Amraiwadi married women suicide case: પતિ દહેજની માંગણી કરી માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા પરણિતાએ કર્યો આપઘાત!
Amraiwadi married women suicide case: પતિ, સાસુ તેમજ જેઠ સહિત ચાર લોકો સામે દુષ્પ્રેરણા ની ફરિયાદ
અમદાવાદ, 28 ઓગષ્ટઃAmraiwadi married women suicide case: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં દહેજની માંગણી કરી પરણિતાને અવાર નવાર ત્રાસ આપી મારઝૂડ કરતા તંગ આવી આપઘાત કરી મોતને વહાલું કરી દેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે અમરાઇવાડી પોલીસે પતિ સહિત ચાર લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ બિહારના પટના ખાતે રહેતા મૃતક યુવતીના ભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી ત્રણ મહિના પહેલા તેમની બહેનના લગ્ન વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે સત્યનારાયણનગર રાવજી પટેલની ચાલીમાં રહેતા નવનીત કપીલદેવસિંગ રાજપુત સાથે થયા હતા. લગ્નના એકદા મહિનો બહેનને સારી રીતે રાખતા હતા. ત્યારબાદ પતિ, સાસુ ઉર્મિલાબેન તથા જેઠ પ્રવિણસિંગ તેમજ નણંદ મમતાસિંગ રાજપુત દહેજની માંગણી કરી અવાર નવાર શારિરીક માનસિક રીતે ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા.
સાસુ, જેઠ તેમજ નણંદ ખોટી ચઢામણી કરતા પતિ મારઝૂડ કરતો હતો. આટલું જ નહીં, તું તારા ભાઇ પાસેથી દહેજમાં કંઇ લાવેલ નથી, જેથી તું તારા ભાઇ પાસેથી દહેજ તરીકે રૂપિયા પાંચ લાખ તથા ફોર વ્હીલ ગાડી લઇ આવ તેમ કહી અવાર નવાર દહેજની માંગણી કરતા હતા.
જો કે આખરે પતિ તેમજ સાસરિયાઓના ત્રાસથી તંગ આવી ગત રોજ 26 ઓગસ્ટના રોજ આપઘાત કરી મોતને વહાલું કર્યું હતું. ત્યારે આ મામલે અમરાઇવાડી પોલીસે પતિ નવનિત રાજપુત, પ્રવિણસિંગ રાજપુત તથા સાસુ ઉર્મિસાસિંગ તેમજ નણંદ મમતાસિંગ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.