કેશોદ ખાતે આવેલી ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થિનીઓમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, જાણો વિગતે
જૂનાગઢ, 19 જાન્યુઆરીઃ ગુજરાતમાં કોરોનાના ભય વચ્ચે સ્કૂલો શરૂ થયાના થોડા દિવસ પછી જ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. મળેલી માહિતી પ્રમાણે જૂનાગઢના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એક સાથે 11 જેટલી વિદ્યાર્થિનીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલ સંચાલકો સહિત વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.
કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે, તેમજ જે 11 વિદ્યાર્થીનીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે તમામની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કેશોદ પછી રાજકોટની સ્કૂલના પ્રિન્સીપાલ સહીત ત્રણ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે.
તાજેતરમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નોંધનીય છે કે સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે સરકારે સ્કૂલોના વર્ગ શરૂ કરવા મંજૂરી તો આપી દીધી છે પરંતુ કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં આવતા સરકારનો આ નિર્ણય ચિંતાજનક છે તેવું લાગી રહ્યું છે.