Power crisis:દેશ પર આવ્યુ વીજ સંકટ, રાજ્યોમાં કલાકોનો વીજ કાપ શરૂ- વાંચો વિગત
Power crisis: ભારતમાં 70 ટકા વીજ ઉત્પાદન કોલસાથી થાય છે ત્યારે કોલસાની અછતનો સીધો અર્થ થાય છે કે, વીજળી ગુલ થવાનો ખતરો વધી ગયો છે
નવી દિલ્હી, 09 ઓક્ટોબરઃ Power crisis: ચીન બાદ ભારત પણ અભૂતપૂર્વ વીજ સંકટનો સામનો કરી રહ્યુ છે અને તેની પાછળનુ કારણ કોલસાની અછત છે. કોલસાથી ચાલતા દેશના 135 જેટલા પાવર પ્લાન્ટસમાંથી 50 ટકા પ્લાન્ટ પાસે 2 થી ચાર દિવસ ચાલે તેટલો જ કોલસો રહ્યો છે. ભારતમાં 70 ટકા વીજ ઉત્પાદન કોલસાથી થાય છે ત્યારે કોલસાની અછતનો સીધો અર્થ થાય છે કે, વીજળી ગુલ થવાનો ખતરો વધી ગયો છે અને તેમાં પણ આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે. આ દરમિયાન વીજળીની માંગ વધી જતી હોય છે. ઔદ્યોગિક અને ઘરેલૂ વીજ ડીમાન્ડ આ સમયગાળા દરમિયાન પીક પર હોય છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ વીજ માંગ ઝડપથી વધી છે અને કોરોના પહેલા 2019માં આ સમયે જેટલી વીજળીની જરુરિયાત હતી તેના મુકાબલે હાલમાં 19 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે કોલસાની કિંમતોમાં 40 ટકાનો ઉછાળો આવ્યો છે. તેના કારણે ભારતની કોલસાની આયાત બે વર્ષની સૌથી નીચી સપાટીએ છે. દુનિયામાં સૌથી મોટા બીજા ક્રમના કોલસાના આયાતકાર અને કોલસાના સ્ટોકમાં ચોથા ક્રમે રહેતા ભારત પાસે હાલમાં પૂરતો સ્ટોક નથી.
કોલસાની અછતથી કેટલાક પાવર પ્લાન્ટમાં ઉત્પાદન બંધ થઈ ગયુ છે. જેની અસર હવે રાજ્યો પર અનુભવાઈ રહી છે. દિલ્હીમાં વપરાશકારો પાસે વીજ કંપનીના સંદેશા પણ આવવા માંડ્યા છે કે, કોલસાની અછતથી કેટલાક કલાકો સુધી વીજ કાપ માટે તૈયાર રહેજો. કેટલાક રાજ્યોમાં અઘોષિત વીજ કાપ શરૂ કરાયો છે. અન્ય રાજ્યોમાં પણ આ નોબત જલ્દી આવી શકે છે. પંજાબના પટિયાલા જેવા શહેરોમાં ચાર ચાર કલાક વીજ કાપ થઈ રહ્યો છે.
યુપીમાં આગામી દિવસોમાં વીજ સંકટ વઘારે ઘેરૂ બની શકે છે. અહીંના અધિકારીઓના કહેવા પ્રમાણે 15 ઓક્ટોબર પહેલા કોલસાની સપ્યાલમાં કોઈ જાતનો વધારો થાય તેવુ દેખાઈ રહ્યુ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ચાર થી પાંચ કલાક અને શહેરોમાં પણ કલાકો સુધી વીજ કાપનો સામનો લોકો કરી રહ્યા છે.
રાજસ્થાનમાં ત્રણ મહિનાથી વીજ સંકટ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સાત થી આઠ કલાકનો વીજ કાપ છે. રાજધાની જયપુરમાં ચાર કલાક વીજ કાપના આદેશ અપાયા છે. કોલસાની અછતના કારણે વીજ ઉત્પાદન ઓછુ હોવાથી આ પ્રકારે કાપ મુકવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ indias economy: ભારતીય અર્થવ્યવસ્થાને લઇને વર્લ્ડ બેંકનું અનુમાન, કોરોના મહામારી બાદ આટલો રહેશે ભારતનો GDP
મધ્યપ્રદેશમાં પણ પાવર પ્લાન્ટમાં પુરી કેપિસિટીથી ઉત્પાદ થઈ રહ્યુ નથી. કોલ ઈન્ડિયાને હવે સરકાર બાકી પડતા પૈસા ચુકવવાની વ્યવસ્થા કરી રહી છે.