અદાણી ગ્રુપ(adani group)માં કરોડો રૂપિયાનું રોકાણ કરનારા 3 વિદેશી અકાઉન્ટ ફ્રીઝ, આ જાહેર થતા જ શેર ગગડ્યા
બિઝનેસ ડેસ્ક, 14 જૂનઃ adani group: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે (NSDL) અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડનું રોકાણ કરનાર ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)ના એકાઉન્ટ સ્થગિત કર્યા છે. NSDLએ આલ્બ્યુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. ડિપોઝિટરીની વેબસાઇટ અનુસાર, આ એકાઉન્ટ 31 મે અથવા તે પહેલાં સ્થગિત કરવામાં આવ્યા છે. આ અંગે હજુ સુધી અદાણી ગ્રૂપ અને ત્રણેય ફંડ્સ તરફથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.
વિદેશી રોકાણકારોને સંભાળનારા કસ્ટોડિયન બેંકોના અધિકારીઓએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ફાયદાકારક માલિકી અંગેની માહિતીના ‘અપૂરતા ખુલાસા’ને કારણે આ ત્રણ વિદેશી ભંડોળ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરતાં પહેલા આ તમામ પાસે ખુલાસા માગવામાં આવ્યા હતા પણ તેઓ તરફથી કોઈ જવાબ ન મળવાથી એકાઉન્ટ સ્થગિત કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવી છે. એકાઉન્ટ ફ્રીઝ કરવાનો મતલબ છે કે હવે આ ત્રણ ફંડ્સ શેરનું ખરીદ વેચાણ કરી શકશે નહીં.
મીડિયા અહેવાલ મુજબ ગૌતમ અદાણીના ગ્રૂપ(adani group)માં આ ત્રણ ફંડ્સનું મોટા પ્રમાણમાં રોકાણ થયું છે. સંયુક્ત રીતે અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82%, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03%, અદાણી ટોટલ ગેસમાં 5.92% અને અદાણી ગ્રીનમા 3.58% રોકાણ કરવામાં આવ્યું છે.
આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવમાં 5-13% સુધીનો કડાકો બોલી ગયો છે. આ લખાય છે ત્યારે 11:50 કલાકે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 11% તૂટ્યો હતો. તેવી જ રીતે, અદાણી પોર્ટ્સ 13.23%, અદાણી પાવર 5%, અદાણી ટ્રાન્સમિશન 5%, અદાણી ગ્રીન અને અદાણી ગેસ બંને 5% ઘટ્યા હતા.
શેરના ઘટાડા પાછળનું કારણ એ હતું કે આ જૂથ કંપનીઓમાં 3 વિદેશી રોકાણકારોનું રોકાણ છે. આ રોકાણકારો સેબી દ્વારા પકડાયા છે. માનવામાં આવે છે કે આ બનાવટી રોકાણકારો છે. આ ત્રણેય ફંડ્સનું સરનામું એક જ છે અને તેમની પાસે વેબસાઇટ નથી. આ રીતે, સેબીએ આ ત્રણ વિદેશી રોકાણકારોના રોકાણો સ્થગિત કર્યા છે અને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો….