શ્રી જે.જી. માહુરકર દાદાના નિધન અંગે શોકાંજલી પાઠવતા સાંસદશ્રી અહમદભાઈ પટેલ
૦૮ સપ્ટેમ્બર:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ, વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના અનુભવી, પીઢ, રાષ્ટ્રિય નેતા અને અજાતશત્રુ શ્રી જે.જી. માહુરકર દાદાના નિધન અંગે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના કર્મઠ આગેવાન સ્વ. જે.જી. માહુરકરદાદા પશ્ચિમ રેલ્વેના કર્મચારીઓના પ્રશ્નોની ઊંડી સમજ સાથે વર્ષો સુધી સફળ નેતૃત્વ આપીને કર્મચારીઓના હક અને અધિકાર અપાવ્યા. કોંગ્રેસપક્ષના સિધ્ધાંતોને વરેલા સ્વ. માહુરકરદાદા તેમના મિલનસાર અને સરળ સ્વભાવથી કર્મચારીઓ અને રેલ્વે તંત્રમાં આગવું સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેમના નિધનથી કોંગ્રેસપક્ષે અને પશ્ચિમ રેલ્વેના કર્મચારી પરિવારોએ સંવેદનશીલ વ્યક્તિ – નેતા ગુમાવ્યા છે. હું તેમના પરિવારને સાંત્વના પાઠવું છું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ અને વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના સૌથી સીનિયર લડાયક નેતા શ્રી જે.જી. માહુરકરદાદાના નિધન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય પ્રવક્તા અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ઘેરાશોકની લાગણી સાથે શોકાંજલી પાઠવી હતી.