108 ambulance service in rain: છેલ્લા 7 દિવસમાં 29 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી 108 એમ્બ્યુલન્સ
108 ambulance service in rain: ૧૦૮ની અવિરત સેવા : વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૭ દિવસમાં ૨૯ હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી દેવદૂત સાબિત થતી ૧૦૮ એમ્બ્યુલન્સ
અત્યાર સુધીમાં ૧.૩૩ કરોડ લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો
રાજ્યમાં હાલ ૧૦૮ની ૮૦૦ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત
- ૧૦૮ના કર્મીઓની સમયસરની સેવાના કારણે ગંભીર પરિસ્થિતિના ૧૨.૫૬ લાખ લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય પણ થયું. ૧.૧૯ લાખ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી
- હાલમાં અંદાજીત ૪૦૦૦ હજારથી વધુ ૧૦૮ના કર્મીઓ સેવા આપી રહ્યા છે
- રોજના અંદાજીત ૭૦૦૦ જેટલા કોલ્સ લેવામાં આવે છે
અહેવાલ: ગોપાલ મહેતા
અમદાવાદ, 16 જુલાઈ: 108 ambulance service in rain: મોતના મુખમાં ઘકેલાઇ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઇ પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ સંજીવની કરતા લગીરેય ઊણી ઉતરે એવી નથી. શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે. અસંખ્ય લોકોના દુ:ખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે અને હજુય અહર્નિશ પણે એ જ માનવ સેવા દાયિત્વ નિભાવી રહી છે.
108 ambulance service in rain: છેલ્લાં ૭ દિવસથી રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ઉડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લાં ૭ દિવસમાં જ ૨૯ હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડીને ૧૦૮ એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ છે.
૧૦૮ના સ્ટાફે કર્તવ્ય નિષ્ઠા એવી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતના કોઇપણ ખુણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોડ ૧૦૮ આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે હાશ ! ૧૦૮ આવી ગઇ, હવે વાંધો નહી આવે.
ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન(108 ambulance service in rain) ૧૦૮ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ખુબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં ૨૦૦૭માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ ૧૦૮ની નિશુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત – દિવસ કાર્યરત છે.
૧૦૮ GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિ જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ ૨૫૭ તાલુકા, ૧૮ હજાર જેટલા ગામો, ૩૩ જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ ૧૦૮ની સેવાનું માળખું ફેલાયેલુ છે. ગણતરીની મિનિટમાં ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત, બિમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર પુરી પાડવાનું કામ કરે છે. સગર્ભાઓને પ્રસૂતિ દરમિયાન ઝડપી ઘર સુધી પહોંચી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અને તેને પિડાવિહિન પ્રસૂતિ કરાવવામાં આ ૧૦૮ની સેવા ખુબ મદદરૂપ બની છે.
રાજ્યમાં 108ની એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાથી આજ સુધીમાં 1.33 કરોડ લોકોએ આ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. રાજ્યમાં ખુબ ગંભીર પરિસ્થિતિમાં આ ૧૦૮ના કર્મીઓની સમયસરની સેવાના કારણે ૧૨.૫૬ લાખ લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય પણ થયું છે, તો ૧.૧૯ લાખ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે. હાલમાં અંદાજીત ૪ હજારથી વધુ ૧૦૮ કર્મીઓ સેવા આપી રહ્યા છે.
અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજીથી સજ્જ આ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરીંગ કરવાના કારણે આ સેવા ખુબ ઝડપી અને લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે.
૧૦૮ મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખુબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલના સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર – ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પીડિત વ્યક્તિને તત્કાલિન સેવા મળી રહે છે. સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે.
ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ૧૦૮ ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર ૧૦૮ સેવાનું મોનિટરીંગ ઇમરજન્સી મોનિટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજીત ૭૦૦૦ જેટલા કોલ્સ લેવામાં આવે છે.
ખરેખર, રાજ્યમાં આરોગ્યની સેવાને ખુબ ઝડપી ઘર ઘર સુધી પહોચાડવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પીડિતને નવજીવન બક્ષનાર દેવદૂત સમાન બની ગઇ છે. ઈમરજન્સીના કેસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ સંજીવની સમાન સાબિત થઈ છે, જે રાજ્ય સરકારની એક મોટી સફળતા છે.