Screenshot 20200502 122230 01

ભારતીય મિશનોએ વિદેશમાં વ્યવસાય અને નિકાસની તકો ઓળખવી જોઈએ

શ્રી પિયૂષ ગોયલે ભારતને રોકાણ માટે પસંદગીનું સ્થાન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવા વિદેશમાં ભારતીય મિશનોને અપીલ કરી

ભારતીય મિશનોએ વિદેશમાં વ્યવસાય અને નિકાસની તકો ઓળખવી જોઈએ

વિદેશ મંત્રીએ જણાવ્યું કે, કોવિડ પછીના સમયગાળામાં ભારત માટે આર્થિક સ્થિતિ સુધારવાનો માર્ગ વેપાર અને રોકાણમાંથી મોકળો થશે by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલવે મંત્રી શ્રી પિયૂષ ગોયલે વિદેશમાં કાર્યરત ભારતીય રાજદૂત કચેરીઓ (મિશનો)ને તેઓ જે દેશોમાં કાર્યરત છે એ દેશોમાં ભારતીય વ્યવસાય અને નિકાસ માટેની તકો ઓળખવામાં તેમજ ભારતને રોકાણકારોની પસંદગીનું અને વિશ્વસનિય સ્થળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપીલ કરી હતી. તેમણે વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરની સાથે વીડિયો કોન્ફન્સિંગ દ્વારા મોડી સાંજે વિવિધ દેશોમાં કાર્યરત 131 મિશનો સાથે વાત કરી હતી.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, તમામે આ કોવિડ-19 સ્થિતિને પરિણામે ઊભા થયેલા પડકારને તકમાં ફેરવવા કામ કરવું પડશે અને આ માટે આપણા ઉદ્યોગોને સુધારવા નવા સુધારા રજૂ કરવા પડશે. તેમણે કહ્યું હતું કે, આપણે આર્થિક વૃદ્ધિ ત્રણ ગણી વધારે કરવાનો ઉદ્દેશ ધરાવવો જોઈએ. મંત્રીએ જાણકારી આપી હતી કે, ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ છે, જ્યાં કોવિડ પછીની સ્થિતિમાં ઊભી થનારી તકો વિશે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આજે આદરણીય પ્રધાનમંત્રીને મજબૂત લીડર, દેશ માટે સારી કામગીરી શકે એવા રાજનીતિજ્ઞ, વિકાસશીલ અને વિકસિત એમ બંને પ્રકારનાં દેશોને પ્રેરિત કરી શકે એવા નેતા તરીકે જોવામાં આવે છે. ભારતીય ફાર્મામાંથી આશરે 100 દેશોને લાભ થયો છે. ભારતે ભાઇચારાની ભાવના દર્શાવી છે અને આપણે ‘વસુદૈવ કુટુમ્બકમ’માં માનીએ છીએ. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, તમામ દેશો રોકાણની તકો એવા દેશોમાં શોધે છે, જ્યાં લોકશાહી, પારદર્શક પ્રક્રિયા, પારદર્શક અને તટસ્થ કાયદા વ્યવસ્થા, સ્વતંત્ર અને વિશ્વસનિય મીડિયા હોય. ભારતને વિશ્વસનિય પાર્ટનર તરીકે જોવામાં આવે છે એવું જણાવીને તેમણે કહ્યું હતું કે, ભારતીય મિશનો (ભારતીય રાજદૂતોની ઓફિસો)એ તેઓ જે દેશોમાં કાર્યરત છે એ દેશોમાં ઉપલબ્ધ વ્યાવસાયિક તકોની ઓળખ કરવાની સાથે આપણને મદદ કરવી પડશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ઇન્વેસ્ટ ઇન્ડિયા તથા રોકાણ અને આંતરિક વેપારના સંવર્ધન માટેના વિભાગ (ડીપીઆઇઆઇ) કારખાના અને ઉત્પાદન એકમો સ્થાપિત કરવા સિંગલ વિન્ડો ઊભી કરવા સંયુક્તપણે કામ કરી રહ્યાં છે. વિદેશોમાં સ્થિત ભારતીય રાજદૂતોના મિશનને અન્ય દેશોમાં તકો વિશે અહેવાલ આપવા જણાવીને શ્રી ગોયલે કહ્યું હતું કે, વેપાર અને રોકઆણને પ્રોત્સાહન ભારતીય રાજદૂતો અને મંત્રાલયોની સહિયારી જવાબદારી છે. તમામ ભારતીય રાજદૂતોને કોવિડ-19 પછી તકો પર દરખાસ્ત મોકલવા જણાવવામાં આવ્યું છે. આ દરખાસ્તમાં નવીન  વિચારો હોવા જોઈએ અને એ રજૂ કરવી પડશે, જેમાં નિકાસ વધારવાના સૂચનો સામેલ હોવા જોઈએ. તેમણે મિશનોને લેટેસ્ટ ટેકનોલોજી શીખવા અને એને સ્વીકારવા અપીલ કરી હતી. તેમણે તમામ મિશનની યુદ્ધના ધોરણે કામ કરવા બદલ પ્રશંસા કરી હતી. તમામ મિશનોએ રોજિંદી કામગીરીમાં વાણિજ્યિક કામગીરીઓ હાથ ધરવી જોઈએ. તેમણે નેટવર્કિંગ શરૂ કરવાની, કંપનીઓ સાથે ચર્ચા કરવાની પ્રક્રિયા શરૂ કરવાની, વ્યાવસાયિક જાણકારી આપવાની અને નવા સંપર્કો ઊભા કરવાની તથા ભારતમાં અમલ કરી શકાય તથા અન્ય દેશોમાં ભારત માટે લડી શકે એવી ટેકનોલોજીની ઓળખ કરવાની જરૂર છે.

વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, આ રોગચાળાનું એક પરિણામ એ મળ્યું છે કે, આખી દુનિયા હવે એક દેશ કે વિસ્તાર પરની નિર્ભરતાના પરિણામોથી વાકેફ થઈ છે. ભારતે પોતાનો વિકાસ કરવા માટે આ તકને ઝડપી લેવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાનાં તમામ દેશોને અસર થઈ હોવાથી ભારત માટે આર્થિક સ્થિતિને સુધારવાનો માર્ગ વેપાર અને રોકાણ દ્વારા મોકળો થશે. હવે ભારતીય રાજદૂતોએ તેમની ઓફિસોમાંથી બહાર નીકળવાની જવાબદારી લેવી પડશે, નેટવર્કિંગ કરવું પડશે, કંપનીઓ સાથે વાત કરવી પડશે અને તેમને ભારતમાં રોકાણ કરવા માટેના વિવિધ ફાયદા ગણાવવા પડશે. તેમણે ફાર્માસ્યુટિકલ અને કૃષિ ક્ષેત્રોમાં તથા આફ્રિકાના દેશોમાં રહેલી તકોની ઓળખ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રાજદૂતોએ વિદેશમાં સક્રિય થવાની સાથે ભારતમાં અને દેશમાં મંત્રાલયો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરવું પડશે.

વાણિજ્ય સચિવ ડો. અનુપ વાધવાને નિકાસ વધારવામાં ઊંચી સંભવિતતા વિશે જણાવ્યું હતું, જેને વાણિજ્ય મંત્રાલય દુનિયામાં દેશોમાં સ્થિત ભારતીય રાજદૂતોની મદદ સાથે હાંસલ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાનાં દેશોમાં સ્થિત ભારતીય રાજદૂતોના મિશનથી આપણને વિવિધ દેશોમાંથી કાચો માલ ખરીદવામાં મદદ મળી છે. તેમણે પ્રદાનનાં 3 ક્ષેત્રોની ઓળખ કરી હતી – આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસમાં વધારો કરવો; ભારતમાં પ્રવાસનને વેગ આપવો અને ભારત સ્વીકારી શકે એવી મૂલ્યાંકન ટેકનોલોજી માટેની જરૂરિયાત.