Global values: વૈશ્વિક મૂલ્યો, પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Global values: Swamiji ni vani Part-30

Global values: સત્ય બોલવું જોઈએ, કોઈને ઈજા પહોંચાડવી ન જોઈએ, પ્રામાણિક રહેવું જોઈએ, આવું થોડું થોડું આપણે જાણતા હોઈએ છીએ; પણ પૈસા, પ્રમોશન, પ્રતિષ્ઠા વગેરેથી જે લાભ થાય છે તે તો પ્રત્યક્ષ છે. જ્યારે, સત્ય, અહિંસા કે પ્રામાણિકતાથી શો લાભ થાય તે આપણે જોઈ શકતા નથી, કારણ કે એનો કોઈ ભૌતિક લાભ દેખાતો નથી. ઊલટું આપણે જોતા આવ્યા છીએ કે સત્ય, અહિંસાનું પાલન કરનારા તો ગુમાવતા હોય છે.
એમને કાંઈ પ્રત્યક્ષ લાભ થતો દેખાતો નથી અને તેથી મને જ્યાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી જરૂર હું સાચું બોલું. તેમાં કાંઈ મુશ્કેલી નથી, પરંતુ ખરી કસોટી તો ત્યારે થાય જ્યારે સાચું બોલવાનું મને અનુકૂળ ન હોય. કસ્ટમ્સમાં ખોટું બોલવાથી પંદર હજાર રૂપિયા બચી જતા હોય તો ‘જરા જૂઠું બોલવામાં શું ?’ વિચારી હું તેમ કરવા લલચાઈ જાઉં છું. પંદર હજારથી તો આશ્રમની એક ઓરડી બંધાઈ જાય !
આમ, આ બે પ્રકારનાં મૂલ્યો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે જેનાથી પ્રત્યક્ષ લાભ થાય તેની જ જીત થવાની અને જેમાં પ્રત્યક્ષ લાભ નથી તેની હાર થવાની. વિરોધી મૂલ્યો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે સત્ય, અહિંસા, પ્રામાાણિકતાનો સામાન્ય રીતે ભોગ અપાતો હોય છે. એટલે કે અર્થ અને કામ માટે ધર્મનો જ ભોગ અપાતો હોય છે.

આપણા દેશમાં આજે આટલી બધી અપ્રામાણિકતા કેમ છે ? પચાસ વર્ષ પહેલાં આવું નહોતું. લોકો પ્રમાણમાં વધારે પ્રામાણિક હતા. આજે તો ભ્રષ્ટાચારને કારણે દેશ પાયમાલ થઈ ગયો છે. કેટકેટલો ભ્રષ્ટાચાર પ્રવર્તે છે !
આપણા વડવાઓ પાસે શું કાંઈ વધારે હતું જે આપણી પાસે નથી ? ઊલટા આપણે એમના કરતાં વધુ સંપન્ન છીએ.
તો શું આપણે અપ્રામાણિક છીએ ?
એમ પણ ન કહેવાય. આપણે પણ એમના જેવા જ થવા ઇચ્છીએ છીએ. તો પછી આ બધાં મૂલ્યોનો અત્યારે છડેચોક ભોગ અપાય છે એવું કેમ ?
કારણ કે સત્ય, અહિંસા, પ્રામાણિકતા વગેરેનું શું મૂલ્ય છે તેની આપણને ખબર નથી. ‘અર્થ’ અને ‘કામ’નું શું મૂલ્ય છે તે તો પ્રત્યક્ષ અનુભવ ઉપરથી બધા જ જાણે છે, પણ ‘ધર્મ’ શું છે અને તેનું શું મૂલ્ય છે તેનું જ્ઞાન ન હોવાને કારણે ‘ધર્મ’નો ભોગ અપાય છે.
આ પણ વાંચો:–Work with enjoy: જ્યારે તમારી બાજુમાં યોગ્ય લોકો હોય ત્યારે સૌથી વધુ ભૌતિક કાર્યો પણ આનંદપ્રદ બની જાય..
ધર્મનું મૂલ્ય જો સમજાઈ જાય તો કોઈ તેનો ભોગ ન આપે. કોઈ પણ સમયે મનુષ્ય પોતાને સૌથી વધુ લાભ જેમાંથી થાય તેની પસંદગી કરતો હોય છે. જે વસ્તુ તેને મૂલ્યવાન લાગે તેને અપનાવે અને મૂલ્યવાન ન લાગે તેને ફગાવી દે. આજે આપણને ‘ધર્મ’ મૂલ્યવાન જણાતો નથી માટે આપણે તેનો ત્યાગ કરીએ છીએ. નહીં કે આપણે મૂર્ખ છીએ કે અપ્રામાણિક છીએ માટે ધર્મનો ત્યાગ કરીએ છીએ. એટલે અજ્ઞાન જ આ પ્રશ્નોનું મૂળ છે. મૂલ્યોનું મૂલ્ય ન જાણતા હોવાને કારણે જ મૂલ્યોનો આપણા વડે ભોગ અપાતો હોય છે. અને કેળવણી જ આ બધાનો ઉપાય છે.
કેળવણી બે પ્રકારે અપાય : ઉપદેશથી તેમ જ આચરણથી.
यद्यदाचरति श्रेष्ठ: | શ્રેષ્ઠ પુરુષો, નેતાઓ, શિક્ષકો જે રીતે આચરણ કરતા હોય તે રીતે જ અન્ય જનો તેમનું અનુસરણ કરતા હોય છે. આથી આપણે જ મૂલ્યોનું પાલન કરીએ તો આપણું અનુસરણ કરનાર પણ તેમનું પાલન કરે અને વળી આપણે મૂલ્યોને જીવનમાં મૂલ્ય આપીએ તો આપણા પ્રત્યે આદર ધરાવનાર અન્ય પણ તેમ કરશે.
આદર્શ મૂલ્યોના ઉપદેશ ઉપરાંત ઉપદિષ્ટ મૂલ્યો પર આધારિત આદર્શ આચરણ પણ આવશ્યક છે.