VGGS 2024

VGGS 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ દરમિયાન સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું પોલીસ દ્વારા સુદ્રઢ આયોજન

VGGS 2024: સમગ્ર બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેચવામાં આવ્યો

ગાંધીનગર, 06 જાન્યુઆરી: VGGS 2024: ગાંધીનગરના રેન્જ ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આગામી 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ સમિટમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો પધારવાના છે, જેને અનુલક્ષીને સુરક્ષા અને સલામતીનો સુચારૂ અને વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યો છે, જેનું આવતીકાલથી રીહર્સલ શરુ કરવામાં આવશે. સુરક્ષા પ્રબંધ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો થી થશે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રીના વરદહસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે.

આ સમગ્ર બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સિટી, રાજ ભવન, રોડ બંદોબસ્ત અને મોર્ચા સ્ક્વૉડનો સમાવેશ થાય છે. જેમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP, 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્ક્વૉડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તહેનાત રહેશે. એટલું જ નહિ, આડેધડ પાર્કિંગ ન થાય તેની તકેદારી માટે 34 ટ્રાફિક ક્રેઇન પણ શહેરના માર્ગો પર ફરશે.

મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન તથા ગિફટ સિટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા થ્રીડી મેપીંગ કરવામાં આવ્યુ છે તથા જરૂરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કિંગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી-એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે. ડિપ્લોયમેન્ટ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ માટે સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

કોમ્યુનિકેશન માટે ફ્રીકવન્સી ચેનલ ઉભી કરવામાં આવેલ છે. તમામ સ્થળો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દવારા સિકયુરિટી મોનિટરિંગ માટે અલગ-અલગ કંન્ટ્રોલ રૂમ તેમજ સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે તથા અમદાવાદ શહેર તથા ગાંધીનગર જીલ્લા પોલીસ એક બીજા સંકલનમાં રહે તે માટે રીપીટર થ્રુ ચેનલ ઉભી કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સમગ્ર કાર્યક્રમમાં ટ્રાફીક નિયમન માટે અલગ અલગ રૂટના ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જે અંતર્ગત જાહેરનામા પ્રસિધ્ધ કરાવવામાં આવ્યા છે. જાહેરનામા અંતર્ગત ભારે વાહન માટે અમદાવાદ રિંગ રોડ ઉપર નાના ચિલોડાથી વૈષ્ણોદેવી સુધી તેમજ ઝુંડાલથી એપોલો સર્કલ તરફ જતો માર્ગ પ્રતિબંધિત કરવામાં આવેલ છે.

નાના ચિલોડાથી સેક્ટર-30 સર્કલથી ક-7 ઉવારસદ થઇ બાલાપીર દરગાહ તરફ ડાયવર્ઝન કરેલ છે, તેમજ એપોલો સર્કલથી અને તપોવન સર્કલ તરફથી આવતાં ભારે વાહનો ઝુંડાલ સર્કલ થઇ ઉવારસદ ગામથી વાવોલ ગામ થઇ ક-7 થી સેક્ટર-30 સર્કલ થઇ મોટાં ચીલોડા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં ઇન્ટર્નલ ડાયવર્ઝનમાં 1 થી 7 નંબરના રોડનો ઉપયોગ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તથા મહાત્મા મંદિરની મુલાકાત લઈ રહેલા મહાનુભાવોની અવર-જવર માટે ‘ખ’ તેમજ ‘ગ’ રોડને આરક્ષિત કરવામાં આવ્યાં છે. સમાપન કરતા તેમણે જણાવ્યું કે, કાર્યક્રમ સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા સમગ્ર ક્રાર્યકમનું ઝીણવટભર્યુ આયોજન કરવામાં આવેલ છે.

આ પણ વાંચો… Aditya L-1 Point Land: ઈસરોએ રચ્યો ઈતિહાસ, L1 પોઈન્ટ પર પહોંચ્યુ આદિત્ય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો