Swami ji ni vani part-54: અધર્મ સામેની મૂંઝવણ અને પ્રામાણિકતાનો માર્ગ
Swami ji ni vani part-54: લાચારી, લોભ અને બદલાતા મૂલ્યો વચ્ચે પણ સત્ય અને પ્રામાણિકતા તરફ આગળ વધવા સંકલ્પબળ અને ઈશ્વરની પ્રાર્થનાનું મહત્વ સમજાવતો વિચારપ્રેરક લેખ
આદર્શ અને વ્યવહાર: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોSwami ji ni vani part-54: એક ભાઈએ આવીને મને કહ્યું : ‘સ્વામીજી ! અત્યારે અધર્મનો આશ્રય ન લઈએ તો કાંઈ કામ થાય જ નહીં. આજે શાળામાં કે અન્યત્ર નોકરી જોઈતી હોય તો પણ ચાળીસ-પચાસ હજારનું દાન(!) આપવું પડે છે. નોકરીમાં બદલી કરાવવી હોય તો પણ પત્રમ્-પુષ્પમ્ કરવું પડે. વિદ્યાર્થીને શાળામાં કે કૉલેજમાં પ્રવેશ અપાવવો હોય તો પણ કેટલા લોકોને ખુશ કરવા પડે. સઘળે અપ્રામાણિક વ્યવહારની એક એવી પ્રથા થઈ ગઈ છે કે કોઈ નવો માણસ એમાં પ્રવેશ ન કરી શકે.
પરદેશમાં વસતા ઘણા ભારતીયો પરદેશથી ભારતમાં એવી ભાવનાથી આવે છે કે ‘ચાલો, હવે ભારતમાં સ્થાયી થઈશું. કાંઈક નોકરી કે ધંધો કરીશું અને દેશને ઉપયોગી થઈશું.’ ખૂબ તજ્જ્ઞતા મેળવીને આવ્યા હોય અને ભારતમાં કાંઈક કરવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હોય. કાંઈક કારખાનું કે એવું કાંઈ નાખવું હોય. પરંતુ અહીં તુમારશાહી એવી ચાલતી હોય છે કે બે-ચાર વર્ષ મથે છતાં કશું જ વળે નહીં. કેટકેટલી ઑફિસોમાં આથડવાનું, કાંઈ કેટલાયે લોકોને ખુશ કરવાના ! અંતે ખૂબ નિરાશ થઈ જાય અને કંટાળીને તે લોકો પરદેશમાં પાછા જતા રહે છે.’
જ્યારે બધે જ આ પ્રથા પડી ગઈ છે ત્યારે મૂંઝવણ થાય તે સ્વાભાવિક છે,– ખાસ કરીને ઊગતા યુવાનોને. આ પ્રથાને ન અનુસરે તો આગળ વધી જ ન શકે. તો પછી મૂલ્યોમાં બાંધછોડ કરીને તે કામ પાર પાડે તો ખોટું કહેવાય ? એક વાર ગમે તે રીતે સારી સ્થિતિ પ્રાપ્ત થાય પછી સમાજસેવા કરી શકીએ. તો એ સારું કહેવાય કે નહીં ? અમારી પાસે કોઈ વિકલ્પ ન હોય અને અમારે અપ્રામાણિકતાનો આશ્રય લેવો જ પડે, તે સિવાય અમે જીવનમાં આગળ વધી શકતા ન હોઈએ તો શું કરવું ?
આ મૂંઝવણ રોજબરોજની છે અને ખૂબ સમજી શકાય તેવી છે. એટલે કહેવાનું મન થાય કે એવું લાગે કે મૂલ્યોનો ભોગ આપવાનું અનિવાર્ય છે, બીજો કોઈ ઉપાય જ નથી, તો પછી ભગવાનનું નામ લઈને તે પણ કરવું પડે, કારણ કે આ યુગમાં તે જ દેશાચાર છે.
લોભને વશ ન થઈ જઈએ એ ધ્યાન ખાસ રાખવું જોઈએ, કારણ કે ધન, સંપત્તિ, સત્તા, કીર્તિ વગેરે બહુ જ લોભામણાં છે. એક વાર અધર્મનો આશ્રય લીધો પછી એની મર્યાદા ન રહે એવી પૂરી શક્યતા છે, આપણે ક્યારે માયામાં ફસાઈ જઈએ અને પછી ક્યારે આપણી બુદ્ધિ આવા અધર્મના માર્ગને સમર્થન આપવા માંડે તે કહેવું બહુ જ મુશ્કેલ છે. આપણે અસત્ય બોલવું પડે, પ્રામાણિકતાનો ભોગ આપવો પડે, ધર્મનો ભોગ આપવો પડે એનો અર્થ એ નથી કે સત્ય અનેે પ્રામાણિકતા, જેની શાસ્ત્રો મોટી વાતો કરે છે તે મૂલ્યો ખોટાં છે.
એનો અર્થ એટલો જ કે આ મૂલ્યોના પાલન માટે આપણામાં જરૂરી સંકલ્પબળ કે શક્તિ નથી. આપણે તો મોજ-મજાનું જીવન જીવવું છે અને સાથોસાથ અહિંસા, સત્ય, પ્રામાણિકતાનું પણ પાલન કરવું છે. આ શક્ય નથી. આ મૂલ્યોના પાલન માટે ખૂબ શક્તિ જોઈએ, સંકલ્પબળ જોઈએ, ત્યાગ કરવાની તૈયારી જોઈએ. આ બળ આપણામાં ન હોય તે પણ સમજી શકાય છે. ‘સુખ-સગવડ’ અને ‘મોજ-મજા’ અર્થાત્ અર્થ અને કામ એ જ જ્યારે આપણા જીવનનાં ધ્યેય હોય ત્યારે આપણામાં આવું બળ હોવાની શક્યતા બહુ ઓછી છે.
આ પણ વાંચો:- self control: મનની અંદરનું મહાયુદ્ધ
એટલે અસત્યનો, અપ્રામાણિકતાનો આશ્રય લેવો પડે તો થોડો લો, પરંતુ ભગવાનની માફી માગતાં – એવી પ્રાર્થના સાથે કે એક દિવસ અમે એવું બળ પ્રાપ્ત કરીએ જેથી અમારે અપ્રામાણિકતાનો આશ્રય લેવો ન પડે. પ્રાર્થનામાં ખૂબ બળ છે. પરમેશ્વરના અનુગ્રહ માટે પ્રાર્થના કરીશું તો આજે નહીં તો આવતી કાલે આપણને મૂલ્ય-પાલન માટેનું જરૂરી બળ મળી જ રહેશે. લાચારીથી કદાચ શિથિલ જીવન જીવવું પડે છતાં આપણું ધ્યેય તો એ હોવું જોઈએ કે અપ્રામાણિકતામાંથી આપણે છૂટીએ.
