World cotton day 2022

World cotton day 2022: ઈ.સ.૧૮૮૬માં બ્રિટીશરો દ્વારા સુરત ખાતે કપાસ સંશોધન યોજનાની શરૂઆત કરવામાં આવી

World cotton day 2022: સુરત કપાસ સંશોધન કેન્દ્રના ડો. સી. ટી. પટેલે ૧૯૭૧માં વિશ્વનો સૌપ્રથમ વ્યાપારીક ધોરણે વવાતો, સંકર કપાસ, સંકર-૪ વિકસાવવામાં આવી જેનાથી કૃષિ ક્ષેત્રે સફેદ ક્રાંતિ સર્જાય હતી.

અહેવાલઃ મહેન્દ્ર વેકરીયા

સુરત, 07 ઓક્ટોબરઃ World cotton day 2022: સહારા રણ વિસ્તારના અવિકસિત ચાર આફ્રિકન દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને “કપાસ ચાર દેશોનું જૂથ (Cotton Four Countries)” તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથ દ્રારા વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને દર વર્ષની ૭મી ઓક્ટોબરના દિવસને વિશ્વ કપાસ દિવસ (World Cotton Day) ની ઉજવણી કરવા માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સ્વીકારીને વર્ષ ૨૦૨૦-૨૧માં ૭મી ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિશ્વના લોકોમાં કપાસમાંથી મળતા કુદરતી રેસાઓની અગત્યતા અને તેની આડ પેદાશો જેવી કે, ખાદ્ય તેલ, ખોળ, કરસાંઠી માંથી બનાવી શકાય તેવી વિવિધ વસ્તુઓ માટે જાગૃતતા લાવવી તેમજ કપાસની ખેતી દ્રારા અવિકસિત દેશોમાં આર્થિક વિકાસ તથા ગરીબી નાબૂદીમાં મદદરૂપ અવિકસિત અને વિકાસશીલ દેશોને કપાસના ઉત્પાદનને વેલ્યુ ચેઇન માં સાંકળી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપારને પ્રોત્સાહિત કરવાનો છે.


આજે સમગ્ર વિશ્વમાં કપાસ સાથે સંકળાયેલી વિવિધ સરકારી સંસ્થાઓ,સહકારી સંસ્થાઓ, જીનીંગ ફેક્ટરીઓ, એ. પી. એમ. સી. વિગેરે વર્ષ ૨૦૨૦ થી “વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણી જુદા જુદા થીમ સાથે કરી રહ્યા છે. ૨૦૨૨ના વર્ષ માટે “ કેર અવર અર્થ ” થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત ખાતેના કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા તા.૭મી ઓકટોમ્બરના રોજ સવારે ૧૦.૦૦ વાગે કપાસ દિનની ઉજવણી હેઠળ ખેડુત દિનની ઉજવણી કરવામાં આવનાર છે.


ઐતિહાસિકઃ– કપાસનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. મોહે- જો દડોની સંસ્કૃતિના અવશેષોમાં પણ કપાસના અવશેષો જોવા મળ્યા છે. કપાસની વાવણી અંદાજે સાત હજાર વર્ષથી થાય છે. ભારત દેશમાં કપાસનું સ્થાન વર્ષોથી આર્થિકક્ષેત્રે મોખરે રહ્યું છે. આઝાદી પહેલા કપાસ અને ગૃહઉદ્યોગો એકબીજાના પર્યાય હતા. ખેડુતો/વણકરોની જીવાદોરી કપાસ હતો. અંગ્રેજ શાસનમાં ભારતમાં પેદા થતો દેશી કપાસ બ્રિટનની મીલોને અનુરૂપ ન હતો. ઈગ્લેન્ડની કાપડની મીલોને અનુરૂપ એવા કપાસ માટે સંશોધન કરવા બ્રિટીશરોને ફરજ પડી. અમેરીકન કપાસ જે લંબતારી હતો તેનું ધણા પ્રયત્નો બાદ ભારતમાં આગમન થયું. આઝાદીના ચળવળના પ્રણેતા અને દુનિયાના મહાન સત્યાગ્રહી નેતા મહાત્મા ગાંધીજીએ પણ ચરખાની મદદથી લોકો સ્વદેશી કાપડ અપનાવે તેવી ઝુંબેશ ચલાવી હતી.

3


ભારતમાં કપાસઃ-
આઝાદી પહેલાના કાળમાં સમગ્ર દેશમાં દેશી કપાસની બોલબાલા હતી અને ઘરે-ઘરે હાથ ચરખા પર વણાયેલી ખાદી તેમજ કાપડના વપરાશનું ચલણ હતું. કપાસ સંશોધનને કારણે ધીમે-ધીમે દેશી જાતોનું વાવેતર ઓછું થતુ ગયું. અને તેની સામે અમેરીકન કપાસનું વાવેતર વધતું ગયું. બ્રિટીશ શાસન દરમિયાન ભારતમાં અમેરીકન કપાસની જુદી-જુદી જાતોને પ્રચલિત કરવામાં આવી. તેમ છતા મીલોની જરૂરીયાત મુજબના કાપડ માટે ભારતે ઈજિપ્ત/પાકિસ્તાન જેવા દેશોમાંથી લંબાતારી કપાસ આયાત કરવો પડતો હતો. જેથી વિદેશી હુંડિયામણ ખર્ચાતુ હતું. વર્ષ ૧૯૨૧ના ઈન્ડિયન સેન્ટ્રલ કોટન કમિટીની સ્થાપના થતા તેના સહયોગથી સંશોધન કાર્યને વેગ મળ્યો. દેશમાં અનેક સ્થળોએ કપાસના સંશોધન કેન્દ્રો કાર્યતર થયા. પરિણામે દેશમાં અમેરીકન કપાસની જાતોની બોલબાલા થઈ અને મધ્યમ તારી કપાસનું ઉત્પાદન વધ્યું.

સુરત કપાસ સંશોધન કેન્દ્રનું કપાસક્ષેત્રે મહત્વપુર્ણ યોગદાનઃ-
ગુજરાતમાં સુરત, કાનમ અને વાગડ વિસ્તારમાં સોળમી સદીમાં કપાસના વાવેતરનો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે ભરૂચી-૧, સુરતી-૧, ઘોઘારી જેવી જાતો પ્રચલીત હતી. દેશની પ્રથમ કાપડની મીલની ગુજરાતમાં વર્ષ ૧૮૪૩માં ભરૂચ ખાતે સ્થાપના થતા કપાસ વાવેતરને પ્રોત્સાહન મળ્યું. ઈ.સ.૧૮૮૬માં બ્રિટીશરો દ્વારા સુરત ખાતે કપાસ સંશોધન યોજનાની શરૂઆત કરવામાં આવી. ૧૯૫૧માં સુરત ખાતેથી પ્રથમ અમેરીકન કપાસની જાત દેવીરાજ બહાર પાડવામાં આવી. ત્યારબાદ દેવીતેજ, ગુજરાત-૬૭, ગુજરાત કપાસ-૧૦૦, ગુજરાત કપાસ-૧૦ જેવી જાતો બહાર પાડવામાં આવી હતી. ૧૯૭૧માં રાજયમાં સુરત કેન્દ્ર ખાતેથી ડો.સી.ટી.પટેલ દ્વારા વિશ્વમાં સૌપ્રથમ વ્યાપારી ધોરણે વપરાતો સંકર કપાસઃસંકર-૪ ખેડુતો માટે માન્ય કરતા દેશમાં અને દુનિયામાં કપાસની દ્રષ્ટિએ સફેદ ક્રાંતી આવી. ત્યારબાદ સુરત ખાતેથી ઉત્તરોત્તર નવા સંકરો જેવા કે, ગુજરાત કપાસ સંકર-૬, ૮, ૧૦, ૧૨ અને ૧૪ ખેડુતોને આપવામાં આવી. એક સમયે કપાસમાં જીવાતોના પ્રકોપને કારણે કપાસના ખેડુતોને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.

આ પણ વાંચોઃ Arun bali passed away: ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અરૂણ બાલીનું નિધન- વાંચો વિગત

સુરત ખાતેથી આદિવાસી વિસ્તાર માટે ઈ.સ.૧૯૭૭માં કલ્મી કપાસ, ગુજરાત કપાસ-૧૦૧ આપી તે પણ દેશમાં પ્રથમ છે. દેશનો સવ પ્રથમ દેશી સંકર કપાસ, દેશી સંકર-૭ પણ સુરત ખાતેથી આપવામાં આવ્યો. વર્ષ ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા બીટીની માન્યતા મળતા ફરી પાછી કપાસની ગાડી પાટા પર ચડી અને ખેડુતોમાં રોનક આવી. ૨૦૧૨માં જાહેર ક્ષેત્રની દેશની પ્રથમ એવી બે બીટી જાતો, ગુજરાત સંકર-૬, ગુજરાત કપાસ સંકર-૮ બહાર પાડવામાં આવી. જે પણ તેના પ્રકારનું દુનિયાનું આગવું સંશોધન છે. આ ઉપરાંત વિશ્વની કપાસની વાવેતર હેઠળની મુખ્ય ચાર સ્પીસીસનું ૩૬૩૨ જર્મપ્લાઝમ અને ૧૫ જેટલી જંગલી જાતોની જાળવણી પણ સુરત ખાતે કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૫૦ જાતો/સંકર જાતો ખેડુતોને વાવેતર માટે આપવામાં આવી છે. આ ઉપરાંત પાક ઉત્પાદનની ૬૨, પાક સંરક્ષણની ૩૩ અને દેહધર્મની ૧૧ મળી કુલ ૧૦૬ જેટલી ખેડુત ઉપયોગી ભલામણો કરવામાં આવી છે.

 મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરતની ઝાંખી, અઠવા ફાર્મ નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત
બ્રિટીશ શાસન દરમ્યાન સને ૧૮૯૬માં સુરત ખાતે કપાસ સુધારણા યોજનાની શરૂઆત થઇ અને સને ૧૯૦૪માં પધ્ધતિસરનું કપાસ સંશોધન શરૂ થયુ. સુરત ખાતેના સંશોધન કેન્દ્રનો કુલ વિસ્તાર શરૂઆતમાં ૧૧૧ હેક્ટર જેટલો હતો. આ કેન્દ્રના મુખ્ય ઉદ્દેશ્યોમાં જોઈએ તો કપાસની અનુકુળ જાતો અને સંકરો શોધીને રાજ્યનું કપાસ ઉત્પાદન વધારવુ, કપાસની માવજતો વિકસાવવી, પાક સંરક્ષણ તકનિકો અને રોગ-જીવાત પ્રતિકારક જાતો વિકસાવવી, કેન્દ્ર દ્રારા બહાર પાડવામાં આવેલી જાતો અને સંકર જાતોના માતૃ-પિતૃ ના ઉચ્ચ કક્ષાના શુધ્ધ બીજનું વૃધ્ધિકરણ અને વહેંચણી કરવામાં આવે છે. સુરત કપાસ સંશોધન કેન્દ્ર હેઠળ રાજયમાં ૧૩ જેટલા કેન્દ્રો સંશોધન કરી રહ્યા છે.

ગુજરાતમાં કપાસ :
રાજ્યના કુલ પાક વાવેતર પૈકી ૨૨% વિસ્તારમાં વાવેતર થાય છે. જયારે કૃષિ આવકમાં ૧/૩ કપાસના પાકનું યોગદાન રહેલું છે. દેશમાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત રાજ્ય ઘણા વર્ષો સુધી નંબર-૧ રહેલ હતુ. ગુજરાત રાજ્યમાં બીટી કપાસની ૫૦૦ કરતા વધુ સંકર જાતો વાવેતર માટે માન્યતા ધરાવે છે. કપાસ ઉત્પાદકતા ૧૯૬૦માં ૧૩૯ કીલો/હે. થી વધીને હાલમાં ૬૦૦ કીલો/હે. ની આસપાસ જળવાઇ રહે છે. વિદેશી ખરીદદારો માટે ગુજરાત રાજ્ય પસંદગીનું સ્થાન રહ્યું છે.
સને ૧૯૭૧માં ડો. સી. ટી. પટેલ દ્રારા વિશ્વનો સૌપ્રથમ વ્યાપારીક ધોરણે વવાતો, સંકર કપાસ, સંકર-૪ વિકસાવવામાં આવ્યો અને કૃષિ ક્ષેત્રે સફેદ ક્રાંતિ સર્જાય. આના પરિણામે લંબતારી કપાસમાં પણ દેશ આત્મ નિર્ભર બન્યો. ઉપરાંત નિકાસ ક્ષેત્રે પણ પ્રવેશ મળ્યો.


બીજ ઉત્પાદન કાર્યક્રમ :
આ કેન્દ્ર દ્રારા બહાર પાડવામાં આવેલ કપાસની સ્થાયી જાતો તથા સંકર કપાસના નર-માદાનો બ્રીડર બીજ ઉત્પાદન કાર્યક્રમ લઇ દર વર્ષે બીજ ઉત્પાદકોને પૂરૂ પાડવામાં આવે છે. જાહેર ક્ષેત્રની બીટી સંકર જાતોના માતૃ-પિતૃના બીજ ઉત્પાદન કાર્યક્રમ પણ દર વર્ષે લેવામાં આવે છે. આ ઉપરાંત, તુવેર તથા ડાંગર જેવા પાકોનું ખૂબ જ મોટા જથ્થામાં શુધ્ધ બીજ ઉત્પાદન કરી ખેડુતોને આપવામાં આવે છે.


વિસ્તરણ પ્રવૃત્તિઓ :
આ કેન્દ્રના વૈજ્ઞાનિકો રાજ્ય અને રાજ્ય બહાર યોજના વિવિધ તાલીમ કાર્યક્રમો, કૃષિ મેળાઓ, ખેડુત શિબિરો, પ્રદર્શનોમાં ભાગ લઇ ખેડુતોને કપાસ અંગેની અદ્યતન અંગેની માહિતી આપવામાં આવે છે. ઉપરાંત કેન્દ્ર દ્રારા પણ સમયાંતરે ખેડુતો માટે અલગ-અલગ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરીને કપાસનાં પાક પર કરવામાં આવેલ પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ ટેકનોલોજીના ખેડુતોમાં ખેતર પર પણ નિદર્શનો ગોઠવવામાં આવે છે.


અનુસ્નાતક શિક્ષણ :
આ કેન્દ્રના અનુસ્નાતક શિક્ષણ માટે માન્ય થયેલ શિક્ષકો દ્રારા કૃષિ ક્ષેત્રે અનુસ્નાતક કક્ષાના એમ. એસ. સી. અને પી.એચ.ડી. પદવી માટેના સંશોધનો કરાવી તેના પરથી થીસીસ લખવામાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. આ કેન્દ્ર ખાતે કપાસ પાક પરના અનુસ્નાતક કક્ષાના વિવિધ ડીસીપ્લીનના પ્રયોગો પણ દર વર્ષે કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ AAP declares 4th list of 12 candidates: ગુજરાત આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા- જુઓ યાદી

Gujarati banner 01