d9484752 7e36 4115 8d20 a61fb8128024

બેઇન સર્કિટ(Bain circuit): કોરોનાના નવા રોગને નાથવામાં ઉપયોગી જૂનો ઈલાજ- વાંચો વિગતે આ સારવાર વિશે

  • દર્દીને જ્યારે વધુ ઓક્સિજનની જરૂર હોય ત્યારે બાયપેપના વચગાળાના વિકલ્પ તરીકે આ(Bain circuit) સિસ્ટમ ખૂબ ઉપયોગી જણાઈ છે
  • સયાજી અને સમરસ હોસ્પીટલમાં છેલ્લા 20 – 25 દિવસથી આ ટેકનિકનો સફળ ઉપયોગ વેન્ટિલેટરના વિકલ્પ તરીકે 250 થી 300 દર્દીઓ પર કરવામાં આવ્યો છે

અહેવાલઃ બી.પી. દેસાઇ

વડોદરા, 05 મેઃ કોરોના એક એવો નવો રોગ છે જેના ફેફસાં પર ઘાતક પ્રભાવને લીધે શ્વાસ લેવા અને બહાર કાઢવાની કુદરતી વ્યવસ્થા ખોરવાઈ જાય છે.એટલે આ રોગમાં દર્દીની જીવન રક્ષા માટે જરૂર પ્રમાણે નાક વાટે, એન. આર. બી. એમ. દ્વારા, બાય પેપ અને ઇન્વેઝીવ વેન્ટિલેટર દ્વારા, દર્દીની સ્થિતિ પ્રમાણે જરૂરી પ્રેશરથી ઓકસીજન આપવો એ સારવારનો અનિવાર્ય ભાગ છે. હાલમાં હાઈ પ્રેશર ઓકસીજનની જરૂર વાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધી છે અને તેની સરખામણીમાં વ્યાપક વ્યવસ્થા કરવા છતાં વેન્ટિલેટરની અછત વર્તાય છે. આવા કટોકટીના સમયે ખાસ કરીને બાયપેપ અને અંતિમ ઉપાય જેવા ઇન્વેઝિવ વેન્ટિલેટરના વચગાળાના સરળ, સુવિધાજનક અને અસરકારક ઉપાયના રૂપમાં બેઇન સર્કિટ(Bain circuit) તરીકે ઓળખાતી એક જૂની એનેસ્થેસીયા ડિલિવરી સિસ્ટમ ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહી છે.આમ, કોરોનાના નવા નક્કોર રોગમાં જૂનો ગણાય એવો ઈલાજ અસરકારક અને ઉપયોગી બની રહ્યો છે.

Bain circuit


સયાજી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના ડો.નેહા શાહ, ડો.મમતા પટેલ અને ડો.દેવયાની દેસાઈ જણાવે છે કે આ એનેસ્થેસિયા વિજ્ઞાનની ઘણી જૂની ટેકનિક છે.1972 માં બેઇન નામના વૈજ્ઞાનિક તબીબે દર્દીઓને વધુ પ્રેશરથી ઓકસીજન આપવામાં આ સિસ્ટમ કે ટેકનિકની ઉપયોગીતા નવેસરથી ઉજાગર કરી પછી તેનો ઉપયોગ વધુ પ્રચલિત અને વ્યાપક બન્યો છે.ખૂબ સરળ અને ઓછી ખર્ચાળ એવી દર્દીના ફેફસાં સુધી જરૂરી માત્રામાં ઓકસીજન પહોંચાડવા અને ઉચ્છવાસમાં કાર્બનના સલામત નિકાલ માટેની આ ટેકનિક વેન્ટિલેટરની સગવડ ના હોય તેવી નાની હોસ્પિટલોમાં તેના વિકલ્પે વચગાળાના સાધન તરીકે ખૂબ ઉપયોગી જણાઈ છે. આ સિસ્ટમમાં ઉચિત ડાયામીટરની શ્વાસ અંદર લેવા માટેની ઇન્સ્પિરેટરી અને શ્વાસ બહાર કાઢવા માટેની એકસપિરેટરી ટ્યુબનો સમાવેશ થાય છે.આ સિસ્ટમ(Bain circuit) ફેફસાં સુધી ખૂબ જ ઓછા સમયમાં પૂરતા પ્રમાણમાં ઓકસીજન પહોંચાડી શકે છે અને તમામ ઉંમરના દર્દીઓ માટે તેનો ઉપયોગ થઈ શકે છે.

Bain circuit


સયાજી હોસ્પિટલના કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે સયાજી અને સમરસ હોસ્પિટલોમાં એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ બાય પેપના વિકલ્પે પૂરતા દબાણ થી શ્વાસના સિંચન માટે બેઈન સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે જે રાહતરૂપ જણાયો છે.અત્યાર સુધી 250 થી 300 દર્દીઓ પર તેનો ઉપયોગ થયો છે અને તે પૈકીના 50 થી 60 દર્દીઓમાં આ સિસ્ટમના ઉપયોગથી વેન્ટિલેટર ની જરૂર ટાળી શકાય છે.નેચરલી તેના પગલે વેન્ટિલેટરની જેમને વધુ અને અનિવાર્ય જરૂર છે એવા દર્દીઓને તેની સુવિધા આપવામાં સરળતા થઈ છે.આ સિસ્ટમ ખૂબ ઓછી ખર્ચાળ હોવા થી દાતાઓ તે દાનમાં આપી શકે છે.
કોરોનાનો બીજો વેવ વધુ ઘાતક છે અને તેનો અકસીર ઈલાજ હજુ મળ્યો નથી ત્યારે તબીબો અને સંશોધકો શ્વાસ સંબંધી અન્ય રોગોમાં રાહત આપતી દવાઓ અને તબીબી સાધનોનો સારવાર માટે અસરકારક અને સફળ વિનિયોગ કરી લોકોના જીવન બચાવી રહ્યાં છે.તેવા સમયે દર્દીના શરીરમાં ઓકસીજનના સિંચન માટેની આ જૂની સિસ્ટમ(Bain circuit) ખૂબ ઉપયોગી અને આશીર્વાદ રૂપ જણાઈ છે.સાચે જ આવશ્યકતા જ શોધની જનની છે.

આ પણ વાંચો….

સોશિયલ મીડિયા પર રામાયણના ‘રાવણ’ અરવિંદ ત્રિવેદી(arvind trivedi)ના નિધનની ખબર વાયરલ થતા,’લક્ષ્મણે’ સુનીલ લહેરીએ જણાવી હકીકત- વાંચો સંપૂર્ણ વિગત