વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના પ્રવાસમાં તોડી આચાર સંહિતા, તૃણમૂલ કોંગ્રેસે(TMC) પીએમ મોદી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની કરી માંગ- વાંચો વિગતે
નવી દિલ્હી, 30 માર્ચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશના પ્રવાસ પર મતુઆ સમુદાયના મંદિર જવા પર તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ટીએમસીનું કહેવું છે કે પીએમ મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. તૃણમૂલ કોંગ્રેસે(TMC) પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તૃણમૂલ કોંગ્રેસ(TMC) પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી પોતાની સાથે પશ્ચિમ બંગાળના સાંસદ શાંતનુ ઠાકુરને લઈ ગયા જે કોઈ પણ સરકારી પદ પર નથી અને બાંગ્લાદેશમાં મંદિરોનો પ્રવાસ કરવાનો એકમાત્ર ઇરાદો મતદાતાને પ્રભાવિત કરવાનો હતો. હવે તે જોવાનું રહેશે કે ચૂંટણી પંચ ટીએમસીની ફરિયાદ પર શું કાર્યવાહી કરે છે.
મહત્વનું છે કે પીએમ મોદી 26 માર્ચે બે દિવસીય બાંગ્લાદેશના પ્રવાસે ઢાકા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મતુઆ સમુદાયના મંદિર ઓરાકાંડીનો પણ પ્રવાસ કર્યો હતો. એટલું જ નહીં પીએમ મોદી મતુઆ સમુદાયના સંસ્થાપક હરિચંદ્ર ઠાકુરના જન્મસ્થળ પર પણ ગયા હતા. પીએમ મોદી આ દરમિયાન બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસની 50મી વર્ષગાંઠ નિમિતે આયોજીત અનેક કાર્યક્રમમાં સામેલ થયા હતા. મતુઆ સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે એક વ્યક્તિની વાતચીતનો હવાલો આપતા કહ્યુ હતુ કે, કોઈએ વિચાર્યુ નહતુ કે કોઈ ભારતીય પ્રધાનમંત્રી અહીં આવશે અને મતુઆ સમુદાયના મંદિરમાં પૂજા કરશે.
પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસને લઈને શિવસેનાએ પણ નિશાન સાધ્યુ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં મંગળવારે લખ્યુ કે પીએમ મોદીને બાંગ્લાદેશના મુક્તિ આંદોલનમાં ભાગ લેવા માટે ‘તામ્ર પત્ર’ આપવું જોઈએ. મહત્વનું છે કે પીએમ મોદીએ કહ્યુ હતુ કે બાંગ્લાદેશના મુક્તિ આંદોલનનું સમર્થન કરવા માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…