ગુજરાત “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે સંભવિત વાવાઝોડા(cyclone)નો સામનો કરવા કટિબદ્ધ : સીએમ રૂપાણી
- તાઉતે” વાવાઝોડા(cyclone) સામે ગુજરાત સજ્જઃ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ભાવનગર થી વિડિયો કોન્ફરન્સ માં સહભાગી થયા
- કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગુજરાત,મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે નવીદિલ્હી થીવીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડા(cyclone)ની સ્થિતિ ના સામના માટે રાજ્યો ના આયોજન ની તલસ્પર્શી સમીક્ષા કરી
- મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની વીડીયો કોન્ફરન્સમાં સંભવિત વાવાઝોડા(cyclone)ની સ્થિતિમાં ગુજરાતની પૂર્વ તૈયારીઓની સજજતા થી કેન્દ્રીય ગૃહ મંત્રી ને માહિતગાર કર્યા
- ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાના વહીવટીતંત્રને સાબદુ કરાયું
- ગુજરાતના તમામ માછીમારો દરિયામાંથી સલામત પરત ફર્યા છે
- કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખી કોવીડ કેર સેન્ટર અને ઓક્સિજનના પુરવઠા વિષયે વિસ્તૃત ચર્ચા-વિચારણા
- ગુજરાતની કોવીડ હોસ્પિટલોમાં વિક્ષેપ રહિત વીજ પુરવઠા માટે સઘન આયોજન
- ઓક્સિજનનો પુરવઠો અવિરત મળે તે માટે ક્રિટીકલ વૈકલ્પિક રુટ તૈયાર રખાયા છે.
- તાકીદ ની સ્થિતિમાં ઓકિસજન ના બફર સ્ટોક પણ વ્યવસ્થા ગુજરાતે અગમચેતી રૂપે કરી છે
ગાંધીનગર, 16 મેઃ ગુજરાત રાજ્ય “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે “તાઉંતે” વાવાઝોડા(cyclone)નો સામનો કરવા સજ્જ છે, તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું. ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડગ્રસ્ત દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરી છે. ભાવનગર શહેર અને જિલ્લાની કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર વેગેરે ની સમિક્ષ્રા માટે મુખ્યમંત્રી ભાવનગર ની મુલાકાતે હતા.. ભાવનગર જિલ્લો પણ સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી મુખ્યમંત્રી એ જિલ્લા તંત્રવાહકો સાથે આ સંભવિત વાવાઝોડા સામે આપદા પ્રબંધન અંગે વિગતવાર ચર્ચા હાથ ધરી તલસ્પર્શી વિગતો મેળવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે સંભવિત વાવાઝોડા થી અસર પામનારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હી થી યોજેલી વિડિયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં વિજય ભાઈ રૂપાણી ભાવનગર કલેકટર કચેરી થી જોડાયા હતા મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને ગુજરાતની સજજતા અંગે વાકેફ કરતા જણાવ્યું હતું કે, જો વાવાઝોડું(cyclone) ત્રાટકે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડ હોસ્પિટલોને “વીન્ડ પ્રૂફીંગ” બનાવવા માટેની તૈયારી સંદર્ભે જરુરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે જો સ્થિતિ વણસે તો તે સંજોગોમાં કોવીડના દર્દીઓને ધ્યાને લઈ કચ્છ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લામાં 85 થી વધુ ICU એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
તેમણે વાવાઝોડના પગલે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરાયેલા આગોતરા આયોજન વિશેની વિગતો આપતા કહ્યું કે, કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો અવિરત પુરવઠો મળી રહે તે માટે “ક્રિટિકલ રુટ” તૈયાર કરાયો છે તેમ જ બફર સ્ટોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારો સહી સલામત પરત આવી ગયા હોવાની વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 26થી વધુ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રીને એમ પણ જણાવ્યું કે વાવાઝોડા(cyclone) અંગે અગમચેતીના પગલારૂપે વનવિભાગ અને માર્ગ-મકાન વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને રોડ રસ્તા પર વૃક્ષો પડી જાય તો તાત્કાલિક દૂર કરી કોમ્યુનિકેશન ઝડપથી પૂર્વવત કરવા ની સૂચનાઓ આપી છે. તેમણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં લઈ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વીજ પુરવઠો ખોરવાય નહિ તેની તેમજ જો વીજ પુરવઠા ને અસર પડે તો ત્વરાએ પૂર્વવત કરી દેવાની તાકીદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દીવ-દમણના પ્રશાસક પ્રફૂલ્લ પટેલ પણ જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વાવાઝોડા(cyclone)ની સ્થિતિમાં વીજ અને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના દિશા-સૂચનો કર્યા હતા. તેમણે વહીવટીતંત્રને સ્વૈચ્છીક સંગઠનો સાથે સહયોગ સાધવા પણ અનુરોધ કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવ પણ ગૃહ મંત્રી સાથેની આ વિડિયો કોન્ફરન્સ માં સહભાગી થયા હતા. આ ઉપરાંત મહિલા અને બાલ-કલ્યાણમંત્રી વિભાવરીબહેન દવે, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, આરોગ્ય સચિવ જ્યંતી રવિ પણ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલા, ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એમ.કે.ગાંધી અને જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌર વેગેરે અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી આગોતરા આયોજન ની વિગતો પૂરી પાડી હતી.
આ પણ વાંચો….
હવે આ દેશો પણ રમશે વર્લ્ડ કપ: જાણો, આઇસીસી(ICC)નો નવા પ્લાન વિશે