Millets Pizza

Millet’s Pizza: આંતરરાષ્ટ્રીય મિલેટ યર નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિલેટ્સ પીત્ઝાનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

Millet’s Pizza: સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ માટેની જાગૃતિમાં રાગી સુપર ક્રસ્ટ પિત્ઝાની શરૂઆત મહત્ત્વનું પગલું સાબિત થશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 02 જુલાઈઃ Millet’s Pizza: જ્યુબીલીએન્ટ ફૂડવર્ક્સ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત મિલેટ્સ પિત્ઝા લોન્ચિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણા દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમસ્યા પહેલા જ સમાધાન શોધી લે છે. વિશ્વ કલ્યાણના પ્રયાસોમાં ભારતના પ્રદાન માટે તેઓ હંમેશાં તત્પર રહે છે.

યોગ, પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી, પ્રાકૃતિક ખેતી અને સ્વાસ્થ્યપ્રદ અન્નના વ્યાપક ઉપયોગની પ્રેરણા પણ તેમણે જ પૂરી પાડી છે ત્યારે આજથી શરૂ થતા અન્નમાંથી બનેલા પિત્ઝા સફળ થશે અને લોકોમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે જાગૃતતા વધારશે, તેવું મુખ્યમંત્રીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મિલેટ યર નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે મિલેટ્સ પિત્ઝાનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે રાગીના બેઝ સાથે નિર્મિત વેરાયટી ‘રાગી ક્રસ્ટ પિત્ઝા’નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ તકે મુખ્યમંત્રીએ સાણંદમાં બનનાર જ્યુબીલીએન્ટ ફૂડવર્ક્સના યુનિટનો ઈ-શિલાન્યાસ પણ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આપણી જીવનશૈલી ખૂબ બદલાઈ છે. અગાઉના સમય સાથે તુલના કરીને તેમણે ઉમેર્યું હતું કે હવે ૪૦ વર્ષ બાદ નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું પડે છે. તેની પાછળ બદલાયેલી ભોજન પદ્ધતિ અને વાનગી કારણભૂત છે. હાલમાં બાળકો અને યુવાનોમાં પિત્ઝા-બર્ગર જેવી વાનગીઓનું ચલણ વધ્યું છે. ત્યારે પિત્ઝાના બેઝમાં પરિવર્તનની આ પહેલને તેમણે ખૂબ સારી ગણાવી હતી.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બદલાયેલી જીવનશૈલી વચ્ચે સતત આગળ કેવી રીતે વધવું તેની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપે છે. રાસાયણિક ખાતરને કારણે જમીન અને માણસ બંનેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ છે. આ સમસ્યામાંથી બચવાનો ઉપાય પ્રાકૃતિક ખેતીની પહેલ સ્વરૂપે વડાપ્રધાનએ આપ્યો છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણે માત્ર જમીનની ગુણવત્તા જ નહીં ભવિષ્ય પણ સુધારી શકીશું. આ સંદર્ભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતીની જાગૃતિ માટેના પ્રયાસોને તેમણે સ્તુત્ય ગણાવ્યા હતાં.

આ ઉપરાંત ગુજરાત સરકારના પ્રયાસો વિશે જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, મિલેટ એક્સપો, મિલેટ ફેસ્ટિવલ, વર્કશોપ, ખેડૂતોને તાલીમ, બિયારણ વિતરણ તથા માહિતીની પુસ્તિકાનું વિતરણ વગેરે દ્વારા પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવામાં ખૂબ મદદ મળી છે.

વિશ્વના સૌથી મોટા પાંચમા અર્થતંત્ર તરીકે ભારતની સિદ્ધિનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે દરેક ક્ષેત્રે ભારત વૃદ્ધિ કરી રહ્યું છે તેની પાછળ નરેન્દ્રભાઇનું ઉત્તમ નેતૃત્વ છે. આજે દુનિયાના દેશોમાં આર્થિક દૃષ્ટિએ ચિંતાજનક સ્થિતિ છે ત્યારે તેની સામે નરેન્દ્રભાઈના સક્ષમ નેતૃત્વમાં ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભરી રહ્યું છે.

વડાપ્રધાનએ બેક ટુ બેઝિક, બેક ટુ નેચરની જે પરિપાટી વિકસાવી છે તેનાથી દેશને ઘણો ફાયદો થયો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારનાં ૯ વર્ષ પૂર્ણ થયા હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ પૂર્ણ થયાં છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એપ્રિલ ૨૦૨૩માં દેશમાં ૧.૮૭ લાખ કરોડનું વિક્રમજનક GST કલેક્શન થયું છે. ટેક્સની આવક વધવી એ અર્થતંત્ર અને રોજગારી માટે સકારાત્મક નિશાની છે. અનેક વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની નિરંતર વૃદ્ધિ નરેન્દ્રભાઇના નેતૃત્વને આભારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સ્વાગત સંબોધન કરતા જ્યુબીલીએન્ટ ફૂડવર્ક્સના પ્રેસિડેન્ટ અવિનાશ કાંત કુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મિલેટ બેઝડ પિત્ઝાના વિચારને સાકાર કરવાનો આનંદ છે. મિલેટ યર જેવી પહેલ માટે અમે સરકારને સતત સહયોગ આપતા રહીશું. સાથોસાથ રોજગારી અને નાગરિકોને ગુણવત્તાયુક્ત આહાર મળે તે દિશામાં કંપનીનો પ્રયાસ રહેશે તેવી ખાતરી તેમણે આપી હતી.

આજના સમારોહમાં કંપનીએ ડુંગળી, લસણ વગરની વેરાયટી શરૂ કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે જ્યુબીલીએન્ટ ફૂડવર્ક્સના કો-ચેરમેન હરિ એસ. ભારટીયા, પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર સમીર બત્રા સહિત ઉચ્ચ હોદ્દેદારો, કંપનીના કર્મચારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Hasyamev Jayate: જીવનમાં ખૂબ જ ઉત્સાહ લાવે છે હાસ્ય…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો