Gujarat Municipalities Bill: ગુજરાત નગરપાલિકા (સુધારા) વિધેયક- 2022 ગુજરાતની વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર
Gujarat Municipalities Bill: રાજ્યની નગરપાલિકાઓમાં ભરતી -સેવાની શરતો – નિયમો ઘડવામાં થતો વિલંબ અટકાવી વધુ ઝડપ લાવવા જાહેર જનતા પાસેથી વાંધા સૂચનાઓ મંગાવવાની જોગવાઈ રદ કરાઈ : શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયા
ગાંધીનગર, 22 સપ્ટેમ્બરઃ Gujarat Municipalities Bill: શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું છે કે,ગુજરાતની નગરપાલિકાઓમાં નવી ભરતી કરવા તેમજ તેમાં વધુ ઝડપ તેમજ વધુ પારદર્શકતા લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે. જેના ભાગ રૂપે રાજ્યની નગરપાલિકાઓમાં ભરતી, સેવાની શરતો માટેના નિયમો ઘડવામાં થતાં વિલંબને અટકાવી તેમાં વધુ ઝડપ લાવવા માટે જાહેર જનતા- વ્યક્તિઓ પાસેથી વાંધા અને સૂચનો મંગાવવાની જોગવાઈ રદ કરવામાં આવે છે.
આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે,ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 47 અને 47 ‘ક’ હેઠળ કોઈ જગ્યા માટેના ભરતીના નિયમો, પરીક્ષાના નિયમોમાં અને સેવાની શરતો માટેના બીજા ખાતાકીય નિયમો વગેરે જાહેર જનતા એટલે કે વ્યક્તિઓ પાસેથી આ અંગેના વાંધા- સૂચનો મંગાવવામાં આવતા હતા.જેના કારણે સમગ્ર પ્રક્રિયામાં ખૂબ વિલંબ થતો હોવાથી તથા નગરપાલિકામાં વિકાસ કાર્યો તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા થઈ શકતી ન હતી.
મંત્રી ઉમેર્યું હતું કે આ સુધારા વિધેયક પસાર થવાથી કોઈ જગ્યા માટેનાં ભરતી નિયમો પરીક્ષા નિયમો અને સેવાની સેવાની શરતો તેમજ બીજા નિયમો વગેરે માટે પૂર્વ પ્રસિદ્ધિ એટલે એટલે કે જાહેર જનતા પાસેથી વાંધા સૂચનોની જરૂર રહેતી નથી. આ કલમથી મળેલી નિયમો કરવાની સત્તા પૂર્વ પ્રસિદ્ધિ પછી નિયમો કરવાની શરતને આધીન રહેશે.પરંતુ રાજ્ય સરકારને ખાતરી થાય કે તાત્કાલિક પગલું લેવું જરૂરી હોય તેવા સંજોગો પ્રવર્તે છે, તો તે આ કલમ હેઠળ કરવાના કોઈપણ નિયમની પૂર્વ પ્રસિદ્ધિ વિના ચલાવી શકશે, તેમ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
આ ગુજરાત નગરપાલિકા (સુધારા) વિધેયક- 2022 ગુજરાત વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.