે જાહેર થયેલા પદ્મશ્રી એવૉર્ડ(Padmashree) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ૨૦૨૧માં એનાયત કરવામાં આવ્યા હતા. ‘પદ્મશ્રી’ થી સન્માનિત રાહીબાઈ કે હરેકાલા હજાબ્બા કે પારંપરિક વસ્ત્રોમાં આવેલ આદિવાસી મહિલા તુલસી ગૌડા જ્યારે અવૉર્ડ લેવા લાલ જાજમ પર ખુલ્લા પગે આવ્યાં ત્યારે માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયાનું ધ્યાન ખેંચાયું હતું. આ સાથે કેટલાય સામાન્ય લોકોને તેમના અસામાન્ય પ્રદાન માટે ‘પદ્મશ્રી’ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
એક જમાનામાં આવા સન્માન રાજકીય મદદગારો કે અંગત સંબંધ સાચવવા સૂટ-બૂટમાં સજ્જ તેમજ પ્રખ્યાત-વિખ્યાત લોકોને આપવામાં આવતા હતા. પરંતુ હવે છેક છેવાડાની વ્યક્તિને તેમના સમાજ, ગામ, શહેર, રાજ્ય કે દેશની પ્રગતિમાં પ્રદાન કે સહયોગ આપનારી વ્યક્તિઓ સન્માનિત થઇ રહી છે જે ખરા અર્થમાં તો ‘પદ્મશ્રી’ જેવા એવોર્ડનું પણ ગૌરવ વધારે છે, સન્માન નું પણ સન્માન જળવાઈ છે. આ બદલાવ લાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ છે જેમણે વ્હાલા-દવલાંની નીતિ ત્યાગી રાહીબાઈ કે હરેકાલા હજાબ્બા જેવા મહાનુભાવોને સન્માન આપવાની નીતિ અપનાવી છે બાકી આજથી પહેલા કેટલાએ રાહીબાઈ કે હરેકાલા કે તુલસી ગૌડાનું નામ સાંભળ્યું હતું.