Swamiji ni Vani part-14: કર્મ કરવાની તક તો મનુષ્યને ભગવાને આપેલી આગવી ભેટ છે

Swamiji ni Vani part-14: પારસમણિનો ઉપયોગ ચટણી વાટવામાં

ધર્મ ડેસ્ક, 17 જૂનઃ Swamiji ni Vani part-14: કર્મ કરવાની તક તો મનુષ્યને ભગવાને આપેલી આગવી ભેટ છે. ઇરાદાપૂર્વક કર્મ કરવાની સ્વતંત્રતા ભગવાને એક માનવીને જ આપી છે. મનુષ્ય ઉપર ભગવાનનો આ મહાન ઉપકાર છે. આ ઉપકારનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે આપણે સદા સભાન રહેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં એનો દુરુપયોગ તો ન જ થવો જોઈએ. કર્મનો દુરુપયોગ કરનાર માનવોને ભગવાન કૃપણ કહે છે. કૃપણની વ્યાખ્યા આપતાં ભગવાન કહે છે:

दूरेण ह्यवरं कर्म बुद्धि योगाद्धनञ्जय
बुद्धौ  शरणमन्विछ कृपणा: फलहेतव:||

હે ધનંજય ! યોગબુદ્ધિથી કરેલ કર્મ કરતાં કામનાથી પ્રેરાઈને કરેલ કર્મ અત્યંત નિકૃષ્ટ છે. આથી તું યોગબુદ્ધિનું શરણ લે, કારણ કે ફળની કામનાથી પ્રેરાઈને કર્મ કરનારાઓ કૃપણ છે.

કૃપણ કોણ છે? ભગવાન કહે છે: ફળની ઇચ્છાથી કર્મ કરનારા લોકો, ‘એમાંથી મને અંગત લાભ મળશે, વળતર મળશે’ એમ સ્વહિતમાં, પોતાના વ્યક્તિગત લાભમાં જ લોટનારા માણસો કૃપણ મનુષ્યો છે. એમની પાસે કયા પ્રકારની સંપત્તિ છે તે તેઓ જાણતા નથી.

કર્મ પાછળની સેવાની ભાવનાને અવગણીને પોતાના સ્વાર્થમાં જ પ્રવૃત્ત રહેવું એ કર્મનો દુરુપયોગ છે. એ તો પારસમણિથી ચટણી વાટવા જેવું થયું. પારસમણિ શાને માટે છે? એ લોખંડને સ્પર્શ કરે તો સોનું બની જાય. પણ જે એનો ઉપયોગ જાણતો નથી, એની કિંમત જાણતો નથી, તે પારસમણિના પથ્થરનો ચટણી વાટવામાં ઉપયોગ કરે છે.

એક ખૂબ ગરીબ માણસ એક સંત પાસે ગયો અને કહ્યું: ‘મહારાજ! હું બહુ ગરીબ છું. કૃપા કરી મને એવું કશું આપો જેનાથી મારી ગરીબાઈ દૂર થાય!’ મહારાજે તેને એક પારસમણિ આપ્યો. પરંતુ એને ખબર નથી કે આ શું છે. મહારાજે આપ્યો એટલે ઘરે લઈ જઈને તે એની પૂજા કરવા લાગ્યો.

ઘણા દિવસ થયા પણ કાંઈ પરિણામ આવ્યું નહીં ત્યારે તે માણસ નિરાશ થઈ ગયો. મહારાજે આપેલ વસ્તુ ફેંકી તો દેવાય નહીં એટલે પછી એણે એનો ઉપયોગ શોધી કાઢ્યો. એનો ઉપયોગ એ ચટણી વાટવામાં કરવા લાગ્યો!

વરસેક પછી સંત વળી એ ગામમાં આવ્યા અને એમણે જોયું કે તે માણસ એવો ને એવો ગરીબ જ રહ્યો હતો. સંતે પૂછ્યું:

 ‘મેં તને કાંઈ આપ્યું હતું ને?’

પેલો નિસાસો નાખીને કહે, ‘આપે શું આપ્યું હતું? પથ્થર!’ સંતે પૂછ્યું, ‘શું કર્યું તેં એ પથ્થરનું?’

પેલાએ કહ્યું: ‘ચટણી વાટવામાં ઉપયોગ કરું છું.’

કર્મ આવી જ એક અમૂલ્ય વસ્તુ છેે અને આપણે માત્ર વ્યક્તિગત લાભ માટે જ, કેમ બઢતી મળે, કેમ નામના મળે, કેમ ધન-સંપત્તિ વધે, કેમ સલામતી મળે, એ ગણતરીથી કર્મ કરીએ તો એ પારસમણિનો ચટણી વાટવામાં ઉપયોગ કર્યો કહેવાય.

માત્ર સ્વહિત કાજે જ કર્મ કરનારા, વળતરની, ફળની અપેક્ષાથી જ કર્મ કરનારા લોકોને ભગવાન કંજૂસ કહે છે.

આ પણ વાંચો…. Swamiji ni Vani part-13: જીવનમાં નાની નાની વસ્તુઓ પણ ધર્મ બને છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો