Atal Bihari Vajpayee Death Anniversary:આજે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ
Atal Bihari Vajpayee Death Anniversary: અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું
નવી દિલ્હી, 16 ઓગષ્ટઃ Atal Bihari Vajpayee Death Anniversary: આજે અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના સમાધી સ્થળ સદૈવ અટલ પર જઈને શ્રદ્ધાંજલિ આપી.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ શ્રદ્ધાંજલિ આપી. અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ જાણીતા સાહિત્યકાર જગદીશ તોમરે અટલજીની વાતો વાગોળતા જણાવ્યું કે એકવાર યુવાઓનું જુલૂસ નીકળી રહ્યું હતું. એક યુવાના હાથમાં તખ્તી હતી કે શાળા, કોલેજમાં હાજરી હોવી જોઈએ નહીં. ફી ન લેવાવી જોઈએ. પરીક્ષાઓ પણ હોવી જોઈએ નહીં. હું પણ તેમા સામેલ હતો. અટલજીએ મને પૂછ્યું કે આગળ શું કરવાનો વિચાર છે? મે કહ્યું કે હજુ કઈ વિચાર્યું નથી. તેમણે કહ્યું કે એમએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી છો. હજુ સુધી દિશા જ નક્કી નથી કરી. થોડો સમય રાષ્ટ્ર માટે પણ કાઢો. તમે લોકો જ દેશને દિશા આપી શકો છો.
જગદીશ તોમરે અટલજી સાથેના વધુ એક રોચક કિસ્સાને યાદ કરતા કહ્યું કે તે સમયે એલએલબી કોલેજ ગ્વાલિયરમાં ભણતો હતો. અટલજી આ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યા હતા. આથી લોકસભાની પહેલી ચૂંટણી જીત્યા બાદ તેમને સન્માન માટે આમંત્રિત કરાયા હતા. સન્માન સમારોહમાં અટલજી સાથે અમે સંવાદ કર્યો.
ઓછી ઉંમરમાં ચૂંટણી જીતવા પર તેમણે હસતા હસતા કહ્યું કે એક જ ચૂંટણીમાં ત્રણ અનુભવ થઈ ગયા. પાર્ટીએ તેમને ત્રણ સંસદીય ક્ષેત્રોમાંથી ચૂંટણી લડાવી હતી. એક જગ્યાએ ડિપોઝીટ જપ્ત થઈ. બીજી સીટ પર હારી ગયા અને ત્રીજી સીટ પરથી જીતીને તમારા બધાની વચ્ચે છું. તોમર જણાવે છે કે 1957ની લોકસભા ચૂંટણી અટલજીએ મથુરા, લખનઉ અને બલરામપુરથી ચૂંટણી લડી હતી. મથુરામાં ડિપોઝિટ જપ્ત થઈ હતી, લખનઉમાં હારી ગયા હતા અને બલરામપુરથી ચૂંટણી જીત્યા હતા.