CM Rakhi: રક્ષાબંધનના પવિત્ર પર્વએ બહેનોએ રાખડી બાંધી મુખ્યમંત્રીને શુભકામના પાઠવી
CM Rakhi: “ગુજરાતની સેવા માટે બહેનોના આશિર્વાદ પ્રાપ્ત થતાં ધન્યતા અનુભવુ છું ” : મુખ્યમંત્રી
ગાંધીનગર, ૨૨ ઓગસ્ટ: CM Rakhi: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધી. આ અવસરે મુખ્યમંત્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “ગુજરાતની સેવા માટે બહેનોના આશિર્વાદ પ્રાપ્ત થતાં હું ધન્યતા અનુભવું છું.” મુખ્યમંત્રીએ આ પર્વની પૂર્વ ભૂમિકા આપતા કહ્યું કે, ભાઈ-બહેનના પવિત્ર સંબંધના આ પર્વ એ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેની રક્ષા અને પ્રગતિની કામના કરે છે.
શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના નેતૃત્વમાં મોટી સંખ્યામાં બહેનો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને રાખડી બાંધવા પહોંચી તે શુભ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં ભારતીય તહેવારોની જન સહયોગ થી ઉજવણી ની પરંપરાનો શુભારંભ કર્યો હતો, જે આજે પણ જારી છે.
મુખ્યમંત્રીએ આ અવસરે ગુજરાતમાં થયેલા વરસાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ પાવન પર્વએ પ્રભુપ્રસાદ તરીકે થયેલા અમીછાંટણા ખેડૂતો અને મૂંગા પશુઓ-પક્ષીઓને પણ રાહત આપશે. આ પાવન પર્વએ મંત્રી વિભાવરીબહેન દવેએ મુખ્યમંત્રીને રાખડી બાંધી શુભકામના વ્યક્ત કરી હતી.