સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ ચાર સદસ્યોની કમિટી કરશે

સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી કરશે

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈ પ્રમાણે કરવામાં આવ્યો આદેશ

વડોદરા,૦૯ સપ્ટેમ્બર:પ્રશાસન દ્વારા મંગળવારના રોજ રાત્રીના સમયે સયાજી હોસ્પિટલના પહેલા માળે આવેલા કોવીડ આઇસીયુ માં આગની હોનારતને ગંભીરતા સાથે લઈને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના દિશાસૂચન પ્રમાણે સમુચિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેના અનુસંધાને જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી શાલિની અગ્રવાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ,2005 ની કલમ 30 ની જોગવાઈઓ પ્રમાણે ચાર સદસ્યોની તપાસ સમિતિ ની રચના કરવા હુકમ કર્યો છે.આ સમિતિને ઘટના સ્થળની મુલાકાત લઈ,ખૂબ ઝીણવટભરી તપાસ કરી વિગતવાર અહેવાલ વહેલામાં વહેલી તકે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ( વહીવટ) શ્રી સુધીર પટેલ ના વડપણ હેઠળ તેની રચના કરવામાં આવી છે.
આ સમિતિના અન્ય સદસ્યોમાં જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ, ગોત્રીના ડીન શ્રીમતી વર્ષા ગોડબોલે,આ સંસ્થાના જ એસોસિએટ પ્રાધ્યાપક(એનેસ્થેટિક) નીતા બોસ અને એમ.જી.વી.સી. એલ.,વડોદરાના અધિક્ષક ઇજનેર શ્રી બી.જે.દેસાઈ નો સમાવેશ થાય છે.