બારડોલી ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરનો શુભારંભ
બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ શુભારંભ કરાવ્યોઃ
મોડરેટ કેસોની સારવાર માટે ત્રણ વેન્ટીલેટર સહિત ઓક્સિજનની સુવિધાઓથી સજ્જ
રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત
સુરત જિલ્લામાં કોરોના વાઈરસનુ સંક્રમણ વ્યાપને ધ્યાને લઈ બારડોલીના દર્દીઓને ઘરઆંગણે આરોગ્યની સેવા મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને બારડોલી વહીવટીતંત્ર દ્વારા બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૨ બેડ સાથે ત્રણ વેન્ટીલેટર અને ઓક્સિજન લાઈનની સુવિધા સાથેની ડેડીકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટરને સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓને સુરત કે ચલથાણ સુધી જવું નહી પડે અને બારડોલીમાં ઘર આંગણે જ તેઓની સારવાર થઈ શકે તેવા આશયથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો.અમૃત પટેલની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચ તબીબો, પી.એચ.સી સેન્ટરના બે તબીબ, નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી અને એક્ષ-રે ટેક્નિશીયન અને મદદનીશ સ્ટાફની સેવાઓ શરૂ કરવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરીએ જણાવ્યું કે, જે કોવિડના પોઝીટીવ દર્દીઓ કે, જે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં હોય તેમને સુરત ખાતેના ડી.સી.એચ સેન્ટરમાં ખસેડવામાં આવશે. જ્યારે બારડોલીમાં અત્યંત હળવા લક્ષણો એટલે કે મોડરેટ કેસોની સારવાર આપવામાં આવશે. લોકાર્પણમાં પ્રાંત અધિકારીશ્રી વિજય રબારી, મામલતદારશ્રી જીજ્ઞાબેન પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી ગણેશ ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.
**********