Public V/s Government: નફો રળવા – નીચ કૃત્ય !
Public V/s Government: ભારતમાં કોવિશિલ્ડ 2 એમ.એલ. માં મળી આવી હતી. જ્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ 2 એમ.એલ.ની કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન જ નથી કરતું !
Public V/s Government: આખું વિશ્વ કોરોના મહામારીમાંથી બહાર આવવા મથે છે, મોટાભાગના દેશો સમયાંતરે આવતી લહેરોથી ત્રસ્ત છે. ભારત પણ ત્રીજી લહેર ટાળવા અનેક ઉપાયો અજમાવી રહ્યું છે. જે દેશો પાસે ઉપલબ્ધ છે તે દેશો પોતાના નાગરિકોના વેક્સિનેશન પર જોર આપી રહ્યા છે. કેમ કે કોરોના મહામારી વિરુદ્ધ વેક્સિન જ સૌથી મોટો હથિયાર માનવામા આવી રહ્યું છે. ભારતમાં પણ આ આંકડો ૫૫ કરોડ આસપાસ પહોંચવાની તૈયારીમાં છે ત્યારે એક વિચલિત કરનાર સમાચાર જાણવા મળ્યા. ભારત અને યુગાંડામાં નક્લી કોવીશીલ્ડ મળવાની ઘટના સામે આવી છે. ભારતમાં કોવિશિલ્ડ 2 એમ.એલ. માં મળી આવી હતી. જ્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ 2 એમ.એલ.ની કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન જ નથી કરતું. બીજી તરફ યુગાંડામાં એક્સપાયર થયેલ કોવિશીલ્ડ વેસ્કિન મળી હતી, જોકે સીરમે પોતે તે વેક્સિન બનાવ્યાનો ઈન્કાર કર્યો હતો. નકલી કોવિશીલ્ડ વેક્સિન લોકો પર ગંભીર જોખમ પેદા કરી શકે છે.
બીજી તરફ રાજકોટની અલગ અલગ ડેરીઓમાં નકલી દૂધ પધરાવતો શખ્સ પકડાયો છે. આ માણસ છેલ્લા એક વરસથી નકલી દૂધ સપ્લાય કરતો હતો. દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. પ્રસૂતાઓ અને બાળકોને તો રોજિંદા આહારમાં દૂધ પીવાનો આગ્રહ કરાય છે. એક જ દિવસમાં એક હજાર લીટર નકલી દૂધ પકડવામાં આવ્યું છે. જે રીતે બૂટલેગર દારૂની હેરફેર કરે એ જ રીતે નકલી દૂધનું નેટવર્ક ચલાવવામાં આવે છે. દૂધ લઈને આવનાર વ્યક્તિને દૂધ પીવાનું કહેતાં તેણે તે દૂધ પીવાનો સાફ ઈનકાર કર્યો હતો. દૂધ કેટલું હાનિકારક હશે.
વિચાર કરો આ માણસે એક વરસ દરમ્યાન કેટલા માણસોના જીવ જોખમમાં મુક્યા હશે ! અરે આ નકલી દૂધના કારણે કોઈક બાળકોના મૃત્યુ સુધ્ધાં થયા હશે. જોકે આ કાંઈ પહેલી ને છેલ્લી ઘટના નથી. નકલી દેશી ઘી શુદ્ધ ઘી ના ડબ્બામાં પેક થાય છે, નકલી તેલ બને છે. જયારે માણસો ટપોટપ મરતા હતા ત્યારે ‘જીવનદાતા’ રેમડેસિવિર ઇન્જેક્શન, ગ્લુકોઝ તથા મીઠાંનું પાણી ભરી બનાવનારા વેચનારા વેચતા પકડાયા જ હતા. થોડાક રૂપિયાના નફા માટે આવા નીચ કૃત્ય કરતા લોકો સમસ્ત માનવ જાત માટે કલંક છે.
Public V/s Government: સુરતમાં થોડાક મહિના પહેલા લોકોના સ્વાસ્થ્યને ગંભીર ફટકા મારતા ગુટખા, બનાવટી બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં હતું. સામાન્ય સંજોગોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ગુટખાનું ડુપ્લિકેશન કેટલા ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
આવા નકલી ઉત્પાદનો, બનાવનાર અને વેચનાર બંને સમાજ, રાજ્ય, રાષ્ટ્રના તો ગુનેગાર તો છે જ સાથે જ માનવીય મૂલ્યો માટે પણ ગંધાતી પ્રજાતિ છે આ લોકો તો હત્યારા કરતા પણ વધુ ઘાતકી કૃત્ય કરે છે, તેઓ અનેક લોકોને મૃત્યુના મુખમાં ધકેલે છે.
આ મહામારીનો ફાયદો ઉઠાવવા નકલી કોવીશીલ્ડ, નકલી ઇન્જેક્શન, નકલી દવા બનાવનાર અને વેચનારને પરિવારમાં, કુટુંબમાં કે નજીકના વર્તુળમાં કોઈ જણાતું-ઓળખતું જ હોય ? આવા લોકોને છાવરીને, બચાવીને પરિવાર, કુટુંબ કે નજીકના સભ્યો પણ જાણે-અજાણે તેમના નીચ કૃત્યમાં સાથ આપી રહ્યા છે. લોકો એ પણ જાગૃત થવાની જરૂર છે. આસપાસ થતી શંકાસ્પદ પ્રવૃત્તિ પર તંત્ર શાસનનું ધ્યાન દોરવું જોઈએ અને તંત્રે કોઈપણ પ્રકારની લાલચ, પ્રલોભન કે પ્રભાવમાં આવ્યા વગર કાર્યવાહી કરવી જોઈએ.
સરકારે આવા લોકો વિરુદ્ધ સખત અભિયાન ચલાવી તાત્કાલિક સજાનો અમલ કરવાની જરૂર છે. જ્યાં સુધી આવા કૃત્યો કરનાર ગુનેગારો છટકતા રહેશે તેઓ પર લગામ લગાવી અશક્ય છે. ઉત્તર પ્રદેશ સરકારે ગંભીર ગુનાહિત કૃત્યો કરનાર, લોકોના જીવન સાથે છેડા કરનારના ફોટા જાહેરમાં લગાડવાનો પ્રયોગ કર્યો છે. દેશના બધા રાજ્યો આ રીતિ, નીતિ અપનાવી શકે છે. નકલી ઇન્જેક્શન, નકલી દૂધ કે નકલી વેક્સીન બનાવનાર ગંભીર ગુનેગારની શ્રેણીમાં જ આવે.