રાજ્ય સરકારની પ્રજાકલ્યાણ યોજનાઓને પ્રતિસાદ આપતા આરોગ્ય કર્મીઓ
- સંવેદનશીલ રાજ્ય સરકારની પ્રજાકલ્યાણ યોજનાઓને સંવેદનાસભર પ્રતિસાદ આપતા કર્મયોગી આરોગ્ય કર્મીઓ
- એમ્બ્યુલન્સ વાનમાં આવેલા ૫૫ વર્ષીય પથારીવશ દર્દી ધારાબેન પંડ્યાને ત્વરીત મા અમૃતમ કાર્ડ કાઢી આપી ચિંતામુકત કરાયા
અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ
રાજકોટ, ૦૯ ઓક્ટોબર: “સર્વે ભવન્તુ સુખીન: સર્વે સન્તુ નિરામયા” આપણા શાસ્ત્રોમાં લખાયેલી આ પંક્તિ લોકજીવનમાં પ્રચલિત છે. જો સમાજના નાગરિકો સ્વસ્થ હશે તો રાષ્ટ્રનો પાયો પણ મજબૂત બનશે. ગુજરાતની સંવેદનશીલ સરકારે સતત નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સુપોષણને પોતાનો નૈતિક ધર્મ સમજીને બહુઆયામી આયોજન કર્યું છે. શ્રમ કરીને રોજીંદુ ગુજરાન ચલાવતો ગરીબ વર્ગ હર હંમેશ સંભવિત બીમારીથી ચિંતા ગ્રસ્ત હોય છે, તો મધ્યમવર્ગીય પરિવાર માટે પણ બીમારીનો આકસ્મિક ખર્ચ ચૂકવવો મુશ્કેલ પડે છે, ત્યારે ગુજરાતની જરૂરિયાત મંદ પ્રજાની આ સમસ્યાના નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માં અમૃતમ યોજના અમલી છે.
જ્યાં માં અમૃતમ કાર્ડ ધરાવતા લાભાર્થી પરીવારને વાર્ષીક રૂા. ૫ લાખ સુધીની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. પણ જો નાગરિક આ કાર્ડ મેળવવા માટે કચેરી સુધી આવવા માટે સક્ષમ ન હોય તો ? તો તે નાગરિક આ યોજનાથી વંચિત ન રહે તે માટે ગુજરાતની સંવેદનશીલ સરકાર માટે કટીબદ્ધ છે.
આવો જ એક કિસ્સો રાજકોટના જંકશન પ્લોટ ખાતે આવેલી આયુષ્યમાન ભારતની કચેરી બન્યો. જ્યાં ૫૫ વર્ષીય ધારાબેન પંડ્યાને અચાનક હાથ અને પગમાં દુખાવો થતા શારીરિક અશક્તિ થવા માંડી, થોડી વારમાં દુ:ખાવો એટલો વધ્યો કે તે પથારીવશ થઇ ગયા, મધ્યમવર્ગીય પંડ્યા પરિવાર માથે જાણે વિપત્તિ આવી પડી. સારવારનો ખર્ચ કાઢવો પરિવાર માટે મુશ્કેલ હતો. અને તેમની પાસે માં અમૃતમ કાર્ડ પણ ન હતું, કાર્ડના અભાવે મધ્યમવર્ગીય પરિવારને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે આયુષ્યમાન ભારતની કચેરીના કર્મચારીઓ પંડ્યા પરિવારની મદદે આવ્યા, એ વખતે એમ્બ્યુલન્સમાં ધારાબેન સહ પરિવાર સાથે આયુષ્માન ભારતની કચેરીએ આવ્યા અને કચેરીના કર્મનિષ્ઠ કર્મચારી વિશાલભાઈ પરમાર પળવારનો પણ વિલંબ કર્યા વગર પોતાની ટિમ સાથે આવશ્યક સાધનો લઈને એમ્બ્યુલન્સમાં બેસી ગયા
અને ધારાબેનના બધા આધારભૂત પુરાવા ચકાસી, આવશ્યક પ્રક્રિયા કરી તુરંત ત્યાં ને ત્યાં જ ધારાબેનને માં અમૃતમ કાર્ડ કાઢી આપ્યું. હાલ ધારાબેન સારવાર હેઠળ છે. આમ સંવેદનશીલ સરકારના સંવેદનાને અગ્રેસર કરી કર્મયોગી એવા આયુષ્યમાન ભારતની કચેરીના કર્તવ્ય નિષ્ઠ કર્મચારીઓની સમય સુચકતાના કારણે ધારાબેનનો પરિવાર હવે નાણાંના અભાવે સારવારથી વંચિત નહીં રહે.