સોમાં ની ચૂંટણીમાં સમીર શાહનો પરાજય, પ્રમુખપદે ગોંડલ ના કિશોર વિરડીયા વિજેતા.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૧ સપ્ટેમ્બર: દેશભરમાં તેલ ઉદ્યોગની પ્રતિષ્ઠીત સંસ્થા સૌરાષ્ટ્ર ઓઈલમીલ્સ એસોસીએશન (સોમા)ની ચૂંટણીમાં અપસેટ સર્જાયો છે. બે ટર્મ જેવા સમયથી પ્રમુખપદે રહેલા સમીર શાહ પરાજીત થયા છે જયારે ગોંડલના તેલ મીલર કિશોર વિરડીયાનો વિજય થયો છે. જો કે, 98 મત હાઈકોર્ટના આદેશને કારણે અનામત હોવાથી તેની ગણતરી બાકી છે એટલે આખરી પરિણામ વિશે સસ્પેન્સ જ રહેવાનું માનવામાં આવી રહ્યું છે.
તેલ ઉદ્યોગના સૌથી જુના સંગઠન એવા ‘સોમા’ની ચૂંટણી પ્રક્રિયા ગત મહીને શરૂ થઈ હતી. 30 સસભ્યોની કારોબારી બીનહરીફ થઈ હતી. પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ સમીર શાહ તથા ગોંડલના કિશોર વિરડીયા વચ્ચે જંગ જામ્યો હતો. ચેરીટી કમિશ્ર્નરના આદેશ મુજબ 130 સભ્યોને મતાધિકાર આપવામાં આવ્યા હતા. કોરોનાકાળને કારણે બેલેટ પેપરથી મત પહોંચાડવાની વ્યવસ્થા નિર્ધારિત કરવામાં આવી હતી. આજે સવાર સુધી મળેલા મતોને ગણતરીમાં લેવાની છુટ્ટ હતી.
ગઈકાલ સુધી જ 100 ટકા મતદાન થઈ ગયું હતું. આજે સવારે ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી શરુ કરવામાં આવી હતી. તેમાં કિશોર વિરડીયાને 130માંથી 120 મત મળ્યા હતા. જયારે સમીર શાહને 21 મત મળ્યા હતા. 8 મત રદ થયા હતા. કિશોર વિરડીયાની જીત થવા છતાં આખરી પરિણામ હાઈકોર્ટના ચુકાદાને આધીન રહે તેમ છે. કારણ કે હાઈકોર્ટ દ્વારા બે તબકકે 73 તથા 25 એમ કુલ 98 સભ્યોને મતાધિકાર આપવાનો આદેશ કર્યો હતો અને ત મત અલગ મતપેટીમાં રાખવાની સૂચના આપી હતી.
98માંથી 73 મતોનું મતદાન થઈ ગયું છે. બાકીના 25 મતપત્રકો પહોંચાડાયા છે તેનું મતદાન પણ બે-ચાર દિવસમાં થશે. આ મતપત્રકોની ગણતરી હાઈકોર્ટને આધીન રહેશે. હાઈકોર્ટમાં આ કેસની મુદત 29 સપ્ટેમ્બરની છે ત્યારે તેમાં કોઈ ચુકાદો આવે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવે તે સ્પષ્ટ છે. સોમાની ચૂંટણીના વિવાદે અગાઉ જ કાનૂની સ્વરૂપ પાડયું હતું.
ચેરીટી કમિશ્નરના આદેશ બાદ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં 130 સભ્યોને મતાધિકાર મળ્યા હતા. અન્ય સભ્યોને મતાધિકારનો મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો તેમાં 98 સભ્યોને મતાધિકાર આપવાનો આદેશ થયો હતો. આ મતને ગણતરીમાં લીધા વિના અનામત રાખવા આદેશ હતો. તેલ ઉદ્યોગના જ સૂત્રોએ કહ્યું કે 130 મતના આધારે કિશોર વિરડીયાની જીત થયાની વાસ્તવિકતા છે છતાં 98 મત વિશે આવતા દિવસોમાં હાઈકોર્ટ કેવો ચૂકાદો આપે છે તેના પર મીટ રહેશે અને તેના આધારે ચિત્ર સ્પષ્ટ થઈ શકશે ત્યાં સુધી ‘સસ્પેન્સ’નો જ ઘાત રહેશે.