Pushya nakshatra: આજે વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર, આજે કરવામાં આવતી ખરીદી લાભદાયક અને અક્ષયકારક રહેશે- વાંચો વધુ વિગત
Pushya nakshatra: જ્યોતિષ ગ્રંથો પ્રમાણે આખા વર્ષમાં કોઈપણ શુભયોગમાં ખરીદી કરી શકાય છે. હવે પછી પુષ્ય નક્ષત્રનો યોગ 18 જાન્યુઆરી, મંગળવારના રોજ બનશે
જ્યોતિષ ડેસ્ક, 22 ડિસેમ્બરઃPushya nakshatra: આજે વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર છે. આ દિવસે બુધવાર હોવાથી બુધ પુષ્યનો યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં કરવામાં આવતી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડથી પણ ફાયદો મળશે. હાલ ધનુર્માસ ચાલી રહ્યો છે પરંતુ આ દરમિયાન પુષ્ય નક્ષત્રમાં લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય કોઈપણ શુભ કામ માટે ખરીદી કરવાની મનાઈ નથી. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે આખા વર્ષમાં કોઈપણ શુભયોગમાં ખરીદી કરી શકાય છે. હવે પછી પુષ્ય નક્ષત્રનો યોગ 18 જાન્યુઆરી, મંગળવારના રોજ બનશે.
હાલ ધનુર્માસ હોવાથી કોઈપણ માંગલિક કાર્યો કરવામાં આવશે નહીં, પરંતુ 22 ડિસેમ્બરે વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર હોવાથી આ સંયોગમાં ખરીદી, રોકાણ અને મોટી વ્યાપારિક લેવડ-દેવડ કરવી શુભ મનાય છે. પુષ્ય નક્ષત્રમાં શરૂ કરાતું દરેક કામ પુષ્ટિદાયક અને સર્વાર્થ સિદ્ધિ આપનાર રહે છે એટલે સોના, ચાંદીની અને નવા સામાનની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.
22 ડિસેમ્બરના રોજ પુષ્ય નક્ષત્ર સાથે ઇન્દ્ર અને માતંગ નામના 2 શુભ યોગ પણ રહેશે. જેથી આખો દિવસ ખરીદી માટે શુભ રહેશે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં, મંગળ વૃશ્ચિક રાશિમાં અને શનિ મકર રાશિમાં એટલે કે ત્રણેય ગ્રહો પોતાની રાશિમાં જ રહેશે. આ સિવાય ધન રાશિમાં સૂર્ય અને બુધ હોવાથી બુધાદિત્ય યોગ આખો દિવસ રહેશે. બુધ પુષ્યના સંયોગમા નક્ષત્રોની આવી સ્થિતિમાં કરવામાં આવતું રોકાણ લાંબા સમય સુધી ફાયદો આપી શકે છે. સાથે જ આ શુભ યોગમાં કરવામાં આવતી લેવડ-દેવડ અને ખરીદી વધારે શુભ રહેશે.
જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્ર માનવામાં આવે છે. તેમાં 8મા સ્થાને પુષ્ય નક્ષત્ર આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ ખૂબ જ વધારે ઉલ્લેખવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ નક્ષત્ર છે. શાસ્ત્રો પ્રમાણે પુષ્ય નક્ષત્ર સ્થાયી હોય છે અને એટલે જ આ નક્ષત્રમાં ખરીદવામાં આવતી કોઈપણ વસ્તુ સ્થાયી સુખ-સમૃદ્ધિ આપે છે. પુષ્યનો અર્થ પોષણ કરનાર, ઊર્જા અને શક્તિ પ્રદાન કરનાર છે.
વર્તમાન ગોચરમાં શુક્ર પોતાના મિત્ર શનિ સાથે તેની જ રાશિ મકરમાં છે. સાથે જ, મંગળની દૃષ્ટિ ગુરુ ઉપર છે અને ગુરુ, મંગળના નક્ષત્રમાં છે. આ મિત્ર ગ્રહોની સારી સ્થિતિમાં હોવું ખૂબ જ લાભદાયી છે. બુધવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે ત્યારે ઘર માટે ખરીદવામાં આવતી દરેક વસ્તુ માટે શુભદાયી રહે છે. બુધ પુષ્ય નક્ષત્ર(Pushya nakshatra)માં ખરીદી કરવી લાભદાયક અને અક્ષયકારક છે, તેનાથી પરિવારમાં સમૃદ્ધિ વધશે.
હિંદુ પરંપરા પ્રમાણે આ દિવસે સોનું, ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નીચર સહિત રસોઈ ઘરમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે. બુધ પુષ્ય નક્ષત્ર ઉપર સોનુ, ચાંદી, તાંબા જેવી ધાતુઓની ખરીદી કરવાથી સુખ-સમૃદ્ધિ અને વૈભવમાં વધારો થશે. સાથે જ, જમીન, મકાનમાં રોકાણ કરવું લાભદાયી સાબિત થશે.