સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે દિલ્હી હિંસા બાદ કહ્યું- આ ઘટના બાદ શરમ અનુભવું છું! ખેડૂતોને શાંત રહેવા વીડિયો દ્વારા કરી હતી અપીલ
નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ ગઇ કાલે લાલ કિલ્લા ખાતે થયેલી ખેડૂતોની હિંસા બાદ સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવને સવાલો કરવામાં આવી રહ્યા છે. કારણ કે યાદવે પહેલા ટ્રેકટર રેલી શાંતિથી થશે તેની જવાબદારી લીધી હતી. યોગેન્દ્રે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં બનેલી ઘટના બાદ હું શરમ અનુભવી રહ્યો છું. હિંસાના કારણે ખેડૂતોના આંદોલનને અસર પડી છે. યોગેન્દ્ર યાદવે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યું જ્યારે દિલ્હીને ખેડૂતોએ બાનમાં લીધી હતી. રાજપથથી લાલકિલ્લા સુધી ખેડૂતોએ ઉપદ્રવ મચાવ્યો હતો. જે દરમ્યાન પોલીસ અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. જેમા અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જ્યારે આઈટીઓ પાસે પોલીસ પર ટ્રેક્ટર ચડાવવાની કોશિશ કરતા ટ્રેક્ટર પલટી ગયું હતુ. જેમા ટ્રેક્ટર ચાલકનું મોત થયું હતુ.
દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમ્યાન ભડકેલી હિંસા અંગે ઓલ ઈન્ડિયા કિસાન સભાના મહાસચિવ હન્ના મૌલાએ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં જેમણે તોડફોડ કરી તેઓ ખેડૂત નથી ખેડૂતોના દુશ્મન છે. આ એક ષડ્યંત્ર છે. દિલ્હીમાં થયેલી હિંસાથી માટે જે જવાબદાર છે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. ભવિષ્યમાં આવા આંદોલનમાં હિંસક લોકોને ઘુસવાની તક ન આપવી જોઈએ. હવેથી ખેડૂતો શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવશે.
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીના વિરોધ દરમ્યાન થયેલી હિંસામાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 15 જેટલી એફઆઈઆર નોંધી છે. ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમ્યાન કેટલાક અસામાજિક તત્વોએ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો. હિંસા દરમ્યાન દિલ્હી પોલીસના 150 જેટલા જવાન ઘાયલ થયા છે. શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલુ વિરોધ પ્રદર્શન જોતજોતામાં હિંસક બન્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે આઈટીઓ પાસે ગાજીપુર અને સિંધુ બોર્ડર પર આવેલા ખેડૂતોએ લુટિયન ઝોન તરફ જવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો…