Jamnagar district: જામનગર જિલ્લાના ૧૦હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળાંતરીત કરાયા
Jamnagar district: મંત્રી આર.સી.ફળદુએ આશ્રય સ્થાનોની મુલાકાત લઇ, વ્યવસ્થાઓની કરી સમીક્ષા
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૮ મે: Jamnagar district:: તૌઉતે વાવાઝોડાની સંભવિત અસરને પગલે જામનગર જિલ્લા ખાતે વિવિધ વિસ્તારોમાં રહેતા સંભવિત અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાલ સુધીમાં ૫૧૨૬ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. જામનગર ખાતે આજરોજ મંત્રી આર.સી.ફળદુએ જામનગર શહેરના વિવિધ આશ્રયસ્થાનની અને આશ્રિતોની મુલાકાત લીધી હતી.આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મેરામનભાઈ ભાટુ, કમીશ્નર સતીષ પટેલ સાથે રહ્યા હતા.
આ તકે મંત્રીએ લોકો સાથે સંવાદ સાધી તેમજ તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને સ્વહસ્તે આશ્રિતોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.. મંત્રી ફરડુ એ શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર ૬૦, ૬૬,૨૨ જોડિયા ભૂંગા શાળા નંબર ૩૦,મીઠાપુર સોલ્ટ વિસ્તાર વગેરે જગ્યાઓ પર મુલાકાત કરી અને આવશ્યક વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરી હતી.
જામનગર જિલ્લાના (Jamnagar district) ૨૩ દરિયાકાંઠાના ગામોમાંથી જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ આશ્રયસ્થાનોમાં ૧૦૩૭, ધ્રોલ તાલુકામાં ૭૧ આશ્રયસ્થાનોમાં ૩૨૦, જોડિયા તાલુકામાં ૨૭ આશ્રય સ્થાનોમાં ૮૩૧, કાલાવડ તાલુકામાં ૯૯ આશ્રયસ્થાનોમાં ૩૯૮, લાલપુર તાલુકામાં ૧૦ આશ્રયસ્થાનોમાં ૫૪૫, જામજોધપુર તાલુકામાં ૧૨૪ આશ્રયસ્થાનોમાં ૫૮૧ અને જામનગર શહેર વિસ્તારના દરિયાકાંઠાના ગામોમાં ૧૬ આશ્રયસ્થાનોમાં ૪૪૧ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
Jamnagar district: આ ઉપરાંત જામનગર શહેરમાં હાલ સુધીમાં વિવિધ ૨૮ આશ્રયસ્થાનો પર પાંચ હજારથી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આમ કુલ, ૧૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનાંતરીત કરાયા છે. રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુઅલટીના અભિગમ સાથે દરેક જિલ્લામાંથી સંભવિત અસરગ્રસ્ત લોકોની કાળજી લઈ તેમને સુરક્ષિત કરી રહી છે.