Cyclone In Mumbai: મહારાષ્ટ્રમાં વાવાઝોડા તૌકતેને કારણે ભારે પવન ફૂંકાયો, 6 લોકોના મોત અનેક ઘરોને નુકસાન- વાંચો સંપૂર્ણ અહેવાલ
મુંબઇ, 18 મેઃCyclone In Mumbai: મહારાષ્ટ્રમાં તોફાન તૌકતેને કારણે અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 4 જાનવરોના પણ મોત થયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની માહિતી મેળવી છે. તેણણે તત્કાલ રાહત કાર્ય શરૂ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન આશરે 13 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને ધરાશાયી થયેલા ઝાડ, લાઇટના થાંભલાને તત્કાલ હટાવવા અને ગામડા તરફ જતા રસ્તા ઝડપથી શરૂ કરવા કહ્યું છે, જેથી અવરજવર પર અસર થાય નહીં.
આ તોફાનને કારણે મહારાષ્ટ્રમાં 2 હજાર 542 ઘરોને અસર પડી છે અને 6 ઘર ધ્વસ્ત થઈ ગયા છે. તેમાં ઠાણે જિલ્લામાં 24, પાલઘરમાં 4, રાયગઢમાં 1784, રત્નાગિરીમાં 61, સિંધુદુર્ગમાં 536, પુણેમાં 101, કોલ્હાપુરમાં 27 અને સતારામાં છ ઘર સામેલ છે. ચક્રવાતી તોફાન(Cyclone In Mumbai) તૌકતેને કારણે મહારાષ્ટ્ર અને મુંબઈના સમુદ્રી તટ વિસ્તારમાં હવામાન ખરાબ છે. આ વચ્ચે મુંબઈમાં આશરે 175 કિલોમીટર દૂર બોમ્બે હાઈ ફીલ્ડમાં અનેક લોકો ફસાયા છે. હીરો ઓયલ ફીલ્ડ્સની પાસે એક હોળીમાં ઓછામાં ઓછા 273 લોકો ફસાયા છે. આ વચ્ચે ભારતીય નૌસેનાએ બચાવ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.
નોંધનીય છે કે, ચક્રવાતી તોફાન(Cyclone In Mumbai)ને કારણે મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંકને આગામી આદેશ સુધી અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. બીએમસીએ લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની અપીલ કરી છે. તોફાનને કારણે સોમવારે મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ સોમવારે બીએમસી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો પ્રવાસ કર્યો અને વાવાઝોડાથી ઉભી થયેલી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, મહાનગરના લોકોને સુરક્ષિત રાખવા માટે અધિકારીઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. તૌકતેને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો અને વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો…..