Arjun Modwadia

ભાજપના ૨૫ વર્ષના શાસનમાં જીલ્‍લે-જીલ્‍લે નવા ગુંડાઓ અને માફીયાઓ ઉભા થયા છે: અર્જુનભાઈ મોઢવાડિયા

Arjun Modwadia

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રના ઔદ્યોગિક શહેરો અને સાગર કિનારે ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ છેલ્‍લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં ભાજપના રાજ્યાશ્રય અને ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠથી સોપારી આપીને ખુનો કરાવનાર, અનેક વેપારીઓ, બિલ્‍ડરોની જમીનો પડાવી લેનાર અને જેમના નામ ઉપર ૪૦ થી વધારે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેવા જયેશ રાણપરીયા ઉર્ફે “જયલા”એ વિદેશની ધરતીમાંથી વિના રોકટોક પોતાના મળતીયાઓ દ્વારા ખુલ્‍લે આમ માફીયા નેટવર્ક ચલાવતો હોય છતાં આ નેટવર્ક તોડવામાં ભાજપ સરકાર નિષ્‍ફળ ગઈ છે.


શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે ગુજરાતમાં માસ્‍ક ન પહેરનાર સામાન્‍ય નાગરીક પોલીસ સામે કે રેવન્‍યુ અધિકારીઓ સામે રકજક કે દલીલો કરે તો તેમને પાસામાં પુરીને જેલમાં ધકેલી દેવાય છે. પરંતુ જામનગરના જયલાએ અનેક બિલ્‍ડરોની પોતાના મળતીયાઓ મારફત રૂ.૧૫૦ કરોડ કરતાં વધારે કિમંતની જમીનના ખોટા દસ્‍તાવેજો બનાવી લીધાં છે. તેમનું નેટવર્ક બહાર લાવનાર વકીલની સોપારી આપીને હત્‍યા કરાવી છે, દાણચોરીથી કરોડો રૂપિયાની સીગારેટનો મુદ્દામાલ પકડાયો તેમાં સંડોવાયો છે. ખોટા દસ્‍તાવેજોથી જમીનો પોતાના મળતીયાઓના નામે દસ્‍તાવેજો બનાવવાના કિસ્‍સાઓ તો જામનગરથી માંડીને સુરત સુધીના છે તેના દસ્‍તાવેજી પુરાવાઓ છે. સોપારી આપીને એક બિલ્‍ડરની હત્‍યા કરાવવાની કોશીશનો ગુનો તો થોડા અઠવાડિયા પહેલાં જ બનેલો છે. જયલો પોતાના મળતીયાઓ સાથે વિદેશમાં બેસીને ખુલ્‍લે આમ ટેલીફોનીક વાતો કરે છે અને વેપારીઓ બિલ્‍ડરોને ધમકીઓ આપીને સોદાઓ-સેટલમેન્‍ટ કરાવીને સમાંતર સરકાર ચલાવે છે.

પોલીસ, વહીવટીતંત્ર અને ગાંધીનગરનું સચીવાલય જયલાના નેટવર્કના ટપોરીઓ, અમુક બિલ્‍ડરો અને રાજકીય આકાઓના નામ જાણે છે છતાં રાજ્યની ભાજપ સરકારે પગલાં લેવા તો દૂર રહ્યા પરંતુ આવા તત્‍વોને રાજ્યાશ્રય આપે છે. ભાજપની નમાલી સરકાર જયલા અને તેમના નેટવર્ક સામે નતમસ્‍તક થઈને ઉભી છે.
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે ભારતીય જનતા પક્ષના ૨૫ વર્ષના શાસનમાં જીલ્‍લે-જીલ્‍લે નવા ગુંડાઓ અને માફીયાઓ ઉભા થયા છે અને આવા માફીયાઓ પોતે બે રોક-ટોક પોતાનો કારોબાર ચલાવી શકે તે માટે ભાજપના સભ્‍યો, હોદ્દેદારો અને ભાજપના પંચાયતથી નગરપાલિકા થી માંડીને ધારાસભ્‍ય અને સંસદમાં પણ ચુંટાયા છે અને હવે તો ૧૦૭ જેટલા રેકોર્ડબ્રેક ગુનાઓ નોંધાયેલા હોય અને એક વર્ષ જેલમાં જઈ આવેલા હોય તેવા નમુનેદાર પ્રદેશ પ્રમુખ ભાજપને મળ્યા છે એટલે જીલ્‍લે-જીલ્‍લે આવા માફીયા તત્‍વો ગેલમાં આવી ગયા છે.
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતુ કે સૌરાષ્‍ટ્ર, ગુજરાતના મોટા અને નાના શહેરોમાં જમીનોના ભાવો ઉચકાતા અને જમીન વિવાદોનો નિકાલ કરવામાં ભાજપનું કહ્યાગરા વહીવટીતંત્ર અને નિષ્‍ફળ ગયું છે.

Advertisement

ગેરકાયદે ખાણકામ, દારુ-જુગારના અડાઓ, લુખાગીરી કરવા તત્વોએ પોલીસ, ભાજપ ની સંગાથે સમાજ જીવનનો કબ્‍જો લઈ સમાંતર સરકાર ચલાવે છે અને જામનગર કાયદો અને વ્‍યવસ્‍થાની તેમનું ઉત્તમ ઉદાહરણ બન્‍યું છે પરંતુ બીજા જીલ્‍લાઓની કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પણ જામનગરથી ઓછી બદતર નથી.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જયલા સાથે સંકળાયેલા માફીયા નેટવર્ક અને બે-ત્રણ નામચીન બિલ્‍ડરો અને રાજકીય આકાઓ સામે ગુજસીટોક એકટ લગાડવા અને જયલાનો રાજ્યાશ્રય દૂર કરાવીને જયલાને તાત્‍કાલિક જબ્બે કરવાની માગણી કરી હતી. માત્ર જામનગરમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ભાજપના રાજ્યાશ્રય હેઠળ ચાલતા માફીયા નેટવર્કને નેસ્‍ત નાબૂદ કરવાની પણ શ્રી અર્જુનભાઈએ માંગણી કરી હતી

Advertisement