Kishor Patient

આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા

Kishor Patient
  • સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા
  • કિશોરભાઈ ડૉક્ટર્સનો જુસ્સો બુલંદ કરવા પીપીઈ કીટ પહેરી આભાર દર્શનનું પોસ્ટર લઇ રાજકોટના વિસ્તારોમાં ફરશે
  • એકવાર પીપીઈ કીટ પહેરી તો જુઓ ડોક્ટર્સની પરિસ્થિતિ સમજાઈ જશે – કિશોરભાઈ

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: રાજકોટમાં કોરોનાના સંક્રમણને રોકવા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા સતત અને સઘન કામગીરી કરવામાં આવી રહી છે.  કોરોના વૉરીયર્સના અથાગ પરિશ્રમ અને સેવાભાવનાના પરિણામે કોરોનાને હરાવી સ્વસ્થ થનારા દર્દીઓ ડોક્ટર્સ સહિતના સ્ટાફનો આભાર માની રહ્યા છે. ત્યારે રાજકોટના કિશોરભાઈ સંચાણિયા સિવિલ હોસ્પિટલ તેમજ સમરસ કોવિડ કેર સેન્ટરના સ્ટાફનો આગવી શૈલીમાં આભાર વ્યક્ત કરી રહ્યા છે. 

ફરસાણના વેપારી કિશોરભાઈનું ઓક્સિજન લેવલ ખૂબ જ ડાઉન થઈ જતા તા. ૨૮ ના રોજ કોરોના રિપોર્ટ કરાવ્યો અને સિવિલમાં દાખલ થયા. ચાર દિવસ સુધી આઈ.સી.યુ.માં સારવાર બાદ તબિયતમાં સુધારો થતાં બે દિવસ નોર્મલ વોર્ડમાં રાખવામાં આવ્યા અને છેલ્લે પાંચ દિવસ સમરસ હોસ્ટેલમાં સારવાર બાદ હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ તેમજ અન્ય સ્ટાફગણનો આભાર માનવા આવી પહોંચ્યા હતા. 

loading…

કિશોરભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે હું સંપૂર્ણ તંદુરસ્ત છું તેનું બધું જ શ્રેય સિવિલ હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત આરોગ્યકર્મીઓને જાય છે. અહીં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ અને તમામ લોકો કોરોનાના દર્દીઓને સાજા કરવા દિવસ-રાત સેવારત છે. ત્યારે એમનો આભાર તો માનવો જ જોઈએ”.

કિશોરભાઈએ આગવી રીતે આભાર પ્રગટ કરવા અને ડોક્ટર્સનો જુસ્સો બુલંદ કરવા પી.પી.ઈ. કીટ પહેરી અને પોસ્ટર લઇ રાજકોટના વિસ્તારોમાં ફરશે. કિશોરભાઈએ કહ્યું હતું કે, ” મારે પી.પી.ઈ. કીટ પહેરવાની કોઈ જરૂર નથી પરંતુ મેં એટલા માટે પહેરી છે કે લોકોને ખ્યાલ આવે કે માત્ર એક કલાક પી.પી.ઈ. કીટ પહેરવાથી પરસેવે તરબોળ થઈ જવાય છે, એ કીટ પહેરી ડોક્ટર્સ સતત કામ કરી રહ્યા છે. આ કીટ પહેરી હોય ત્યારે ખૂબ જ પરસેવો થતા પાણીની તરસ લાગે છે પરંતુ તમે પી નથી શકતા.” 

સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ નિભાવતા થર્ડ યર રેસિડેન્ટ ડોકટર  સુરભી ચાવડાએ કહ્યું હતું કે,  ” સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ કિશોરભાઈ હવે એકદમ સ્વસ્થ થઈ ગયા છે અને અમારો આભાર માનવા હોસ્પિટલ આવ્યા છે. જ્યારે દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ઘરે પરત ફરે છે ત્યારે અમને પણ ખૂબ ખુશી થાય છે.

હાલ કોરોનાના હાહાકાર વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્યને સાચવતાં કાર્યરત કોરોના વૉરીયર્સ દેવદૂત સાબિત થઈ રહ્યાં છે.