બ્રેઈન ડેડ અને કાર્ડિયાકના જોખમ વચ્ચે બાળકના ફેફસામાં ફસાયેલુ ટોપરું બહાર કાઢ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલની સિધ્ધિ
બ્રેઈન ડેડ અને કાર્ડિયાકના જોખમ વચ્ચે બે ક્રિટિકલ સર્જરીથી બાળકના ફેફસામાં ફસાયેલુ ટોપરું બહાર કાઢ્યું
દોઢ વર્ષના બાળક દિવ્યરાજને ફેફસામાં રસી, સોજો અને મસા થઈ જતા
એક ફેફસું સંકોચાઈ ગયેલું, મુખ્ય શ્વાસનળી બ્લોક થઈ ગયેલી
અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ
રાજકોટ, ૦૯ ઓક્ટોબર: માત્ર દોઢ વર્ષનું બાળક દિવ્યરાજ સિવિલમાં લાવવામાં આવ્યું ત્યારે અતિ ગંભીર પરિસ્થિતમાં હતું. શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી તેમજ ફેફસામાંથી અવાજ આવતો હતો. ચીલ્ડન વિભાગના ડોક્ટર દ્વારા તેમનો એક્સરે કાઢવામાં આવ્યો ત્યારે માલુમ પડ્યું કે ફેફસામાં કંઈક છે. ત્યારબાદ તેનો સીટી સ્કેન કરતા બાળકની પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. જેમાં ડાબી બાજુનું ફેફસું સંકોચાઈ જમણા ફેફસા પર દબાણ કરતુ હતું. ફેફસામાં રસી, મસા અને સોજો ચડી ગયેલો. મુખ્ય શ્વાસનળી બ્લોક થઈ ગયેલી. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઈ તેનું ઓપરેશન કરવું જરૂરી હતું. ઓપરેશન સમયે તેનું ઓક્સિજનનું લેવલ ઓછું રહેતું હોઈ એનેસ્થેસિયા આપવામાં આવે તો બ્રેઈન ડેડ કે હૃદય બંધ પડી જવાની અતિ જોખમી પરિસ્થિતિ વચ્ચે સર્જરી કરવી પડે તેમ હતી. એનેસ્થેટિક દ્વારા ઓક્સિજનની માત્ર જળવાઈ રહે તે પ્રકારે સતત કાળજી રાખી અમારે બે ભાગમાં ઓપરેશન કરવું પડ્યું તેમ રાજકોટ સિવિલના ઇ.એન.ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે.
ત્રણ એમ.એમ. ના દૂરબીન અને મશિન દ્વારા શ્વાસનળી અંદર નાખી સતત સર્જરી કરવી પડે, પહેલા ભાગમાં સક્સન કરી રસી બહાર કાઢ્યા, ઓક્સિજન લેવલ ખુબ ઘટી જતા જમણા ફેફ્સમાંથી ફસાઈ ગયેલ વસ્તુ બહાર કાઢવા બ્રેક લેવો પડ્યો. ફેફ્સુ સંકોચાઈ ગયેલું તેની તેમજ મસાની ટ્રીટમેન્ટ કરી. ચાર દિવસના વિરામ બાદ બીજી સર્જરી કરી ખુબ ઓછા સમયમાં કોઈપણ પ્રકારે ફેફસા અને શ્વાસનળીમાં ડેમેજ નો થઈ તે રીતે દૂરબીન અને ફોરસેપની મદદથી જમણા ફેફસામાં ફસાયેલા ટુકડાને બહાર કાઢયો. ખુબજ ધીરજ માંગી લે તેવી આ પ્રક્રિયા નિયત સમયમાં પુરી કરી જીવના જોખમે બાળકને ૧૭ દિવસથી ભોગવી રહેલ પીડામાંથી મુક્ત કર્યો ત્યારે ડો. સેજલ સહીત સમગ્ર મેડિકલ ટીમ અને તેમના પરિવારને રાહત અને ખુશીનો અપ્રિતમ આનંદ થયો હતો.
દિવ્યરાજના પિતા નિમિષ ચુડાસમાએ જણાવ્યું કે મારા દીકરાને નારિયળનું ટોપરું ગળી ગયાના ૧૭ દિવસ બાદ દવાખાને લાવ્યા બાદ પરિસ્થિતિની ગંભીરતા સમજાણી. તેની હાલત બહુજ ખરાબ થઈ ગયેલી. ડોક્ટરની ટીમ દ્વારા અમને સાચી હકીકત સમજાવી અને ભરોસો આપ્યો કે તમારા બાળકને ફરી હસતું અને રમતું કરવાની અમે પૂરતી કોશિશ કરશુ. રાજકોટ સિવિલના ડોક્ટરોએ જાન લગાવી મારા બાળકને ફરી સાજો કરી દેતા અમારો હર્યાભરો પરિવાર અકબંધ રહ્યો છે. મારા બાળકનું કિલકિલાટ પાછું અપાવવા બદલ હું તમામ સ્ટાફનો આભાર માનુ છું.
આ તકે એક ડોક્ટર અને એક માં તરીકે નાના બાળકોની માતાને ખાસ સંદેશો આપતા ડો. સેજલ કહે છે કે જ્યાં સુધી બાળક જાતે ખોરાક ચાવી નો શકે ત્યાં સુધી તેમનાથી અનાજ કઠોળ કે અન્ય પદાર્થ દૂર રાખવા અને તે આવી કોઈ વસ્તુ અજાણ્યે પણ મોમાં નો મુકે તેની ખાસ કાળજી લેવી. ક્યારેક નાખી સરખી ભૂલ પણ બહુ ગંભીર પરિણામ લાવી શકે તેમ સિવિલના ડો. મિસ્ત્રી જણાવે છે..
બાળક દિવ્યરાજ હાલ તેના મમ્મીની ગોદમાં આનંદ – મસ્તી કરતો જોવા મળી રહો છે ત્યારે કહેવાનું મન થાય કે ફૂલ જેવા માસૂમ બાળકને ઈશ્વરના પણ આશીર્વાદ મળ્યા હશે..