સીએમ રુપાણી(CM vijay rupani)એ ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરનારા ગુનેગારોને ઝડપથી શોધીને કેસ ઉકેલનારી પોલીસ ટીમને 10 લાખનું ઇનામ આપવાની કરી જાહેરાત
ગાંધીનગર, 01 એપ્રિલઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી(CM vijay rupani)એ વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું અપહરણ કરી રૂ. ૩૦ કરોડની ખંડણીની માંગણી કરનારા ગુનાહિત તત્વોને ઝબ્બે કરી ગુનાનો ભેદ ઉકેલનારી પોલીસ ટીમને રૂ. ૧૦ લાખનું પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે ગૃહમાં નિયમ-૧૧૬ હેઠળની આ વિષયની તાકીદની જાહેર અગત્યની બાબતની ચર્ચા દરમ્યાન મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું તા.રરમી માર્ચે ૬ જેટલા ગુનાહિત તત્વોએ બળજબરીથી અપહરણ કરી રૂ. ૩૦ કરોડની ખંડણીની માંગણી કરી હતી. આ કિસ્સામાં ઉમરગામ પોલીસ મથકમાં દાખલ થયેલી ફરિયાદના આધારે વલસાડ જિલ્લા પોલીસ, સુરત રેન્જ, સુરત શહેર અને એ.ટી.એસ.ના ચૂનંદા અધિકારીઓની ટીમોએ તપાસ સઘન બનાવી હતી.
ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ગુન્હાઓના ભેદ ઉકેલવા તેમજ ગુનેગારોના મૂળ સુધી જવાની જે આગવી કાર્યપદ્ધતિ વિકસાવી છે તેનો આ ગુનાની તપાસ માટે સુઆયોજિત ઉપયોગ કરવામાં આવ્યો હતો. તદઅનુસાર, તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે VISWAS-પ્રોજેકટ ફેઇઝ-1 ના સી.સી.ટી.વી કેમેરા ઉપરાંત વડોદરાથી મુંબઇ સુધીના તેમજ અન્ય વિસ્તારોના મળી ૭પ૦ કિ.મીટર સુધીના રોડ-રેલ્વે માર્ગના ૧૦૦૦ ઉપરાંતના સી.સી. કેમેરાના ફૂટેજ આ તપાસ ટીમે ચકાસ્યા હતા. ગુજરાત પોલીસે અપહરણ થયેલા બિલ્ડરના ફોનના સિમકાર્ડ પરથી આવેલા ફોનનું પણ ટેકનીકલ એનાલીસીસ કર્યુ હતું. આ બધાના આધારે સુરત રેન્જ પોલીસની તમામ ટીમો તથા એ.ટી.એસ, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર પોલીસના સુચારૂ સંકલનથી આવી અદ્યતન ટેકનોલોજીના સમુચિત ઉપયોગ દ્વારા ખૂબ જ ટુંકા સમયમાં ગુનેગારોને ઝડપી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ટેકનોલોજીના ઉપયોગ અને અપહરણ થનાર બિલ્ડરને કોઇ પણ હાનિ થયા વિના અને ખંડણીનો એક પણ રૂપિયો આપ્યા વિના સહિ-સલામત છોડાવી લાવનારી સમગ્ર ટીમની સફળતા અને ફરજ પરસ્તીની પ્રસંશા તથા પ્રોત્સાહન રૂપે આ રૂ. ૧૦ લાખનું ઇનામ આપવાની જાહેરાત વિધાનગૃહમાં કરી હતી.
આ પણ વાંચો….