Why Vijay Rupani Resign: મુખ્યમંત્રીની રૂપાણીજીની વિદાય કેમ ? ભાજપને શું ફાયદો ?
Why Vijay Rupani Resign: જે બહુ ઘણા સમયથી નિશ્ચિત હતી તે ઘટના ગુજરાતમાં ઘટી ગઈ છે, અપેક્ષિત રાજીનામાને અચાનક રાજીનામા તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
Why Vijay Rupani Resign: મુખ્યમંત્રી રૂપાણીના કાર્યકાળમાં ઘણી બધી ઘટનાઓ ઘટી છે ખાસ કરીને કુદરતી આફતો તેમજ ચીની કોરોનાનો અનપેક્ષિત હુમલો. કોરોનાએ દેશના બધા જ મુખ્યમંત્રીઓ, રાજ્ય સરકારો તેમજ પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકારની પણ કસોટી કરી છે ત્યારે વિજય રૂપાણીની વિદાય એકલા કોરોનાને કારણે થઇ છે તેવું કહેવું અતિશયોક્તિપૂર્ણ તેમજ તેમને અન્યાયપૂર્ણ જ કહેવાય. હકીકતમાં દેશના અનેક રાજ્યો અને વિશેષતઃ કોંગ્રેસી કે કોંગ્રેસી સમર્થન પ્રાપ્ત શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તેમજ દિલ્હીના મુખ્યમંત્રી કરતા વિજય રૂપાણીની કામગીરી ઉત્તમ જ રહી છે, યાદ રહે ગુજરાત એ રાજ્ય છે જ્યાં સૌથી વધુ પ્રવાસી મજદૂર કે વેપારી આવ-જા કરે છે. પહેલી લહેર કરતા બીજી લહેરમાં તો શક્ય એટલા ઓછા નિયંત્રણો લાદીને કોરોનાને માત આપવામાં રૂપાણી સરકારનું તંત્ર સફળ જ રહ્યું છે.
વિજયભાઈની વિદાય પાછળ તેમની નિષ્ફળતા નહિ પરંતુ તેમની વધુ પડતી નમ્રતા જવાબદાર છે. “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ” નો મંત્ર પ્રજા માટે છે, નેતાઓ અને વહીવટી અમલદારો માટે નથી એ વાત દરેક રાજકારણીઓએ સમજાવી જરૂરી છે, ક્યારે કોનો સાથ લેવો અને કોને પડતો મુકવો, કોના પર વિશ્વાસ રાખવો અને કોના પર નહિ તે દરેક રાજા, રાજ્યકર્તાને ખબર હોવી જોઈએ. વિજય રૂપાણી અહીં જ થાપ ખાઈ ગયા છે, અમલદારો પરની પકડીને લઈને તેમની ઇમેજ વધુ પડતી સોફ્ટ રહી છે, અમલદારો પર મુખ્યમંત્રીની જે ધાક હોવી જોઈએ તે ધાક બેસાડવામાં રૂપાણી ‘ઢીલા મુખ્યમંત્રી’ નું વિશેષણ વળગે તે હદે નિષ્ફળ ગયા છે.
એટલું જ નહિ તેમના સાથીદારો, મંત્રીઓ પ્રત્યે પણ વધુ પડતો વિશ્વાસ તેમને માટે વ્યક્તિગતરીતે નુકસાન કારક જ રહ્યો છે. દારૂબંધી થી માંડી અનેક બાબતોએ મંત્રીઓએ બફાટ કર્યે રાખ્યો અને તેમને ટોકવામાં કે ટપરવામા તેઓ વિફળ રહ્યા જેને લીધે પ્રજામાં પણ ઇમેજ નબળા શાસક તરીકે અંકિત થઇ ચુકી હતી. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે તેઓ આ બાબતે સારી રીતે વાકેફ હોવા છતાં તેમની છબી સુધારવા પ્રયત્નશીલ સુધ્ધાં ન રહ્યા. આવનારી ચૂંટણીમાં તેમની આ ઇમેજ પક્ષને નુકસાન પહોંચાડી શકે તેમ હતી.
વાસ્તવમાં તમારો પુરોગામી એક લેવલ, એક સ્ટાન્ડર્ડ નક્કી કરી દે અને તે પણ ઉચ્ચકક્ષાનું; ત્યારે તેની અસર તેમના દરેક અનુગામી પર પડતી હોય છે, જો તેમના જ પક્ષની સરકાર હોય તો વિશેષ. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જે ઇમેજ, કાર્યશૈલી અને કાર્યક્ષમતા પ્રસ્થાપિત કરી છે, તેને પાર કરવી ભાજપના જ નહિ કોઈપણ મુખ્યમંત્રી માટે કપરી સાબિત થવાની છે. આનંદી બેન પટેલને તો મોદીએ દોડાવેલા એન્જીનમાં સવાર થવાનું હતું એટલે તેમને માટે વહીવટલક્ષી કે ભાજપની ખ્યાતિલક્ષી કોઈ ચેલેન્જ હતી જ નહિ. જયારે વિજય રૂપાણીને માટે પાટીદાર અનામત આંદોલનની રાખ ઠંડી કરવાનો, રાખવાનો જ સૌથી મોટો પડકાર હતો. આ ઉપરાંત આંદોલનને કારણે અટકી ગયેલું એન્જીન ફરી દોડતું કરવાની ચેલેન્જ હતી.
આ પણ વાંચોઃ SBI Alert: એક બેદરકારીથી બેન્ક બેલેન્સ થઇ જશે જીરો, SBIના ગ્રાહકોને ફેક કસ્ટમર કેર નંબરને લઇ કર્યા એલર્ટ
વળી મોદીના શાસન દરમ્યાન કેન્દ્રમાં વિપક્ષી સરકાર હતી તેથી મોદી સ્વતંત્ર નિર્ણયો લઇ, વિવિધ નવી ક્રાંતિકારી યોજનાના અમલ દ્વારા કેન્દ્રને જ ‘ઢીલી સરકાર’ સાબિત કરતા રહ્યા જેને કારણે તેમનું કદ વિશ્વ સ્તરે વધી ગયું. રૂપાણીના સમયે કેન્દ્રમાં ભાજપ સરકાર હતી તેથી તેમની ઉપરવટ જઈ જાહેરાત તો ઠીક, તેમને પૂછ્યા વગર નિર્ણય પણ લઇ શકતા ન હતા. જો આ જ સ્થિતિ નવા મુખ્યમંત્રીની રહેવાની હોય તો કોઈ મોટો ફેરફાર દેખાવાની શક્યતા ઓછી જ છે.
એક કારણ ‘આપ’ દ્વારા પાટીદાર મુખ્યમંત્રીની જાહેરાત પણ ગર્ભિત ધમકી સાબિત થઇ રહી હતી. જોકે, ગુજરાતની મહેનતુ પ્રજા મફતની લાલચમાં આવી આમ આદમી પાર્ટીને પસંદ કરે એવી શક્યતા નહિવત છે. કોંગ્રેસ પાસે ‘આપ’ને સોપારી આપવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. રાજ્ય સ્તરે કે કેન્દ્ર સ્તરે નેતૃત્વનો અભાવ કોંગ્રેસને નડે છે. પરંતુ આ સત્ય સ્વીકારવા કોંગ્રેસ તૈયાર જ નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી આ ભાજપની નીતિ રહી છે કે જે રાજ્યમાં ચૂંટણી હોય તે રાજ્યમાં એન્ટી-ઈન્કમ્બન્સી/સત્તા વિરોધી વલણને નિરસ્ત કે કમજોર કરવા મુખ્યમંત્રી અને મંત્રીઓને જ બદલી નાખવા. મોદી-શાહે પહેલી ટર્મ ચૂંટાયેલા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીદાર મુખ્યમંત્રી બનાવવાની હવા કાઢી નાખી છે તે ઉપરાંત પક્ષના જ કેટલાક નેતાઓને આડકતરો ઈશારો પણ કરી દીધો છે કે પાર્ટીના ભોગે વ્યક્તિગત મહત્વકાંક્ષા સંતોષવાનો વિચાર સ્વીકારાશે કે ચલાવાશે નહિ. આખરે તો રાજકારણમાં સત્તા જ મહત્વની હોય છે.