Controversial comment on the Prophet: જુમ્માની નમાજ બાદ દેશભરમાં અનેક સ્થળે પથ્થરમારો, આ બાબતે થઇ રહ્યો છે વિરોધ- વાંચો વિગત
Controversial comment on the Prophet: દિલ્હીની જામા મસ્જિદથી લઈને કોલકાતા અને યુપીના અનેક શહેરોમાં નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા
નવી દિલ્હી, 10 જૂનઃ Controversial comment on the Prophet: દિલ્હીની જામા મસ્જિદમાં પયગંબર મોહમ્મદ અંગેના નિવેદનને લઈને નૂપુર શર્માનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમાજના લોકો શુક્રવારની નમાજ અદા કર્યા બાદ મોટી સંખ્યામાં બેનરો અને પોસ્ટર લઈને પહોંચ્યા હતા. જેમાં નુપુર શર્મા અને નવીન જિંદાલની તસવીરો લગાવામાં આવી હતી અને પ્રદર્શનકારીઓ નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
દિલ્હીની જામા મસ્જિદથી લઈને કોલકાતા અને યુપીના અનેક શહેરોમાં નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા. પ્રયાગરાજ અને હાવડામાં પ્રદર્શનકારીઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો હતો.
યુપીની રાજધાની લખનૌ સિવાય દેવબંદ, પ્રયાગરાજ અને સહારનપુરમાં પણ ભારે હંગામો થયો હતો. પોલીસે દેવબંદમાં પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.
તમને જણવી દઈએ કે, આ પહેલા ગુરૂવારે પાર્લિયામેન્ટ પોલીસ સ્ટેશન સામે ઓવૈસીની પાર્ટી AIMIMના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું હતું કે, તેમણે ખબર નહોતી કે જામા મસ્જિદની બહાર આવી રીતે કોઈ પ્રદર્શન થઈ શકે છે. જોકે, આટલા મોટા પ્રદર્શનની કોઈપણ અપેક્ષા નહોતી. આ પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ સતર્ક થઈ ગઈ છે અને પ્રદર્શનકારીઓને સમજાવીને ઘરે મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપીમાંથી ‘શિવલિંગ’ મળી આવવાના મુદ્દે એક ટીવી ન્યૂઝ ચેનલમાં ચાલતી ડીબેટ વખતે ભાજપ પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરતાં દેશભરમાં મુસ્લિમ જૂથો દ્વારા વિરોધ કરાયો હતો. નુપુર શર્માની ધરપકડની માગણી કરતાં કાનપુરમાં શુક્રવારે હિંસક રમખાણો પણ ફાટી નિકળ્યા હતા. બીજીબાજુ ભાજપના દિલ્હી મીડિયાના વડા નવીનકુમાર જિંદાલે પણ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટ્વીટ કરતાં તેમના વિરુદ્ધ પણ મુસ્લિમોમાં આક્રોશ ફેલાયો હતો.