Forest Prosperity of Surat: સુરતની વનસમૃદ્ધિ: ૫૦,૦૦૦ હેકટર વન વિસ્તાર ધરાવતો સુરત જિલ્લો
Forest Prosperity of Surat: સુરતના દરિયાકિનારાના ૮૦૦૦ હેકટર વિસ્તારમાં ચેરના વૃક્ષો આવેલા છે
- Forest Prosperity of Surat: જિલ્લામાં જંગલ વિસ્તાર બહાર ૨૦૧૭ના વર્ષમાં હેકટરદીઠ ૪૦ વૃક્ષો હતા: જે વધીને ૨૦૨૧ના વર્ષમાં હેકરદીઠ ૪૮ વૃક્ષો થયા છે
ખાસ લેખ: પરેશ ટાપણીયા
સુરત, 22 માર્ચ: Forest Prosperity of Surat: ૨૧મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ. ઈ.સ.૧૯૭૧ના રોજ ૨૩મી યુરેપિયન કન્ફેડરેશનલ ઓફ એગ્રીકલ્ચર’ની સામાન્ય સભામાં વન દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયુ હતું. જેથી યુનોએ સમગ્ર વિશ્વમાં ૨૧મી માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આજે વૃક્ષોના મહત્વ વિશે જેટલું કહીએ તેટલુ ઓછું છે. પર્યાવરણની રક્ષા માટે તડકો છાંયડો વેઠીને અડીખમ રહી મનુષ્યને ડગલે ને પગલે ઉપયોગી થતા વૃક્ષોનો અનેરો મહિમા છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાનું અમોઘ શસ્ત્ર જો કોઈ હોય તો તે સમગ્ર જીવસૃષ્ટિના આધાર સમા વૃક્ષો છે.
પ્રદૂષણ સામે ઝીંક ઝીલીને પર્યાવરણને શુદ્ધ રાખતા, જમીનનું ધોવાણ અને સમુદ્રની ખારાશને આગળ વધતી અટકાવતા પરમ હિતકારી સંત જેવા વૃક્ષોને સાચવવાની, ઉછેરવાની, સંભાળવાની જવાબદારી આપણા સૌની છે. વૃક્ષોનું જતન અને રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. જેથી ભાવિ પેઢીને સ્વસ્થ વાતાવરણ આપી શકીએ.
આ વર્ષે વિશ્વભરમાં ‘ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડકશન એન્ડ કન્ઝમ્પશન’ની થીમ પર વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત વનવિભાગ દ્વારા સુરત જિલ્લાને હરિત બનાવવા અને વન પ્રદેશમાં વધારો થાય, વધુમાં વધુ વૃક્ષોના વાવેતર થકી પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
સુરત જિલ્લાના નાયબ વન સંરક્ષક પુનિત નૈયર જણાવે છે કે, સુરત જિલ્લામાં ૫૦,૦૦૦ હેકટર વન વિસ્તાર આવેલો છે. જેમાં ડુમસ, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. સુરતના દરિયાકિનારાના વિસ્તારોમાં ૮૦૦૦ હેકટર વિસ્તારમાં ચેરના વૃક્ષો આવેલા છે. પ્રાકૃતિક આપદા, સુનામી જેવા સમયે ઢાલ બનીને અડીખમ ઉભા રહેતા ચેરના વૃક્ષોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. જિલ્લામાં જંગલ વિસ્તાર બહાર ૨૦૧૭ના વર્ષમાં હેકટરદીઠ ૪૦ વૃક્ષો હતા, જે ૨૦૨૧ના વર્ષમાં વધીને હેકટરદીઠ ૪૮ વૃક્ષો થયા છે.
નોંધનીય છે કે, વન વિભાગ દ્વારા વૃક્ષોની સંખ્યામાં વધારો થાય અને સુરતની વનસમૃદ્ધિ વધે એ માટે જિલ્લાની ૧૮૩ વનસમિતિઓ કાર્યરત છે. જંગલ વિસ્તારમાં સારી કામગીરી કરનારી સમિતિઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર આપવામાં આવે છે.