Water crisis: ગુજરાતમાં ઉભુ થયું જળસંકટ, રાજ્યના 33માંથી 13 જિલ્લાના ડેમ ખાલી
Water crisis: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી
ગાંધીનગર, 26 એપ્રિલઃ Water crisis: ઉનાળો શરુ થવાની સાથે જ આ ગુજરાતમાં જળસંકટ ઉભુ થયું છે. સતત બદલાતા વાતાવરણની વચ્ચે ચોમાસામાં જોઇએ એવો વરસાદ પડ્યો નથી, અને હાલ ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે. હાલની પરિસ્થિતિને જોતા રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ છે. રાજ્યના જળાશયોમાં માત્ર 53 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યુ છે. એટલે કે હજી તો ઉનાળો આખો લેવાનો બાકી છે ત્યાં જ અત્યારથી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.
રાજ્યમાં ઉભુ થયું જળસંકટ
રાજ્યના કુલ 207 ડેમમાં 39 ટકા જેટલું પાણી બચ્યું છે. જ્યારે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત 13 જિલ્લાના ડેમ ખાલી છે. આમ વાત કરીએ કચ્છના 20 ડેમની તો તેમાં વાપરવા માટે 14.21 % જ પાણી બચ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં વાપરવાનું 9.48% જ પાણી બચ્યું છે. આ સાથે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં વાપરવાનું 43.03% જ પાણી બચ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં વાપરવાનું 59.12% અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં વાપરવાનું 37.03% જ પાણી બચ્યું છે.
સૌથી ઓછું પાણી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં
સૌથી વધુ વિકટ પરિસ્થિતિ કચ્છ અને ઉત્તર ગુજરાતની થશે કારણ કે કચ્છ જિલ્લાના ડેમમાં માત્ર 14.21 % પાણીનો જથ્થો સંગ્રહ છે. આ સાથે ઉત્તર ગુજરાત પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં માત્ર 9.48 % જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે. ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના જળાશયોમાં સાબરકાંઠા જિલ્લાના જળાશયોની સ્થિતિ વિકટ છે. સાબરકાંઠામાં માત્ર 5.65 % પાણીનો જથ્થો સંગ્રહિત છે. મહેસાણા જિલ્લાની સ્થિતિ થોડી સારી જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રમાં જળાશયોમાં જળસંકટની ચિંતા !
સૌરાષ્ટ્રના 141 ડેમમાં પાણીના સંગ્રહના આંકડા સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં હાલ 37.03 % પાણીનો જથ્થો સંગ્રહિત છે.પાણીનો જથ્થો છે તેને જોતાં સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાવાનાની શક્યતા જોવાઇ રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાણીનો સંગ્રહ 40 ટકાથી ઓછો જોવા મળી રહ્યો છે.જિલ્લામાં પાણીનો સંગ્રહ ઓછો છે તે જિલ્લામાં પાણી સમસ્યા માટે સરકારે અત્યારથી જ નક્કર પગલાં લેવા પડશે નહીંતો આગામી મહિનાઓમાં પાણીની સમસ્યા ઉદ્ભવી શકે છે.