lion

Gujarat Sanctuary: ‘પ્રાણીઓ – યાયાવર’ પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય

  • Gujarat Sanctuary: વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં ચાલુ વર્ષે અંદાજે ૧૮ થી ૨૦ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા
  • છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓમાં અનુક્રમે ૩૫૫ અને ૨૭૬ ટકાનો વધારો
  • રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશે
google news png


ગાંધીનગર, 04 ડિસેમ્બર: Gujarat Sanctuary: ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. જેના ફળરૂપે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ – યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે. વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં મોર,નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

આ ઉપરાંત રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં ચાલુ વર્ષે ૨૦૨૪માં અંદાજે ૧૮ થી ૨૦ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૦માં થોળ પક્ષી અભયારણ્યમાં ૩૧,૩૮૦ પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ ૨૦૨૪માં વધીને ૧.૧૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ ૨૦૧૦માં ૧.૩૧ લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૪માં ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે ૩૫૫ અને ૨૭૬ ટકાનો વધારો નોંધાયો છે. જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.

Gujarat Sanctuary

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલના માર્ગદશનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી-પક્ષી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વસ્તી અંદાજ- ગણતરી ૨૦૨૩ મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર ૨.૮૫ લાખથી વધુ, નીલગાય ૨.૨૪ લાખથી વધુ, વાંદરા ૦૨ લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા.

આ ઉપરાંત ૯,૧૭૦ કાળીયાર, ૮,૨૨૧ સાંભર, ૬,૨૦૮ ચિંકારા, ૨,૨૯૯ શિયાળ, ૨,૨૭૪ દિપડા, ૨,૨૭૨ લોંકડી, ૨,૧૪૩ ગીધ, ૧,૪૮૪ વણીયર, એક હજારથી વધુ ચોશીંગા આ સિવાય નાર/ વરુ, રીંછ અને ભેંકર સહિત કુલ ૯.૫૩ લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લી વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા ૬૭૪થી વધુ, વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ ૬૮૦ જેટલી ડોલ્ફિન તેમજ ૭,૬૭૨ જેટલા ઘુડખરની વસ્તી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.

વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વિવિધ પહેલ:
વન વિભાગની વન્યપ્રાણી શાખા દ્વારા રાજ્યના તમામ જિલ્લા સ્તરે ઉપસ્થિત થતા વન્યપ્રાણીઓ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ અર્થે વન્યપ્રાણીઓના અવર જવર વાળા વિસ્તાર તેમજ સ્થાનિક લોકોના નિવાસના વિસ્તારોમાં વન્યપ્રાણી રેસ્ક્યુ રીલિઝ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. વન્યપ્રાણી અને માનવ વચ્ચેના ઘર્ષણ નિવારવા અંગેના વિવિધ ઉપાયો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:- Habit of drinking coffee at night: શું તમને પણ રાત્રે કોફી પીવાની ટેવ છે? તો અપનાવો આ વિકલ્પ

કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર તૈયાર કરવા મંજૂરી મળી છે. આ બ્રિડીંગ સેન્ટર સંબંધિત વિવિધ પાસાઓના અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા ગુજરાતના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં બ્રિડીંગ સેન્ટર ખાતે બ્રિડીંગ માટે રાખવામાં આવેલા વન્યપ્રાણીઓ તેમજ નવા જન્મેલ વન્યપ્રાણીઓ બ્રિડીંગ માટે જરૂરીયાત મુજબના વન્યપ્રાણીઓ રાખી અન્ય બ્રિડીંગ સેન્ટર તેમજ જંગલ વિસ્તારમાં સરપ્લસ વન્યપ્રાણીઓ મુકત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન વન વિભાગ દ્વારા ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે જેમાં, પતંગની દોરી સહિત વિવિધ રીતે ઘાયલ હજારો પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત કરવામાં આવે છે.

દર વર્ષે ૦૪ ડિસેમ્બરે ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ ઉજવાય છે. આ દિવસે લુપ્તથતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યજીવો અને પક્ષીઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે, જે રાજ્યના નાગરિકો માટે ગૌરવની વાત છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો