Politics: માત્ર આમાં જ…!
Politics: ઘણી વખત આપણે અનુભવીએ છીએ કે આપણને ખ્યાલ આવે છે કે આપણે ખોટી અથવા નિરર્થક પસંદગી કરી છે અને તે સમયે, પસંદગીના સમયે અન્ય વિકલ્પ પસંદ કરવો જોઈતો હતો. આ પરિસ્થિતિ મોટાભાગના લોકોના જીવનમાં એક અથવા ઘણી વખત સામે આવી શકે છે. ડોક્ટરને વિચાર આવી શકે છે કે તે/તેણીને એન્જીનીયર તરીકે ઓળખવાથી વધુ ખુશી થાત, એન્જિનિયર બનવું જોઈતું હતું. એન્જીનીયરને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એમબીએ ન થવા માટે અફસોસ થતો હોય. એન્જીનીયરીંગ કર્યા બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એમબીએ થવું વધારે સારું હતું તેવી લાગણી જન્મી શકે છે.
પરંતુ જીવનના આ કે કોઈપણ તબક્કે પસંદગી બદલવી શક્ય નથી. એક ડોક્ટર એવું નહિ કહી શકે કે માફ કરશો, ભૂલ થઇ ગઈ, મારે ડોક્ટર નહિ એન્જીનીયર બનવું હતું એટલે કાલથી હું એન્જીનીયર તરીકે ઓળખાવાનું પસંદ કરીશ. એ જ રીતે એન્જીનીયર, સીએ તરીકે તો સીએ પોતે ડોક્ટર તરીકે પોતાને ટૅગ કરી શકે નહિ. તમારે આખી જિંદગી તમારો ટૅગ સાથે લઈને ફરવું પડે જે તમે પહેલા પસંદ કર્યો હતો. તમારે તમારી પસંદગીના પ્રોફેશનના ફાયદા અને નુકસાન સાથે લઈને ચાલવું પડશે તેમજ તેના ફળ ખાવા પડશે પછી તે મીઠા હોય, ખાટા હોય કે કડવા હોય. ડૉક્ટર અથવા શિક્ષક અથવા એન્જિનિયરે તેમની નોકરી-જોબ, વ્યવસાય તરીકે ચાલુ રાખવી પડે છે. તમે તમારી ફેકલ્ટીની ગેરસમજ માટે, તમારી ભૂલ માટે, તમારી ખુદની માફી માગી શકો છો, દિલગીર થઈ શકો છો પરંતુ તમારો પ્રોફેશન, તમારી માન્યતા, અભિગમ અથવા તે વ્યવસાયની તકો બદલવાને કારણે તમે તરત જ બદલી શકતા નથી.
ભારતીય કે પાકિસ્તાની ખેલાડી પોતાના દેશથી સંતુષ્ટ કે ખુશ હોય કે ન હોય તે પોતાનો દેશ બદલી શકતા નથી. કપિલ દેવ, તેંડુલકર, કોહલી કે ગાવસ્કર એમ ન કહી શકે કે આજથી તે ઈંગ્લેન્ડ માટે રમશે અને બ્રિટિશ પ્લેયર પણ આવું કહી ન શકે. એવા ઘણા ઉદાહરણો છે જ્યાં તમારી પસંદગીઓ, તમારી તકોથી જુદી હોય છે, અને તમે હતાશ પણ થયા છો. તેમ છતાં તમે બદલી શકતા નથી.
પરંતુ…પરંતુ…પરંતુ…
કદાચ એક માત્ર વ્યવસાય કે કારકિર્દી છે ખાસ કરીને ભારતમાં, જ્યાં તમે તમારા વિચારો, તમારી માન્યતાઓ, તમારા અભિગમો, તમારું પેશન (જુસ્સો), તમારી કૃતજ્ઞતા, તમારા સંકલ્પો અને તમારા આત્માને પણ માત્ર એક શબ્દ કહીને બદલી શકો છો; આ શબ્દ છે ‘સોરી’.
તમે ટીકા કરી શકો છો, તમે મૌખિક પથ્થરો ફેંકી શકો છો, તમે સાચા ખોટા વાક્બાણ ચલાવી શકો છો, તમે તમારી પસંદગી અનુસાર અને તમારા માટે યોગ્ય હોય તે રીતે, ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તેટલી વાર આક્ષેપો કરી શકો છો.
ત્યાર બાદ પણ તમારી પાસે તમારા ભૂતકાળના શબ્દો અને વાક્યોને એક જ શબ્દ વડે ભૂંસી નાખવાનો કે બદલવાનો અધિકાર છે; આ શબ્દ છે ‘સોરી’. સૌથી ફળદાયી બાબત એ છે કે તમને તે વ્યક્તિ તરફથી પુરસ્કાર પણ આપવામાં આવશે જેણે આજ સુધી તમારા સાચા-ખોટા આક્ષેપો, તમારા ફેંકેલા મૌખિક પથ્થરો, તમે કરેલી ટીકાઓ બધું જ સહન કર્યું હતું. આ વ્યવસાયને કહેવાય છે…”રાજકારણ”
હા, આ વ્યવસાયમાં કંઈ પણ મહત્વનું નથી અથવા કંઈ પણ ગંભીરતાથી લેવાતું નથી, તમારા આત્માને પણ…
Politics: હમણાં પાંચ રાજ્યોની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં સ્વામી પ્રસાદ મૌર્ય સહિત ભાજપના આઠ એમએલએ સમાજવાદી પાર્ટીમાં જોડાયા તો સામે પક્ષે સમાજવાદી પાર્ટીના હાલના મુખ્ય નેતા અખિલેશ યાદવના ભાભી જ ભાજપમાં જોડાઈ ગયા. મઝાની વાત તો એ છે કે જે સ્વામી પ્રસાદ મોર્ય ઉત્તર પ્રદેશ ભાજપની સરકારના છેલ્લે સુધી મંત્રી રહ્યા હતા, જેમની પણ જવાબદેહી હતી તે જ સરકાર તરફ આરોપ લગાવી રહ્યા છે, કોઈ મીડિયા પૂછે તો ખરું કે તને ચૂંટણીના બે મહિના પહેલા જ બ્રહ્મજ્ઞાન કેમનું લાધ્યું ?
ઉત્તરાખંડના ભાજપમાંથી હાંકી કઢાયેલા હરકસિંહ રાવત કોંગ્રેસમાં જોડાયા અને આરોપ લગાવવાનું શરુ કર્યું છે. ગુજરાતમાં પણ ‘આપ’ના નેતા ભાજપમાં જોડાયા. આખા દેશમાં આવી તો અનેક કૂદાકૂદ ચાલતી રહે છે.
‘રાજનીતિ’ (Politics) એક માત્ર વ્યવસાય છે જ્યાં તમે તમારી પસંદગી મુજબ ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે, છોડવા કે પકડવા માટે હંમેશા સ્વતંત્ર છો.
નીતિ અને આત્મા પણ રાજકારણમાં ગૌણ અને પરિવર્તનશીલ વસ્તુ છે.
આ પણ વાંચો…Metaverse: શું મેટાવર્સ થી બદલાશે ઈન્ટરનેટ ની દુનિયા?: નિખિલ સુથાર