CM Jagannath Mandir Puja: રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી
CM Jagannath Mandir Puja: ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી
ગાંધીનગર, 19 જૂનઃ CM Jagannath Mandir Puja: ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત અમદાવાદના ધારાસભ્યઓ પણ સંધ્યા આરતી અને પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું.
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
બિપરજોય વાવાઝોડા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત પર આ સંકટ આવ્યું પરંતુ આપણા આગોતરા અને સમયસર ના આયોજન થી ઝીરો કેઝ્યુલિટી સાથે રાજ્યમાંથી આપણે વાવાઝોડા માંથી પાર ઉતર્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને અમિતભાઇ શાહના સાથ, સહકારથી રાજ્ય સરકાર અને પ્રજાજનોએ આ વાવાઝોડા ની આફત સામે એક ટીમ બનીને કામ કર્યું છે, એવું પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે સાંસદ હસમુખ પટેલ, કિરીટ સોલંકી, અમદાવાદ શહેરના ધારાસભ્યઓ, પૂર્વ મંત્રીઓ જીતુભાઇ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપભાઈ પરમાર, ઇન્ચાર્જ શહેર પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંહ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.