રાજકોટના વિવિધ વેપારી એસોસીએશનને કોરોનાથી બચાવ અને તકેદારીના પગલા અંગે માર્ગદર્શન અપાયું

Vyapati corona meeting edited

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૦૧ ઓક્ટોબર: નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ખાળવા રાજકોટ જિલ્લાના અધિક કલેકટરશ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને વિવિધ વેપારી એસોસીએશનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના સ્કુટર પાર્ટ ડીલર એસોસીએશન, મેનેજમેન્ટ એસોસીએશન, ટેક્સ કન્સલટન્ટ સોસાયટી, હોલસેલ ટેક્સ્ટાઈલ મર્ચન્ટ એસોસીએશન, બેકરી એસોસીએશન, ટુલ્સ ડીલર એસોસીએશન, સૌરાષ્ટ્ર ગોળ મર્ચન્ટ એસોસીએશન સહિતના હોદ્દેદારોને કોરોનાથી બચવા માટેના જરૂરી ઉપાયો જેમ કે, માસ્ક પહેરવાની પધ્ધતિ, સાબુથી હાથ ધોવાની પધ્ધતિ, હાથ સેનેટાઈઝ કરવાની પધ્ધતિ વગેરે બાબતોનો વીડિયો અને પત્રિકાઓ બતાવીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

 આ તકે અધિક કલેકટરશ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, દરેક દુકાનો-ગોડાઉન-ઓફિસમાં કામ કરતાં કામદારો, ઓફિસ સ્ટાફ, માલિકો વગેરેએ ખાસ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને વારંવાર સેનેટાઈઝ અને સાબુથી હાથ ધોવે તે સુનિશ્ચિત કરવું. આ ઉપરાંત દરેકનું દૈનિક ધોરણે થર્મલ ગનથી ટેમ્પરેચરની અને પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલની તપાસ કરવાની રહેશે. જો ઓક્સિજન લેવલ ૯૫ થી ઓછું આવે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રોએ તપાસ અર્થે મોકલવાના રહેશે. 

loading…

લોકોમાં કોરોનાનો ભય દૂર થાય અને જાગૃતિ આવે તે માટે દરેક એસોસીએશનને કોરોના અંગેની પત્રિકા છપાવવી, બજારો, જાહેર સ્થળો, દુકાનો, એજન્સી, પેટ્રોલ પંપ ખાતે બેનરો અને હોર્ડીંગ મુકવા જેવા કાર્યો કરવા. કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ૨૬૦૦ જેટલા બેડની પર્યાપ્ત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમ છતાં પોઝીટીવ દર્દીઓ માટે સંબંધિત વિસ્તારમાં સમાજની વાડી, હોલ કે અન્ય કોઇ સામુહિક જગ્યા હોય તો તેમાં કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર ખોલવા અનુરોધ કર્યો હતો.

આ તકે આરોગ્ય વિભાગના જિલ્લા કવોલિટી મેડીકલ ઓફિસર ડો.પી.કે.સિંગે જણાવ્યું હતું કે, સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઈઝર (એસ.એમ.એસ.) બધાએ યાદ રાખવું જોઇએ. તેમજ ઉપસ્થિત સૌ સભ્યોને હેન્ડ સેનેટાઈઝેશન અંગે ડેમોન્સ્ટ્રેશન આપી કોરોના અંગે સાચી જાણકારી આપીને લોકોમાં કોરોના અંગે વ્યાપ્ત ભય દૂર કરવા અનુરોધ કર્યો હતો.