અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે “સી” પ્લેન સેવા ફરી શરૂ થશે
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૧૮ ડિસેમ્બર: સરદાર પટેલની જન્મ જયંતિ 31 મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદી દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવાની શરૂઆત કરાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચ્યા હતા.50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ “સી” પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું.ત્યાર બાદ વડાપ્રધાને તેની શરૂઆત કરાવી હતી.28 મી નવેમ્બરે આ “સી” પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું, અને અસ્થાયી ધોરણે “સી” પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી. જેને લીધે સી પ્લેન હવે શરૂ નહીં થાય તેવો વિવાદ સર્જાયો હતો
“સી” પ્લેનની સેવા શરૂ થવાના 28 દિવસોમાં જ “સી” પ્લેન મેન્ટેનન્સ માટે મોકલાતા અનેક તર્ક વિતર્કો પણ ચાલી રહ્યા હતા, બીજી બાજુ ટૂંક સમય માં જ ઉડાન યોજના હેઠળ સરકાર પુનઃ આ પ્લેન સેવા શરૂ કરાશે એવી આધારભૂત સૂત્રોએ માહિતી પણ આપી હતી.આ તમામની વચ્ચે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “સી” પ્લેન સેવા ફરી શરૂ થશે એવી સ્પાઈસ જેટ તરફ થી જાહેરાત કરતા પ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
“સી” પ્લેન સેવા અમદાવાદ (સાબરમતી રિવરફ્રન્ટ) અને ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ યુનિટી વચ્ચે 27 ડિસેમ્બરથી ફરીથી શરૂ થશે એવી સ્પાઈસ જેટે જાહેરાત કરી છે.સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘સ્પાઇસ જેટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્પાઈસ શટલ 27 ડિસેમ્બર, 2020 થી અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયાની સ્ટેચ્યુ યુનિટી વચ્ચે “સી” પ્લેન સેવા ચાલુ કરશે.મુસાફરો માટે “સી” પ્લેન સર્વિસનું બુકિંગ 20 ડિસેમ્બર, 2020 થી ખુલશે.આ ફ્લાઈટ સેવા સ્પાઈસ જેટની સંપૂર્ણ માલિકીની પેટા કંપની, સ્પાઇસ શટલ દ્વારા સંચાલિત છે.અને આ ફ્લાઈટ્સ માટે 15 સીટરની “ટ્વીન ઓટર 300” તૈનાત કરવામાં આવી છે. પુનઃ સી પ્લેન શરૂ થશે ની જાહેરાતે પ્રવાસીઓ માં આનંદ ની લાગણી ફેલાઈ છે